સાયબર ફ્રોડથી બચવા બેન્ક ખાતાંના તમામ ટ્રાન્ઝેક્શન તત્કાળ બંધ કરવા કીલ સ્વિચની સુવિધા આપશે

ડિજિટલ પેમેન્ટમાં સાયબર ફ્રોડ ઘટાડવા નવા નિયમોઃ રિઝર્વ બેન્કે સાયબર ફ્રોડ સામે રક્ષણ આપવા ડિજિટલ પેમેન્ટ સુરક્ષાના પગલાં લેવા માટેનો નવો મુસદ્દો જાહેર કર્યો
દરેક વ્યક્તિ આગામી નવમી મે સુધી નવા નિયમો અંગે રિઝર્વ બેન્કને પોતાના મંતવ્યો જણાવી શકશેઃ મે મહિનાની પંદરમાં કે વીસમી પછી નવા નિયમો જાહેર કરીને અમલમાં લાવી દેવાનું આયોજન
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૂવાર
ભારતીય રિઝર્વ બેન્કે ડિજિટલ પેમેન્ટમાં વધતા ઠગાઈના કેસોને નિયંત્રિત કરવા માટે નવા સુરક્ષા પગલાં લેવાના નવતર આયોજનના મુસદ્દાની જાહેરાત કરી છે. નવતર વ્યવસ્થામાં ચોક્કસ ટ્રાન્ઝેક્શન થવા દેવામાં થોડો વિલંબ લાવવો, સંવેદનશીલ વપરાશકર્તાઓ માટે વધારાની ચકાસણી અને ગ્રાહકોને તેમના ખાતા પર વધુ નિયંત્રણ મૂકવાની જોગવાઈ કરવામાં આવી છે. j
રિઝર્વ બેન્કે લેવા ધારેલા આ પગલાં ખાતેદારોની સુરક્ષા વધારવા માટે છે. તેની સાથે સાથે જ ખાતેદારોની સુવિધા સ્વતંત્રતા-સ્વાયતત્તા અને ડિજિટલ પેમેન્ટ વ્યવહારિક રીતે કેવી રીતે કામ કરશે તે અંગે પ્રશ્નોનો સરળ ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ડિજિટલ પેમેન્ટ ફ્રોડ વધતા કેસોને રોકવા માટે રિઝર્વ બેન્કે નવા નિયમોનો મુસદ્દો બહાર પાડ્યો છે. તેને ચર્ચા પત્ર તરીકે પણ ઓળખાવવામાં આવે છે. જોકે જાહેર કરેલા આ અંતિમ નિયમો નથી. નવા નિયમો અંગે આઠમી મે સુધી દરેક વ્યક્તિ તેમના મંતવ્યો રજૂ કરી શકે છે. ત્યારબાદ તે અંગે વિચારણાં કરીને તેને આખરી ઓપ આપીને જાહેર કરવામાં આવશે. સંભવતઃ 20મી મે કે પહેલી જૂનથી નવા નિયમો લાગુ કરી દેવામાં આવે તેવી સંભાવના છે.
એક, નવી વ્યવસ્થા હેઠળ વૃદ્ધ અને સંવેદનશીલ વપરાશકર્તા માટે વધારાની ચકાસણી કરવામાં આવશે. 70 વર્ષથી વધુ વયના લોકો અથવા દિવ્યાંગ વ્યક્તિઓ માટે રૂ. 50,000થી વધુ ટ્રાન્ઝેક્શન માટે ટ્રસ્ટેડ પરસનની એટલે કે ખાતેદારની વિશ્વાસું વ્યક્તિની મંજૂરી જરૂરી થઈ શકે તેવા વિકલ્પ પણ આપવામાં આવશે.
જોકે કેટલાક ખાતાઓ પર મર્યાદા પણ મૂકવામાં આવી છે. તેમાંય ખાસ કરીને જે ખાતાઓનું સંપૂર્ણ વેરિફિકેશન થયું નથી, તેમાં વાર્ષિક આવક મર્યાદાને ધ્યાનમાં રાખીને નિયમો લાગુ કરી શકાશે. ઉદાહરણ તરીકે રૂ. 25 લાખની મર્યાદા કોઈ ખાતાને માટે લાગુ કરી શકાય છે. આમ કરીને જે તે ખાતાનો મ્યુલ એકાઉન્ટ તરીકે દુરુપયોગ થતો અટકાવી શકાય છે.
ગ્રાહક નિયંત્રિત સુરક્ષા વધારવાનો નવા નિયમના માધ્યમથી કરવામાં આવશે. તેમાં ખાતાનો વપરાશકર્તાઓને ડિજિટલ પેમેન્ટ ચાલુ કે બંધ કરવાની છૂટ આપવામાં આવશે. તેમના નાણાંકીય વહેવારોની મર્યાદા નક્કી કરવામાં આવી શકે છે. તેમ જ તાત્કાલિક તમામ ટ્રાન્ઝેક્શન બંધ કરવાની સુવિધા મળી શકે તે માટે કીલ સ્વિચની સુવિધા પણ આપવામાં આવશે.
સાયબર ફ્રોડના વધી રહેલા કેસો
છેલ્લા વર્ષોમાં ડિજિટલ ફ્રોડ ખૂબ વધી ગયો છે. પરિણામે રિઝર્વ બેન્ક તેને નિયંત્રણમાં લેવા માટે નવતર આયોજન કરી રહી છે. સાયબર ફ્રોડના કેસોની સંખ્યા નીચે મુજબ છે.
- 2021માં ~2.6 લાખ કેસ અને ફ્રોડની રકમ અંદાજે રૂ. 551 કરોડ
- 2025માં ~28 લાખ કેસ અને ફ્રોડની રકમ વધીને રૂ. 22,931 કરોડ
ઘણા કેસોમાં ઓથોરાઈઝ્ડ પુશ પેમેન્ટથી ફ્રોડ થાય છે, તેમાં લોકો પોતે જ પૈસા ટ્રાન્સફર કરે છે. પરંતુ ઠગાઈ કરનારાઓ તેમને જાતજાતની ધમકીઓ આપીને કે ડિજિટલ એરેસ્સ ટકરીને તેમને પૈસા જમા આપવાની ફરજ પાડે છે. આ રીતે ગયેલા પૈસા પાછા મેળવવા મુશ્કેલ હોય છે.
અન્ય દેશોમાં પણ સુવિધા
વિશ્વના અન્ય દેશોમાં પણ સાયબર ફ્રોડથી બેન્ક ખાતેદારોને બચાવવા માટે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે, બ્રિટનમાં પેમેન્ટ કરવામાં 72 કલાક સુધીનો વિલંબ કરવામાં આવે છે. સિંગાપોરમાં પણ કૂલિંગ ઓફ પિરિયડ અને કિલ સ્વિચની સુવિધા આપવામાં આવે છે. ઓસ્ટ્રેલિયામાં પણ સાયબર ફ્રોડ રોકવા માટે ખાતામાં થતાં નાણાંકીય વહેવારની વિશેષ ચકાસણી કરવામાં આવે છે.
રોજિંદા UPI ટ્રાન્ઝેક્શન પર નવા નિયમોની ખાસ કોઈ અસર પડવાની સંભાવના નહિવત છે. નવી વ્યવસ્થા હેઠળ દુકાન કે રેસ્ટોરાંમાં કરવામાં આવતા પેમેન્ટ પર કોઈ જ અસર પડશે નહિ. સર્વિસિસ માટેના બિલના પેમેન્ટ પર પણ નવા નિયમની બહુધા અસર પડશે નહિ. બેન્ક ખાતેદારે કરાવેલા ઈ.એમ.આઈ. કે ઓટો ડેબિટની વ્યવસ્થા પણ તેની અવળી અસર પડશે નહિ. તેમાંય ખાસ કરીને પહેલાથી જ ટ્રસ્ટેડ બેનિફિશિયરીની વ્યવસ્થા કરવામાં આવી હશે તેના પર કોઈ જ અસર પડશે નહિ.
સાયબર ફ્રોડમાં શિકાર બનતા સિનિયર સિટીઝન
સાયબર ફ્રોડ બધાં જ ખાતેદારોને આમ તો પર અસર કરે છે, પરંતુ, સિનિયર સિટીઝન સામે વધુ જોખમ હોવાનું સામાન્ય રીતે જોવા મળે છે. તેમાંય ખાસ કરીને તેમના પર દબાણ ઊભું કરીને તેમના નામે જ ફ્રોડસ્ટર પોતે ખાતામાં નાણાંકીય વહેવારો કરી લે છે. તેથી જ નવા નિયમોના મુસદ્દામાં સિનિયર સિટીઝન માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
એક કલાકનો વિલંબ ફ્રોડ રોકશે?
પેમેન્ટ કરવામાં એક કલાકનો વિલંબ કરવાથી કેટલાક કેસમાં મદદરૂપ બની શકશે. તેમાં અર્જન્ટ પેમેન્ટ કરાવીને છેતરી જનારાઓ પર બ્રેક લાગશે. તેમ જ ખાતેદારને તેની સાથે ફ્રોડ થયો હોવાની જાણ કરવા માટે સમય મળી જશે. હા, લાંબા ગાળાના સ્કેમ પર તેની અસર સીમિત રહેવાની સંભાવના છે. રિઝર્વ બેન્ક ડિજિટલ પેમેન્ટ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ તૈયાર કરવાની કામગીરમાં પણ સક્રિય બની ચૂકી છે. આ પ્લેટફોર્મ એડવાન્સ એનાલિટિક્સની મદદથી શંકાસ્પદ નાણાંકીય વહેવારોની પેટર્નને પકડી શકશે. આમ તેનાથી સાયબર ફ્રોડ ઘટવાની સંભાવના વધી જશે. જોકે મોટી રકમના પેમેન્ટ કરનારાઓને વિલંબની સમસ્યાનો સામનો કરવો પડશે.
નવા નિયમોને કારણએ ખાતેદારને ઓટો રિક્ષા કે ટેક્સિના પેમેન્ટ કરવામાં કોઈ જ મુશ્કેલી પડશે નહિ. તેમના પેમેન્ટ ઇન્સ્ટન્ટ જ થેસ. તેમાં કોઈ જ વિલંબ કરવામાં આવશે નહિ. મર્ચન્ટ પેમેન્ટને નવા નિયમો લાગુ કરવામાં આવશે નહિ. વીજળીના બિલ, મોબાઈલ રિચાર્જ, ઈએમઆઈ ઓટો ડેબિટ પર કોઈ જ અસર પડશે નહિ. બિલ પેમેન્ટ કે વારંવાર કરવામાં આવતા પેમેન્ટને તેમાંથી બાદ કરી દેવામાં આવશે. કોઈ નવી વ્યક્તિને કે મિત્રને રૂ. 15000થી 20,000 મોકલવાના હશે તો તેમને પેમેન્ટ પહોંચવામાં એક કલાકનો વિલંબ થશે. તેમની સાથે કરવામાં આવેલા નાણાંકીય વહેવારો એક કલાક માટે હોલ્ડ પર રહેશે. તેથી કોઈ ફ્રોડ હશે તો પૈસા બચી જશે. ફ્રોડસ્ટરને પૈસા ટ્રાન્સફર થતાં હોય તો તમે તે પેમેન્ટ કેન્સલ કરી શકશો. 70 વર્ષથી મોટી વયના ખાતેદારને રૂ. 50,000થી વધુ રકમના પેમેન્ટ કરવાના આવશે તો તેવા સંજોગોમાં તેની વિશ્વાસુ વ્યક્તિની મંજૂરી લઈને જ પેમેન્ટ કરી શકાશે. જોકે 70 વર્ષથી મોટી વયની વ્યક્તિ પોતાના જ પરિવારના સભ્યને પેમેન્ટ કરશે તો તેમાં કોઈ વિલંબ થશે નહિ. પોતાના જ બીજા બેન્ક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરશે તો કોઈ જ વિલંબ થશે નહિ. ફોન હેક થાય કે ફ્રોડસ્ટર થકી વન ટાઈમ પાસવર્ડ મોકલવામાં આવ્યો હોવાની શંકા જાય તો કિલ સ્વિચનો ઉપયોગ કરી શકાશે. ફ્રોડ થયો હોવાનું જણાય તો ખાતેદાર એક જ ક્લિકમાં તમામ નાણાંકીય વહેવારો અટકાવી શકશે. એક જ ક્લિકમાં યુપીઆઈના તમામ પેમેન્ટ અટકાવી શકાશે. ઓટીપીથી કે કૉલ કરીને આચરવામાં આવતા ફ્રોડ ઘટી જશે. હા, તેમાં અરજન્ટ પેમેન્ટ કરવામાં થોડી તકલીફ આવી શકે છે.



