ભારત સરકારને પેટ્રોલ-ડીઝલના ભાવમાં લિટરે ઓછામાં ઓછો રૂ. 5નો વધારો કરવો પડશે

ક્રૂડઓઈલના બેરલદીઠ ભાવ $125ની સપાટીને વળોટી ગયા, ઓઈલ માર્કેટિંગ કંપનીઓની વધી રહેલી ખોટ સરકારને ભાવ વધારો કરવા મજબૂર કરશે
આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના બેરલદીઠ ભાવ 125 અમેરિકી ડૉલરની સપાટીને વળોટી ગયો છે. પરિણામે ભારતની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ખોટમાં આવી જાય તેમ છે. પરિણામે ભારત સરકારે ટૂંકા ગાળામાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લિટરદીઠ રૂ. 5ની આસપાસનો વધારો કરવાની ફરજ પડે તેવી સંભાવના છે.
બીજું, ક્રૂડ ઓઈલના ભાવ વધારાની અસર દરેક ઉદ્યોગ પર કોઈને કોઈ રીતે ખર્ચ બોજ વધારે જ છે. તેથી આગામી મહિનાઓ મોંઘવારીના રહેવાની ભીતિ અર્થશાસ્ત્રીઓ પણ વ્યક્ત કરી રહ્યા છે. અર્થશાસ્ત્રીએ તેને ‘ટૂંકા ગાળાનો પડકાર’ તરીકે ઓળખાવે છે.
છેલ્લા 24 કલાકમાં ક્રૂડ ઓઈલના ભાવમાં આશરે 10 ટકાનો તીવ્ર ઉછાળો આવ્યો છે. ભારત જેવી ઊર્જા આયાત પર આધારિત અર્થવ્યવસ્થા માટે ઊંચા ક્રૂડ ભાવ સારા સંકેત નથી. કરંટ એકાઉન્ટ ડેફિસિટ (CAD) પર અસર પડવાથી માંડીને કાચા માલ માટેના ખર્ચ અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાની શક્યતા સુધી તેની અસર વ્યાપક પડી શકે છે. સૌથી મહત્વનું એ છે કે આ વધારાનો કેટલો ભાર ગ્રાહકો પર આવશે અને તેની મોંઘવારી તથા વ્યાજદર પર શું અસર પડશે.
અર્થશાસ્ત્રીઓ માને છે કે આ ઘટના એકાએક લાગેલા આંચકા સમાન છે. કારણ કે ઈરાન-અમેરિકા યુદ્ધની શરૂઆત થઈ ત્યારથી સરકાર ભાવવધારાનો મોટો ભાગ પોતે સહન કરી રહી છે. તેઓ આ પરિસ્થિતિને ટૂંકા ગાળાનો પડકાર માને છે અને કહે છે કે ભારત તેની અસરનો સામનો કરવા માટે સક્ષમ છે. આગામી બેથી અઢી મહિના સુધીનો સ્ટોક પણ ભારતમાં હોવાની જાહેરાત કરીને કોઈએ ભયભીત ન થવું જોઈએ તેવી જાહેરાત પણ ભારત સરકારે કરી જ છે.
સપ્લાય ચેઇન વિક્ષેપનો વધારે પ્રભાવ
બ્રોકરિંગ કંપની એલારા કેપિટલની અર્થશાસ્ત્રી ગરીમા કપૂરનું કહેવું છે કે ભારત પર માત્ર ક્રૂડના ભાવ નહીં પરંતુ સપ્લાય ચેઇન વિક્ષેપનો વધારે પ્રભાવ છે. “ક્રૂડ $120 સુધી જવું એટલું મહત્વનું નથી, પરંતુ તેના ડેરિવેટિવ્સ મોંઘા થતા ઔદ્યોગિક સપ્લાય, કાચા માલ અને ઇનપુટ્સની ઉપલબ્ધતા પર અસર પડે છે. હોર્મુઝ જળમાર્ગની પરિસ્થિતિને કારણે સપ્લાય ચેઇનમાં મોટો ખોટકો આવી ગયો છે.” છતાં ભારત સરકાર ‘વેઇટ-એન્ડ-વોચ’ અને તબક્કાવાર ભાવ વધારો કરવાનો અભિગમ અપનાવશે. બીજા શબ્દોમાં કહીએ તો પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને ધીમે ધીમે ભાવ વધારો ગ્રાહકો સુધી પહોંચાડશે.
