• 13 February, 2026 - 3:44 PM

ભાવ ઘટતા શેર્સ ખરીદવાની ભલામણ સ્વીકારતા છૂટક રોકાણકારો સાવધાન

  • IPOમાં એકત્રિત કરવામાં આવતી નવા શેરધારકોની મૂડી વ્યવસાયિક વૃદ્ધિ માટે વપરાતી નથી. લાંબા ગાળાના મૂલ્ય સર્જન માટે મૂડીનો ઉપયોગ ધંધામાં વધારો કરવા માટે થાય તે જરૂરી હોય છે.
  • 2026માં “Buy on Dip” ની આદત ખતરનાક સાબિત થઈ શકે છે, લાખના બાર હજાર થવાનું જોખમ

શેરબજારનો માહોલ અતિશય આશાવાદ તરફ વળે છે, ત્યારે અનુભવી રોકાણકારો મૂડી લગાવવાથી મળતા વળતરને બદલે મૂડી પાછી ખેંચી લેવા પર ફોકસ કરતાં હોવાનું જોવા મળે છે. સુરક્ષાનો માજિન (Margin of Safety) આજે મહત્વનો ગણાય છે. તાજેતરના IPOના સંદર્ભમાં વાત કરીએ તો સાવચેત વલણ અને રોકડ જાળવી રાખવાની રણનીતિ આજના બજારની ચઢાવઉતારની સાઈકલના ચક્રમાં જીવતા રહેવા માટે જરૂરી બની ગઈ છે.

આજે શેરબજારમાં ટ્વેન્ટી-20 નહિ પણ ટેસ્ટ મેચ અને તે પણ ડિફેન્સના અભિગમ સાથે રમવાનો સમય આવી ગયો છે. ટ્વેન્ટી-20ના અભિષેક શર્માની જેમ નહિ, પરંતુ રાહુલ દ્રવિડની માફક પીચ પર ટકી રહીને સ્ટેડી ગેમ રમવાનો સમય શેરબજારમાં આવી ગયો હોવાનું જણાય છે.

આ અભિગમ સાથે રોકાણમાં પણ મૂડી બચાવને પ્રથમ સ્થાન આપવું જોઈએ. તેમ જ Margin of Safety રાખવી પણ જરૂરી છે. માર્જિન સેફ્ટી આપણને હંમેશાં સાચા સોદાઓ કરવા તરફ વાળે છે અને ઊડઝૂડિયા નિર્ણયો લેવાને બદલે ખરાબ પરિસ્થિતિ માટે તૈયાર રહેવાનું શીખવે છે. આમેય શેરબજારમાં કહેવાયું છે કે જે બેર-મંદીના માર્કેટમાં ટકે, તે ફરી લડવા લાયક બને છે.”

બજારનું લોલક ગમે તે તરફ જઈ શકે

અમે માનીએ છીએ કે Return on Capital કરતા Return of Capital વધારે મહત્વપૂર્ણ છે. રોકાણ નિષ્ણાત હાવર્ડ માર્ક્સ કહે છે કે બજારનું લોલક-પેન્ડુલમ બહુ ઓછો સમય મધ્યબિંદુ (ફેર વેલ્યુ) પર રહે છે. તે સતત અતિશય આશાવાદ અને અતિશય નિરાશા વચ્ચે ઝૂલતું રહે છે. દરેક રોકાણ ચક્રમાં બૂમ પછી બસ્ટ આવવાનું સ્વાભાવિક છે. બીજા શબ્દોમાં કહીએ તો મોટી તેજી પછી મોટો કડાકો આવતો જ હોય છે. છેલ્લા દાયકાના ભારે રિટર્ન જોઈને આજની તારીખે આપણે પેન્ડુલમના કયા છેડે છીએ તે સમજવું જરૂરી છે.

રોકાણકારોએ મૂલ્યાંકનમાં Margin of Safety માગવી જોઈએ, જેથી ભૂલ થાય તો પણ સીમિત નુકસાન આવી શકે છે. શેરબજારનો ઇતિહાસ બતાવે છે કે લાંબા ગાળાના રિટર્ન્સ શરૂઆતના વેલ્યુએશન સાથે વિપરીત પ્રમાણમાં જોડાયેલા હોય છે. ઊંચા આશાવાદના સમયમાં બજારમાં લેવરેજ વધે છે, જે નફા સાથે નુકસાન પણ અનેકગણું કરે છે. કોઈ અચાનક નકારાત્મક ઘટના (Black Swan) આવે તો ફરજિયાત વેચવાલી શરૂ થઈ શકે છે. આ વેચવાલીના તબક્કામાં લોકો મૂળભૂત ગુણવત્તા જોયા વગર જે વેચાય તે વેચી નાખે છે. પરિણામે ઘણીવાર ખૂબ જ ખરાબ ભાવ પર હોલ્ડિંગને વેચી મારવાની નોબત આવે છે.

IPO પેરાડોક્સ: વિકાસ નહીં, દેવું ચૂકવવા ફંડ

છેલ્લા પાંચ વર્ષમાં IPO ની મોટી લહેર આવી છે. આ આઈપીઓની લહેર સામાન્ય રીતે બજારમાં અતિશય ઉત્સાહ હોવાની નિશાની છે. પરંતુ ઘણા IPO ઊંચા વેલ્યુએશન પર આવ્યા છે, પરંતુ સ્થિર કેશ ફ્લોનો સ્પષ્ટ માર્ગ દેખાતો નથી. ઘણા કિસ્સામાં કંપનીઓ IPO દ્વારા વિકાસ માટે નહીં, પરંતુ જૂનું દેવું ચૂકવવા અથવા વર્કિંગ કેપિટલ માટે નાણા ઉઠાવી રહી છે. પરિણામે નવા શેરધારકોની મૂડી વ્યવસાયિક વૃદ્ધિ માટે વપરાતી નથી. લાંબા ગાળાના મૂલ્ય સર્જન માટે મૂડીનો ઉપયોગ ધંધામાં વધારો કરવા માટે થાય તે જરૂરી હોય છે.

જોખમ સમજવામાં પેઢીગત અંતર

છેલ્લા દાયકામાં ડીમેટ ખાતાં ઝડપથી વધ્યા છે. મોટાભાગના રોકાણકારો 35 વર્ષથી નાના છે અને તેમણે ક્યારેય સાચો બેર માર્કેટ-શેરબજારમાં મોટી મંદી જોઈ જ નથી. તેથી “Buy on Dip” એક આદત બની ગઈ છે. ભલે વેલ્યુએશન કેટલું પણ ઊંચું હોય. આ 2026ની સાલમાં ખરાબ કે જોખમી સાબિત થઈ શકે છે. આ ટ્રેન્ડ અચાનક બંધ ન થઈ જાય સુધી જ ચાલે છે.

હવે આપણે શીખવાના છીએ કે નુકસાનથી બચાવ પણ નફો કમાવા જેટલો જ મહત્વનો છે. ઘણા પોર્ટફોલિયોમાં થીમ આધારિત અથવા “મૂનશોટ” રોકાણ હોય છે. મૂનશોટ રોકાણમાં ફંડામેન્ટલ્સ ઓછા હોય છે. સટ્ટા આધારિત વધઘટ વધારે હોય છે. આ સમગ્ર રજૂઆત કરવાનો મૂળભૂત હેતુ એ છે કે શેરબજારની ચાલની વર્તમાન સાઈકલમાં આ પ્રકારની પોઝિશન રાખવી જોખમી બની શકે છે. બજારના શ્રેષ્ઠ સમયમાં જ ખરાબ નિર્ણય લેવાઈ જતો હોય છે. તેનું કારણ FOMO-તક ચૂકી જવાની લાગણી, અતિશય અપેક્ષાઓ અને નેરેટિવ આધારિત રોકાણ છે. ઝડપી કમાઈ લેવાની માનસિકતા ધરાવતા યુવાનો તેમાં ફસાય છે.

Warren Buffett ની કંપની Berkshire Hathaway પાસે 2025ના મધ્યમાં લગભગ $381.7 બિલિયન રોકડ હતી. બફેટ કહે છે: બીજા લોભી હોય ત્યારે ડરો.” 2024 પછીથી બર્કશાયર સતત 10 ક્વાર્ટર સુધી નેટ સેલર રહી છે. આ બાબત હાલના ઊંચા વેલ્યુએશન સામે સાવચેત વલણ દર્શાવે છે. મજબૂત કંપનીઓ પણ વધારે વેલ્યુએશન પર ખરીદાય તો લાંબા સમય સુધી નબળા રિટર્ન આપી શકે છે.

પ્રથમ “Return of Capital” પર ધ્યાન આપવાથી ભવિષ્યમાં પસંદગીપૂર્વક વૃદ્ધિમાં રોકાણ કરવાની મજબૂત પાયાં બને છે. મજબૂત બેલેન્સ શીટ અને વાજબી વેલ્યુએશન ધરાવતી કંપનીઓ પસંદ કરવી જોઈએ, બજારમાં ઝડપી વધઘટ દર્શાવતા શેર્સની ખરીદ કરી કમાઈ લેવા માટે દોટ મૂકવાને બદલે લિક્વિડિટી જાળવી રાખવી મહત્વની છે. બીજા શબ્દોમાં કહીએ તો મંદીના માહોલમાં પણ વેચાઈ શકે તેવા શેર્સમાં રોકાણ કરવું જરૂરી છે. ખરાબ સમયમાં મૂડી બચાવવી એટલી જ જરૂરી છે. જેમ કે સારી તક આવે ત્યારે મૂડી લગાવવી પણ એટલી જ જરૂરી છે. છેલ્લે એટલું કહી શકાય કે જે મંદીના માર્કેટમાં ટકી શકે છે તે તેજીના તોફાન વખતે તગડી કમાણી કરી જ શકે છે.

 

Read Previous

નિકાસકારો માટે ડિજિટલ ટ્રેડ ફેસિલિટેશન બિલ આવશે

Read Next

રજિસ્ટ્રેશન કેન્સલ થયું હોય તેવા વેપારીઓ સાથે સોદા કરનારાઓના ક્રેડિટ લેજર બ્લોક કર્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular