પશ્ચિમ એશિયાના યુદ્ધ પછી ક્રૂડ 100 ડૉલર વટાવે તો ભારત સામે જોખમ

ટૂંકા ગાળામાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થવાનું જોખમ છે. તેમ થાય તો લાંબાગાળામાં પૂરતી નોકરીઓની તક ઊભી કરવામાં ભારતને નિષ્ફળતા મળી શકે
ઇંધણના એટલે કે ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવ લાંબા સમય સુધી ઊંચા રહે તો જ ભારતમાં રોકાણ કરનારાઓનો વિશ્વાસ ડગમગી શકે છે. તેમ જ નવા રોકાણ આવવાની ગતિ મંદ પડતાં પરિસ્થિતિ મુશ્કેલ બની શકે છે. ઇઝરાયલ-અમેરિકા અને ઇરાન વચ્ચેના યુદ્ધને કારણે ભારત માટે મૂળભૂત રીતે બે મોટા મેક્રો આર્થિક જોખમો ઊભા થયા છે. તેમાં ટૂંકા ગાળામાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થવાનું જોખમ સૌથી મોખરે છે. બીજું, તેમ થાય તો લાંબા ગાળામાં પૂરતી નોકરીઓની તક ઊભી કરવામાં ભારતને નિષ્ફળતા મળી શકે છે.
છેલ્લા બે દાયકાથી અર્થશાસ્ત્રીઓ અને રોકાણ વિશ્લેષકોનો આ જ મત રહ્યો છે. ભારત પાસે લગભગ 6.5 ટકા વાસ્તવિક GDP વૃદ્ધિનો ટેકો છે. જોકે ડબલ ડિજિટનો જીડીપી નામમાત્રનો હોવાનું જણાય છે. સંતુલિત અર્થતંત્ર અને મોટા ઘરેલું તથા વિદેશી બચત સ્ત્રોત છે. તેથી વૈશ્વિક વ્યાજદરો, મોંઘવારી, વેપારની સ્થિતિ, યુદ્ધ અથવા વૈશ્વિક આર્થિક બદલાવ જેવા ટૂંકા ગાળાના આંચકા ભારત સહન કરી શકે છે.
પરંતુ ઊર્જાના ભાવોમાં વધારો ભારત માટે ખાસ ચિંતાજનક છે. ભારત તેની કુલ ઊર્જા જરૂરિયાતમાંથી લગભગ 80 ક્રૂડ તેલ અને ગેસ આયાત કરે છે. તેથી તેલના ભાવ વધે ત્યારે કેટલાક સીધા પ્રભાવ જોવા મળે છે. ક્રૂડની આયાતનો ખર્ચ વધી જાય છે. પરિણામે Current Account Deficit (CAD) વધી જાય છે. રૂપિયો કમજોર પડવા માંડ્યો છે. તેથી મોંઘવારી વધી શકે છે.
મોંઘવારી અને વ્યાજદર પર અસર
તેલના ઊંચા ભાવના કારણે ઉત્પાદન ખર્ચ વધે છે. કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ વધતા ગ્રાહકોને બધું જ મોંઘું પડે છે. પરિણામે Reserve Bank of India ને વ્યાજદર ઊંચા રાખવા પડે છે. બજારમાં ફરતા રૂપિયાનું પ્રમાણ ઘટાડવું પડે છે. બીજા શબ્દોમાં કહીએ તો લિક્વિડિટી ઘટાડવી પડે છે. તેની સાથે સાથે જ સરકારને પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત રાખવા માટે સબસિડી આપવી પડે છે. પરિણામે કારણે ફિસ્કલ ડેફિસિટ એટલે કે નાણાં ખાધ વધી શકે છે. આજે દાયકા પહેલાની વાત કરીએ તો ક્રૂડ તેલનો ભાવ $80 પ્રતિ બેરલથી વધુ થઈ જાય તો ભારતની ચિંતા વધી જતી હતી. પરંતુ હવે પરિસ્થિતિ થોડું બદલાઈ છે કારણ કે ભારતમાંથી પરદેશમાં માલ અને સોફ્ટવેર નિકાસ વધી છે. વિદેશમાં થતી નિકાસ થકી વિદેશી રેમિટન્સ-વિદેશથી ભારત નાણાં મોકલવાનું વધી ગયું છે. તેથી હવે ભારત ક્રૂડતેલનો ભાવ બેરલદીઠ 100 ડૉલર થઈ જાય ત્યાં સુધી સહન કરી શકે છે. જો ભાવ $100 પ્રતિ બેરલથી ઉપર લાંબા સમય સુધી રહે, તો તે મોટું મેક્રો જોખમ બની શકે છે.
“Fragile Five” સંકટ
2013માં જ્યારે તેલના ભાવ $100થી ઉપર રહ્યા થયા ત્યારે ભારતનો Current Account Deficit GDPના 5 ટકા સુધી પહોંચી ગઈ હતી. વૈશ્વિક બજારમાં ભારતને “Fragile Five” દેશોમાં ગણાવવામાં આવતું હતું. રૂપિયો માત્ર છ અઠવાડિયામાં જ 20 ટકાથી વધુ ઘટ્યો હતો. આ ઘટના વૈશ્વિક બજારમાં 2013 Taper Tantrum તરીકે જાણીતી છે.
હાલની યુદ્ધ સ્થિતિ કેમ જોખમી છે?
હાલના મધ્ય પૂર્વ સંઘર્ષમાં ખાસ કરીને નીચેની બાબતોને કારણે ઊર્જા બજારમાં તનાવ પેદા કરી રહ્યું છે. Strait of Hormuz બંધ થવાની ભીતિ સાચી પડી ગઈ છે. કતારના LNG સપ્લાય પર અસર પડી ચૂકી છે. કતારની કંપનીએ એલએનજી સહિતના તેના કન્ઝ્યુર્સને પત્ર લખીને જણાવી દીધું છે કે તેમના અંકુશ બહારના કારણો-યુદ્ધને કારણે તેણે આપેલા કમિટમેન્ટ પ્રમાણે તે ક્રૂડ કે પછી પેટ્રોલ-ડીઝલનો પુરવઠો આપી શકે તેમ જ નથી. વૈશ્વિક તેલ પુરવઠા પર અનિશ્ચિતતા વધી શકે છે. ભારત માટે આ માર્ગ અત્યંત મહત્વનો છે કારણ કે મોટા પ્રમાણમાં તેલ અને ગેસ આ માર્ગથી આવે છે.
વૈશ્વિક મૂડી પ્રવાહ પર અસર
યુદ્દના સંકટના કારણે વૈશ્વિક રોકાણકારો જોખમ લેવાનું ઓછું પસંદ કરી શકે છે. તેથી ભારતમાં FDI અને FPI પ્રવાહ ધીમો પડી શકે છે. ભારતીય રૂપિયામાં નબળાઈ આવી શકે છે. વિશ્લેષકો માને છે કે 2026માં વૈશ્વિક મૂડી અમેરિકા પરથી બીજા બજારો તરફ વળશે અને તેમાં ભારતને લાભ થશે. પરંતુ આ યુદ્ધ તે પ્રક્રિયા વિદેશી રોકાણ આવવામાં મોડું કરી શકે છે.
ટૂંકા ગાળામાં ભારત માટે સૌથી મોટું આર્થિક જોખમ છે ક્રૂડતેલનો ભાવ $100થી ઉપર જાય તો ઊભું થાય તેમ જ છે. તેનાથી મોંઘવારી, રૂપિયો, વ્યાજદર અને બજાર ઉપર દબાણ આવી શકે છે. પરંતુ લાંબા ગાળે ભારતની વૃદ્ધિ ક્ષમતા મજબૂત હોવાથી દેશ આ આંચકા સહન કરી શકે છે.