કોટક સિક્યોરિટીઝના નિષ્ણાતો માને છે કે બ્રેન્ટ ક્રૂડમાં હાલનો ઉછાળો ટૂંકા ગાળાનો જ છે અને હોર્મુઝ માર્ગ ફરી ખુલ્યા પછી સ્થિતિ સુધરી શકે છે. યુએઈના OPECમાંથી બહાર નીકળવા, ઈરાનની પુનઃપ્રાપ્તિ અને વૈશ્વિક સપ્લાયમાં વધારો ભારત માટે સકારાત્મક છે.
ક્રૂડ ઓઈલનો બેરલદીઠ ભાવ $125 થઈ જતાં કરંટ એકાઉન્ટ અને રૂપિયા પર દબાણ આવશે, પરંતુ નીતિગત સાધનો તૈયાર છે. રિઝર્વ બેન્ક બજારની સ્થિરતા જાળવી રાખવા મથામણ કરી રહી છે. કેન્દ્ર સરકાર એક્સાઈઝ દ્વારા ભાર સહન કરી રહી છે અને OMCs દ્વારા ભાવ નિયંત્રણ મોંઘવારીને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે.
ડ્યુઅલ એનર્જી ક્રાઇસિસ વચ્ચે ભારત મજબૂત
વિશ્વ હાલમાં બે પ્રકારની ઊર્જા સમસ્યાનો સામનો કરી રહ્યું છે—ઉપલબ્ધતા અને ખર્ચ. પરંતુ ભારતે છેલ્લા દાયકામાં તેલ સપ્લાયના સ્ત્રોતોમાં વિવિધતા લાવી છે, જેથી કોઈ એક દેશ પર નિર્ભરતા ઘટી છે. ઉપરાંત, ઊર્જા વેપારમાં ડોલર પરની નિર્ભરતા ઘટાડવાના પ્રયત્નો પણ ચાલી રહ્યા છે.
ક્રૂડ ઓઈલના ભાવ વધારાની આર્થિક વૃદ્ધિ પર આશરે 40 બેસિસ પોઈન્ટ અસર પડશે. જીડીપીમાં અને કરન્ટ એકાઉન્ટ ડેફિસિટમાં એક ટકાનો વધારો થશે. કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સમાં વધારો થશે. મોંઘવારીમાં અડધા ટકાનો વધારો જોવા મળશે. આ નાણાકીય વર્ષ દરમિયાન ક્રૂડ ઓઈલના સરેરાશ ભાવ $90–$95 વચ્ચે રહી શકે . હાલનું સંકટ 2026-27ના પહેલા છ માસિક ગાળાના અંત સુધીમાં એટલે કે સપ્ટેમ્બરના અંત સુધીમાં સમાપ્ત થઈ શકે છે.
ઈંધણ ભાવ વધારો શક્ય?
સરકાર માટે મોટો પડકાર એ રહેશે કે કેટલો ભાર પોતે સહન કરવો અને કેટલો ગ્રાહકોને માથે નાખવો તે નક્કી કરવાનો રહેશે. ગ્રાહકોની આર્થિક સ્થિતિ છેલ્લા વર્ષ કરતાં મજબૂત છે. 2022 પછી ઈંધણના રિટેલ ભાવમાં વધારો થયો નથી, તેથી જો સરકાર રૂ. 4–5નો નાનો વધારો કરે તો તે બહુ નકારાત્મક માનવામાં આવશે નહિ.



