• 26 April, 2026 - 8:15 AM

કરદાતાએ હવે ફ્યુચર એન્ડ ઓપ્શનના ટ્રેડિંગ અને ઇન્ટ્રાડે ટ્રેડનો ટર્નઓવરની વિગતો આવકવેરા રિટર્નમાં અલગથી દર્શાવવીપડશે

નવા ઇન્કમટેક્સ રિટર્નમાં નવી જોગવાઈ કરવામાં આવીઃ કરદાતા તેના વહેવારોની વધુ વિગતવાર માહિતી આપશે તો નોટિસ મળવાની શક્યતા આપોઆપ જ ઘટી જશે

આકારણી વર્ષ 2026-27 માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે-સીબીડીટીએ ઇન્કમ ટેક્સ રિટર્નના ફોર્મ્સમાં ફેરફારો કરીને ફ્યુચર એન્ડ ઓપ્શનના સોદાઓની, રાજકીય ડોનેશનની અને પ્રિઝમ્પટિવ ટેક્સપેયર્સ માટે રોકાણની વધુ વિગતો અલગથી દર્શાવવાની ફરજિયાત કરી દીધી છે.

આવકવેરાના રિટર્નના ફોર્મ નંબર આઈટીઆર-1માં ફેરફાર કરીને બે મકાન એટલે કે હાઉસ પ્રોપર્ટી ધરાવતા કરદાતાઓને પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફેરફાર પગારદાર વર્ગ માટે રાહતરૂપ સાબિત થશે. પગારદારોએ અગાઉ વધુ જટિલ ITR-2 ફોર્મ ભરવું પડતું હતું. હવે આવકવેરા રિટર્ન-1માં “હાઉસ પ્રોપર્ટી” શેડ્યૂલમાં સહ-માલિકીની ટકાવારી અને ભાડે આપેલ મિલકતમાં ભાડૂતની માહિતી પણ ફરજિયાત આપવી પડશે.

આવકવેરાના રિટર્નના નવા આઈટીઆર-1 ફોર્મ્સમાં વ્યક્તિગત માહિતી વિભાગમાં સરનામું ઉમેરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. કેપિટલ ગેઇન્સના શેડ્યૂલને સરળ બનાવવામાં આવ્યો છે. તેથી જે તે સંબંધિત વર્ષના ટેક્સ દરો પ્રમાણે સ્પષ્ટ દેખાઈ આવશે. તદુપરાંત મોડું રિટર્ન ભરવા માટે ફી ચુકવણી માટે અલગ ફિલ્ડ ઉમેરવામાં આવ્યું છે.

નવા ફોર્મ્સ ડેટા ટ્રાયએન્ગ્યુલેશન-એટલે કે તેમાં મળતી માહિતીમાં કોઈ ગરબડ હશે તો તે અલ્ગોરિધમની મદદથી સહેલાઈથી શોધી શકાય છે. પરિણામે કરદાતા વધુ વિગતવાર માહિતી આપશે તો તે કરદાતાઓને આપોઆપ નોટિસ આવવાની શક્યતા ઘટે છે.

આવકવેરાના રિટર્નનું ફોર્મ નંબર 4 ભરનારા કરદાતાઓમાં વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટરો જેવા વ્યાવસાયિકો આવે છે. તેમને માટે પણ હવે રોકાણની વિગતો આપવી ફરજિયાત કરી દેવામાં આવી છે. આ સ્કીમમાં જેનું ટર્નઓવર રૂ. 2 કરોડ સુધી હોય અને વ્યાવસાયિકોની આવક રૂ. 75 લાખ સુધી હોય તેમને પણ સમાવી લેવામાં આવ્યા છે.

ફ્યુચર એન્ડ ઓપ્શન

ફ્યુચર એન્ડ ઓપ્શન તથા ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરતા કરદાતાઓ સામાન્ય રીતે આવકવેરા રિટર્નનું ફોર્મ નંબર 3 ફાઈલ કરતા હોય છે. તેમણે હવે પાર્ટ એમાં આપવાના થતાં ટ્રેડિંગ એકાઉન્ટમાં અલગથી ટર્નઓવર બતાવવું પડશે. આ ટર્નઓવર દરેક ટ્રેડના નફા અને નુકસાનના કુલ સરવાળાથી સાથે ગણીને રજૂ કરવાનું રહેશે. તેથી કારણે નેટ આવક ઓછી હોવા છતાં ટર્નઓવર મોટો દેખાઈ શકે છે.

ફ્યુચર એન્ડ ઓપ્શની આવકને નોન-સ્પેક્યુલેટિવ બિઝનેસ તરીકે ગણવામાં આવે છે અને તે સ્લેબ રેટ પ્રમાણે વેરાને પાત્ર બને છે. ટ્રેડર્સ બ્રોકરેજ, ઇન્ટરનેટ, એડવાઇઝરી જેવા ખર્ચ કપાત તરીકે દર્શાવી શકે છે. નુકસાનને અન્ય પગારની આવક સિવાયની અન્ય કોઈપણ આવક સામે એડજસ્ટ કરી શકાય છે. આ નુકસાનીને 8 વર્ષ સુધી આગળ લઈ જઈ શકાય છે. બીજા શબ્દોમાં કહીએ તો કેરીફોરવર્ડ કરી શકાય છે. હા, તેને માટે કરદાતાએ સમયસર રિટર્ન ભરેલું હોવું જરૂરી છે.

રાજકીય ડોનશન

આવકવેરા કચેરીએ રાજકીય દાન પર ટેક્સ છૂટ મેળવવા ઇચ્છતા કરદાતા માટે પાર્ટીનું નામ, પાન નંબર, દાનની તારીખ અને ચુકવણીનો પ્રકાર આપવો પડશે. તેનો યુપીઆઈ રેફરન્સ પણ આપવો પડશે. તેમ જ બેંક ટ્રાન્સફર-નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટથી કરેલો છે તેની અને બેન્કની બ્રાન્ચના આઈએફએસસી કોડ સાથે જ ફરજિયાત આપવી પડશે. આ રીતે આવકવેરા ખાતું દરેક ટ્રાન્ઝેક્શનનું પગેરું મેળવી શકશે. કરદાતા પાસે પણ સ્પષ્ટ રેકોર્ડ બની જશે. આ કડક નિયમોનો હેતુ ગેરવપરાશ રોકવાનો અને માત્ર સાચા અને ટ્રેસેબલ દાનને જ ટેક્સ છૂટ આપવાનો છે.

 

Read Previous

સબસિડીઓ અને રાહત અપાતી હોવાથી કૃષિ ઉપજના વેપારમાં ભારતને પહોંચી વળવું કઠિન: અમેરિકા

Read Next

ગુજકોમાસોલ જોર્ડનની કંપની એમએનજી સાથે કરાર કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેત તરફ વાળશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular