• 2 March, 2026 - 3:06 PM

ખેડૂતો માટે તુવેરની ખેતી હવે વધુ સલામત બની જશે

– નરી આંખે ન જોઈ શકાતી ઉધઈથી લાગતા અને તુવેરના ઊભા પાકને 90 ટકા નુકસાન પહોંચાડતા એસએમડી રોગ સામે રક્ષણ આપતા જિન્સને વિજ્ઞાનીઓએ ઓળખી કાઢ્યો

– તુવેરના જિન્સમાં ફેરફાર કરી દેવાથી ખેડૂતો રોગ સામે વધુ સારુ રક્ષણ મેળવવાની સાથે સાથે જ જંતુનાશક દવાઓના ખર્ચમાં પણ ઘટાડો  કરી શકશે

– પ્રાકૃતિક ખેતી કરવાથી તુવેરની ફળીના ગુણવત્તા ઘણી જ સારી રહેતી હોવાનું અખતરાઓમાં જોવા મળ્યું, કેટલાક કિસ્સામાં ઉપજ થોડી ઓછી થાય છે પરંતુ બજારમાં સારો ભાવ પણ મળે છે

-એક હેક્ટર જમીનમા એકલી તુવેરની ખેતી કરવા માટે 12થી 15 કિલો બિયારણની જરૂર પડે છે. તેમ જ આંતરપાક તરીકે તુવેરની એક હેક્ટરમાં ખેતી કરવા માટે 8થી 10 કિલો બિયારણની જરૂર પડે છે.

– ગુજરાતમાં તુવેરની ખેતી હેઠળનો વિસ્તાર અંદાજે 2.30થી 2.50 લાખ હેક્ટરનો છે. તેમાં મળીને દર વરસે ગુજરાતમાં અંદાજે 2.5 લાખથી 2.9 લાખ ટન તુવેરનું ઉત્પાદન થાય છે.

ભારત માટે તુવેરનો પાક સૌથી વધુ મહત્વનો છે. કારણ કે તે આર્થિક રીતે પરવડે તેવો અને સૌથી વધુ પોષણ આપતો પાક છે. તેથી જ તુવેરના પાકને રક્ષણ આપતા જિન્સ અંગેનું સંશોધન મહત્વનું છે. હા, નવા સંશોધન સાથે જ તુવેરની ખેતીમાં મોટા પરિવર્તનનો આરંભ થઈ રહ્યો છે. સૂકા પ્રદેશોમાં ખેતી કરવા માટેના સંશોધનો કરતી ઇન્ટરનેશનલ ક્રોપ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર સેમિ એરિડ ટ્રોપિક્સ-ICRISATના વિજ્ઞાનીઓએ તુવેરના પાકને લાગતા અને ભારે વિનાશક ગણાતા સ્ટરીલિટી મોઝેઈક ડિસીઝ(SMD)ના રોગ સામે તુવેરને રક્ષણ આપતા જિન્સને ઓળખી કાઢવામાં સફળતા મેળવી છે. આ જિન્સને વિજ્ઞાનીઓએ Ccsmd04નું નામ આપ્યું છે. આ જિન્સ તુવેરને સૌથી વધુ રક્ષણ આપે છે. આ રોગ નરી આંખે ન જોઈ શકાતી ઉધઈને કારણે તુવેરના પાકને લાગી જાય છે. એકવાર આ રોગ લાગ્યા પછી તુવેરનો 90 ટકા પાક ખતમ જ થઈ જાય છે. પરિણામે ખેડૂતની આખી સીઝન ફેઈલ થઈ જતાં ખેડૂતની આર્થિક હાલત પણ કફોડી થઈ જાય છે. ખેડૂતની આવક બંધ થાય છે. ખેડૂત માટે ગુજરાન ચલાવવું કઠિન બની જાય છે. તેમ જ દેશની અન્નસુરક્ષા સામે પણ સવાલ ઊભો થાય છે.

ICRISATના વિજ્ઞાની ડૉ. મનીષ કે. પાંડેએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પલ્સ રિસર્ચ, રાજેન્દ્ર પ્રસાદ સેન્ટ્રલ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, અને ઇન્ડિયન એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સહયોગમાં અત્યાધુનિક જિનોમિક્સ, ફેનોમિક્સ અને બાયોઇન્ફોર્મેટિક્સનો સહારો લઈને તુવેરના પાકને રક્ષણ આપતા જિન્સને શોધી કાઢવામાં સફળતા મેળવી છે. જિનોમિક્સમાં તુવેરના ડીએનએનો અભ્યાસ કરવામાં આવે છે. ફેનોમિક્સમાં જિન્સના લક્ષણોનું અવલોકન કરવામાં આવે છે. તેમ જ બાયોઇન્ફોર્મેટિક્સમાં તેને લગતી માહિતીનું વિશ્લેષણ કરવામાં આવે છે અને તેનું અર્થઘટન કરવામાં આવે છે. તુવેરની આશા તરીકે ઓળખાતી વરાયટીના તુવેરના જિન્સનો અભ્યાસ કર્યો છે. આશા વરાયટીમાં એસએમડીનો પ્રતિકાર કરવાની ક્ષમતા છે. તેની સાથે જ મારુતિ તરીકે ઓળખાતી તુવેરની વરાયટીના જિન્સનો પણ અભ્યાસ કર્યો છે. મારુતિ તરીકે ઓળખાતી વરાયટીના જિન્સ એસએમડી રોગના આક્રમણ સામે ટકી શકતા નથી. તેના જિન્સની ચાર ફ્રેમમાં ફેરફાર કરી દેવામાં આવે તો તેમાં રોગનો પ્રતિકાર કરવાની ક્ષમતા વધી જાય છે.

વિજ્ઞાનીઓં કહેવું છે કે આ નવી શોધ તુવેરની નવી વરાયટી વિકસાવવા માટે કામ કરતાં વિજ્ઞાનીઓનો વિશ્વાસ વધારી દેશે. તેઓ જિન્સનું એડિટિંગ કરી શકશે એટલ કે તેમાં ફેરફાર કરી શકશે. તેમ જ જિન્સની પ્રતિકાર ક્ષમતાનો તેમાં ઉમેરો કરી શકશે. તુવેરની અન્ય વરાયટીમાં રોગપ્રતિકારક ક્ષમતા ધરાવતા હિસ્સાને તેમાં ઉમેરી દઈને તેની રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરી શકશે. આ સંશોધનને પરિણામે તુવેરનો પાક લેવા માટે ઓછામાં ઓછા જંતુનાશકોની જરૂર પડશે. પાકને નુકસાન થતું અટકી જશે તો તેને કારણે ખેડૂતોની આવક પર વિપરીત અસર પડશે નહિ. ખેડૂતોને ગુજરાન ચલાવવામાં તકલીફ પડશે નહિ. જંતુનાશકોનો ઉપયોગ ઓછો થઈ જવાથી પર્યાવરણને થતું નુકસાન પણ ઓછું થઈ જશે.

તુવેરદાળનું ઉત્પાદન કરતું ગુજરાત ભારતનું એક મુખ્ય અને મોટું રાજ્ય છે. તેમાં મસૂરની દાળનો પણ સમાવેશ કરી લેવામાં આવતો હોવાનું જણાય છે. ગુજરાતમાં તુવેરની ખેતી હેઠળનો વિસ્તાર અંદાજે 2.30થી 2.50 લાખ હેક્ટરનો છે. તેમાં મળીને દર વરસે ગુજરાતમાં અંદાજે 2.5 લાખથી 2.9 લાખ ટન તુવેરનું ઉત્પાદન થાય છે. તુવેરની ખેતી માટે ખરીફ સીઝન મુખ્ય છે. જૂન-જુલાઈમાં તેનું વાવેતર કરવામાં આવે છે. સમયસર વાવણી કરવામાં આવે અને આ વરસની જેમ ચોમાસુ સારુ રહે તો તુવેરનું ઉત્પાદન સારામાં સારું થાય છે. હા, ઘણાં ચોમાસુ પૂરું થયા પછી સપ્ટેમ્બરમાં પણ તુવેરની વાવણી કરે છે. તેમાં વિલંબ થાય તો પંદરમી ઓક્ટોબર સુધીમાં પણ વાવણી કરે છે. જોકે તુવેરની વાવણીમાં વિલંબ થાય તો ઉપજમાં ઘટાડો થઈ શકે છે.

ગુજરાતમાં જૂનાગઢ, રાજકોટ ને જામનગરમાં તુવેરની ખેતી વિશેષ કરવામાં આવે છે. મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક હિસ્સાઓમાં પણ તુવેરની ખેતી કરવામાં આવે છે. જૂનાગઢમાં તો તુવેરદાળના સંશોધન માટેનું વિશેષ સેન્ટર પણ છે. જીજેપી શ્રેણીની તુવેરની વરાયટીની ખેતી ગુજરાતમાં કરવામાં આવે છે. ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળામાં તુવેરનો પાક તૈયાર થઈ જાય તેવી વરાયટીઓ પણ મોજૂદ છે. ટૂંકા ગાળામાં તુવેર તૈયાર થઈ જાય તેવો પાક લેવા માટે 45 સેન્ટિમીટરના અંતરે દસ સેન્ટીમીટરનું બે લાઈન વચ્ચે ડિસ્ટન્સ રાખીને પાક લઈ શકાય છે. તેમ જ મધ્યમ ગાળામાં તુવેરનો પાક લેવા ઇચ્છનારાઓએ 60 સેન્ટીમીટરના અંતરે અને બે લાઈન વચ્ચે 30 સેન્ટીમીટરનું અંતર રાખીને રોપાના વાવણી કરવી જોઈએ. તેમાં જ લાંબા ગાળા માટે 60 સેન્ટીમીટર બાય 30 સેન્ટીમીટરનું અંતર રાખીને કામકાજ કરી શકાય છે. એક હેક્ટર જમીનમા એકલી તુવેરની ખેતી કરવા માટે 12થી 15 કિલો બિયારણની જરૂર પડે છે. તેમ જ આંતરપાક તરીકે તુવેરની એક હેક્ટરમાં ખેતી કરવા માટે 8થી 10 કિલો બિયારણની જરૂર પડે છે. એક એકર વિસ્તારમાં તુવેરની ખેતી કરવા માટે બિયારણને અઢીથી ભાગાકાર કરી દેવામાં આ તેટલું બિયારણ જરૂર પડે છે. તુવેરનો પાક 90થી 150 દિવસમાં તૈયાર થઈ જાય છે. ખરીફ સીઝનમાં ટૂંકા ગાળાની વરાયટી 90થી 110 દિવસમાં, મધ્યમ ગાળાની વરાયટી 120થી 150 દિવસમાં અને લાંબા ગાળાની વરાયટી 150થી 200 દિવસમાં તૈયાર થઈ જાય છે. તુવેરની ફળી તૈયાર થઈ જાય ત્યારે તેની અંદરના દાણા સૂકાવાની પ્રક્રિયા થવા માંડે છે. આ પ્રક્રિયા થવા માંડે ત્યાર પછી તેની લણણીનો આરંભ કરી શકાય છે.

તુવેરદાળનું હેક્ટરદીઠ ઉત્પાદન અંદાજે 1100થી 1400 કિલોની આસપાસનું થાય છે. વિજ્ઞાનીઓએ કરેલા અખતરામાં હેક્ટરદીઠ ઉત્પાદન 1299 કિલોનું આવ્યું છે. જોકે દરેક ખેતરમાં ઉત્પાદનના આંકડાં અલગ આવી શકે છે. એક હેક્ટરમાં તુવેરની ખેતી કરવાનો અંદાજિત ખર્ચ રૂ. 38થી40 હજારની આસપાસનો આવે છે. એક એકરે આ ખર્ચ રૂ.15000થી 16000નો આવે છે. જોકે મજૂરી ખર્ચ, બિયારણનો ખર્ચ અને સિંચાઈના ખર્ચ પર પણ કુલ ખર્ચનો આધાર રહેલો છે.

તુવેરની ફળીને પોડ બોરર રોગ લાગુ પડતો હોવાનું જોવા મળે છે. તેનાથી પાકને ખાસ્સું નુકસાન થાય છે. તુવેરની ફળીને મેલાનાગ્રોમાયઝા ઓબ્ટુસા એટલે કે એફિડ્સ, થ્રીપ્સ અને લીફ રોલર-પાંદડાં વળી જવાનો રોગ લાગુ પડે છે. સામાન્ય પણે આ રોગ થતાં હોવાનું જોવા મળે છે. તેમ જ ખેતરની માટેની કારણે પણ ફુસારિય વિલ્ટ નામનો રોગ થાય છે. આ રોગને કારણે ખાસ્સું નુકસાન થાય છે. તેમ જ સ્ટરીલીટી મોઝેઈક ડિસીઝ પણ થાય છે. અતિશય નાની ઉધઈના માધ્યમથી ફેલાતો આ રોગ છે. તુવેરને આ રોગથી ખાસ્સું નુકસાન થાય છે. ગુજરાતના ઘણાં વિસ્તારોમાં એસએમડીને કારણે બહુ જ મોટું નુકસાન થાય છે.

તુવેર અંગે કરવામાં આવેલા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે ક્લોરાન્ટરાનીલિપ્રોલ નામની રાસાયણિક દવા, એમામેક્ટિન બેન્ઝાઓટે અને ફ્લુબેન્ડાયામાઈડ અસરકારક છે. દવા પરની સૂચના મુજબ હેક્ટરદીઠ ડોઝ તૈયાર કરવા વિનંતી છે.

ગૌમૂત્રનું બાયોપેસ્ટિસાઈડ અસરકારક

આ રોગ સામે રક્ષણ આપવામાં ગૌમૂત્ર અસરકાકર ગણાય છે. વાવણી કરતાં પહેલા 30થી 40 લિટર ગૌમૂત્ર લઈને સિંચાઈના પાણીમાં તે આપી દેવું જરૂરી છે. તેને પરિણામે વાવણી માટેના બીજને રક્ષાકવચ મળી જાય છે.  તેનાથી બિયારણને કારણે થતાં કે જમીનમાંની જીવાતને કારણે થતાં રોગ અંકુશમાં આવી જાય છે. તેનાથી બીજની અને જમીનની તન્દુરસ્તીમાં વધારો થાય છે. રાસાયણિક ખાતર કે જંતુનાશકથી ખેતી કરનારાઓ પર ગૌમૂત્રનો ઉપયોગ કરીને તેમના પાકને રક્ષણ આપવાની વ્યવસ્થા કરી શકે છે. ગૌમૂત્રમાંથી બાયોપેસ્ટિસાઈડ બનાવવા માટે કડવા લીમડાંના પાન-લીંબોડી, લસણ અને મરચાંના અર્કનો ઉમેરો કરીને તેમાંથી બાયોપેસ્ટિસાઈડ બનાવી શકાય છે. આ બાયોપેસ્ટિસાઈડ વધુ અસરકાર છે. બિયારણને જંતુનાશક દવાને બદલે ગૌમૂત્રનો પટ આપી શકાય છે. બિયારણને વધુ તન્દુરસ્ત બનાવી શકાય છે. તેનાથી તુવેરની ફળી વધુ તન્દુરસ્ત થતી હોવાનું જોવા મળે છે.

અખતરાઓમાં

શું પરિણામ મળ્યા

રાસાયણિક ખાતર અને નેચરલ ફાર્મિંગ પદ્ધતિથી તુવેરનો પાક લેવાના કરેલા અખતરાઓના પરિણામો સારા આવ્યા છે. જીવામૃત, મલ્ચિંગ અને કુદરતી કે છાણિયું ખાતર નાખીને તુવેરની કરવામાં આવેલી ખેતીમાં છોડનો વિકાસ ઘણો સારો જોવા મલ્યો છે. ઇન્ટર ક્રોપિંગમાં એટલે કે આંતરપાકમાં પણ તુવેરના છોડનો વિકાસ ઘણો જ સારો રહ્યો હોવાનું જોવા મળ્યું છે. તેને પરિણામે જમીનની તન્દુરસ્તીમાં પણ સુધારો થયો હોવાનું જોવા મળ્યું છે. તદુપરાંત જમીનની જળ સંગ્રહ કરવાની ક્ષમતામાં પણ વધારો થયેલો જોવા મળ્યો છે. સૂકા પ્રદેશ અને પૂરતા વરસાદવાળા વિસ્તારમાં આ અખતરાઓ કરવામાં આવ્યા છે. કેટલાક કિસ્સાઓમાં ઉપજ થોડી ઓછી આવી હોવાનું પણ જોવા મળ્યું છે. જોકે તેની ગુણવત્તા સાર રહેતા બજારમાં સારા ભાવ ઉપજતા હોવાનું પણ જોવા મળ્યું છે. હા, તેનાથી કેમિકલ ફર્ટિલાઈઝર અને જંતુનાશકોનો ઉપયોગ ઘણો ઓછો થઈ ગયો છે. દરેક ખેતરમાં તેના અલગ પરિણામો મળે છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી તુવેરની ફળી ઘણી જ સારી થાય છે તે નિશ્ચિત છે. તેમ જ બિયાંરણની ગુણવત્તામાં પણ તેનાથી સુધારો થાય છે.

ગુજરાતના ખેડૂતોને સલાહ

તુવેરની ખેતી કરવા માટે યોગ્ય વરાયટીની પસંદગી કરો. જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીએ તેને માટે સૂચનો કરેલા જ છે. બીજામૃત અને ટ્રાયકોડરમાનો બીજને પટ આપો. શક્ય બને ત્યાં સુધી માન્યતા પ્રાપ્ત બાયો પેસ્ટિસાઈડ્સનો જ ઉપયોગ કરો. જૂન-જુલાઈમા જ વાવેતર કરવું વધુ લાભદાયક બની શકે છે. રોગનો પ્રતિકાર કરવાની સારી ક્ષમતા ધરાવતી વરાયટીનો જ પાક લો. ગુજરાતના ખેડૂતો માટે જીજેપીની સીરીઝમાં આવતી વરાયટીનો પાક લેવાનું જ આયોજન કરવું જોઈએ.

Read Previous

ટ્રસ્ટ ડીડમાં ફેરફાર ન કરે તો સખાવતી-ધાર્મિક ટ્રસ્ટના રિન્યુઅલની અરજીઓ રિજેક્ટ થશે

Read Next

ક્રિપ્ટો સ્કેમ કેવી રીતે ઓળખવવા માટે ભારતીય રોકાણકારો માટે ચેતવણીના સંખ્યાબંધ સંકેતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular