ભારત-બ્રિટન મુક્ત વ્યાપાર કરારથી કેટલા ફાયદા થશે
ભારત-બ્રિટન મુક્ત વ્યાપાર કરારથી કેટલા ફાયદા થશેઃ ફાયદો આપણે આયાત કરતાં વધુ નિકાસ કરીએ છીએ તેમાં નથી, પરંતુ સસ્તી આયાત સ્થાનિક કંપનીઓને સ્પર્ધાત્મક બનાવે છે, વૈશ્વિક કંપનીઓ અને ધોરણો સાથે જોડાણ વધે છે
ભારત અને યુનાઇટેડ કિંગડમ (UK-બ્રિટન) વચ્ચેનો વ્યાપાર કરાર હસ્તાક્ષર થયાના એક વર્ષ બાદ ૧૫ જુલાઈ 2026થી અમલમાં આવ્યો છે. કેટલાક લોકોનું કહેવું છે કે ભારતે ખુલ્લાપણાને અપનાવ્યું છે, G7 અર્થતંત્ર સાથે તેનો પ્રથમ વ્યાપક કરાર કર્યો છે અને મુક્ત વ્યાપાર તરફ એક મોટી છલાંગ લગાવી છે. જ્યારે અન્ય લોકોને ચિંતા છે કે આનાથી આયાત વધશે, દ્વિપક્ષીય ખાધ વધશે અને સ્થાનિક કંપનીઓને નુકસાન થશે. આ બંને પ્રતિક્રિયાઓ કરાર કરતાં વેપાર અંગેની ભારતીય વિચારસરણી વિશે વધુ જણાવે છે.
ભારત અને બ્રિટન વચ્ચેની વેપારી ખાધ એ માત્ર એક એકાઉન્ટિંગનો આંકડો છે, તે આર્થિક સફળતાનું માપદંડ નથી. ભારત ત્યાંથી કાચો માલ આયાત કરે છે જ્યાં તે સૌથી સસ્તો હોય છે અને ત્યાં નિકાસ કરે છે જ્યાં તેની કિંમત સૌથી વધુ ઉપજે છે. જેમ કે રફ હીરા પોલિશ્ડ થઈને નિકાસ થાય છે, ક્રૂડ ઓઇલ રિફાઇન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ બને છે અને સ્માર્ટફોન આયાતી પાર્ટ્સમાંથી એસેમ્બલ થાય છે. દરેક સફળ વ્યાપારી દેશ દ્વિપક્ષીય નફા અને ખાધના મિશ્રણ સાથે વૈશ્વિક વ્યાપાર શ્રૃંખલામાં ભાગ લે છે.
મહત્વની વાત એ છે કે શું વ્યાપાર કરારો ભારતને વધુ ખુલ્લું અર્થતંત્ર બનાવે છે. ફાયદો આપણે આયાત કરતાં વધુ નિકાસ કરીએ છીએ તેમાં નથી, પરંતુ સસ્તી આયાત સ્થાનિક કંપનીઓને સ્પર્ધાત્મક બનાવે છે, વૈશ્વિક કંપનીઓ અને ધોરણો સાથે જોડાણ વધે છે અને કરારની પ્રતિબદ્ધતાઓ રોકાણકારોને સુરક્ષા આપે છે. આનાથી ભારતીય કંપનીઓની ઉત્પાદકતા વધે છે, જે ભારતીય સમૃદ્ધિનો અસલી સ્ત્રોત છે. તેથી, સાચો પ્રશ્ન દ્વિપક્ષીય સંતુલનનો નથી, પરંતુ આ કરાર કેટલો ઊંડો છે અને તે કેટલો વધુ ઊંડો હોઈ શકતો હતો તે છે.
ભારતીય ધોરણો અનુસાર, આ કરાર ઘણો વિસ્તૃત છે. તેમાં ૩૦ પ્રકરણો છે અને તે એવા ક્ષેત્રો સુધી પહોંચે છે જેને ભારતમાં લાંબા સમય સુધી અસ્પૃશ્ય ગણવામાં આવતા હતા: જેમ કે સરકારી ખરીદી, શ્રમ, પર્યાવરણ, ડિજિટલ વેપાર અને ૧૩૭ પેટા-સેક્ટર્સમાં સેવાઓ. અન્ય વિકસિત દેશોની જેમ, યુકેમાં શરૂઆતમાં બહુ ઓછા વ્યાપાર અવરોધો છે અને તેઓએ પ્રથમ દિવસથી જ ભારતના ૯૯ ટકા ઉત્પાદનોને ડ્યુટી-ફ્રી (કરમુક્ત) એક્સેસ આપ્યું છે. સામાજિક સુરક્ષા કરાર હેઠળ યુકેમાં કામ કરતા ભારતીય કામદારોને પાંચ વર્ષ માટે બેવડા યોગદાનમાંથી મુક્તિ મળી છે.
આ કરાર એક સંસ્થાકીય માળખું પણ બનાવે છે: વરિષ્ઠ અધિકારીઓ અથવા મંત્રીઓની સંયુક્ત સમિતિ, જેને રૂલ્સ ઓફ ઓરિજિન (ROOs), કસ્ટમ્સ, ગતિશીલતા અને ઇનોવેશન પરના વર્કિંગ ગ્રુપ્સ ટેકો આપશે. આ આવકારદાયક છે, જોકે બંધનકર્તા પ્રતિબદ્ધતાઓ હજુ મર્યાદિત છે. એક મહત્વપૂર્ણ પગલું એ છે કે વ્યક્તિગત ઓરિજિન દાવાઓ માટે સરકારી મંજૂરીઓ પર નિર્ભર રહેવાને બદલે, પ્રેફરન્સનો દાવો કરવા માટે નિકાસકાર અથવા ઉત્પાદક દ્વારા સ્વ-પ્રમાણપત્ર (self-certification) નો સ્વીકાર કરવામાં આવ્યો છે. ચાઇનીઝ આયાત અંગેની ચિંતાઓને કારણે તાજેતરના વર્ષોમાં આયાત પ્રત્યે ભારતના વલણમાં જે શંકા જોવા મળતી હતી, તેમાં આ એક સુધારો છે.
આમ છતાં, ભારતીય ધોરણો પ્રમાણે વિસ્તૃત દેખાતો આ કરાર વૈશ્વિક સ્તરે બહુ ઊંડો નથી. આ ભારતીય ધોરણો ૨૦૦૦ના દાયકાના સંકુચિત કરારો દ્વારા નક્કી થયેલા છે. તે કરારો ભારતને ખુલ્લું અર્થતંત્ર બનાવવા માટે બહુ રસ ધરાવતા નહોતા. વિશ્વના ધોરણો સામે સરખામણી કરીએ તો, આ ડીલ વૈશ્વિક જોડાણ પ્રત્યે શંકાસ્પદ વલણ જાળવી રાખે છે, જેનાથી ભારત માટેના ફાયદા મર્યાદિત થાય છે.
સમયસીમાની અસમાનતા જુઓ. યુકેએ તાત્કાલિક ૯૯ ટકા ભારતીય વસ્તુઓ પરથી ડ્યુટી હટાવી દીધી. ભારતે ૯૦ ટકા લાઈનો પર ટેરિફ કાપ્યા, પરંતુ યુકેથી થતી આયાતમાંથી માત્ર ૩૦ ટકા આયાત પર જ તાત્કાલિક ઝીરો ટેરિફ લાગુ થશે. બાકીનો કાપ ૧૦ વર્ષ ગાળામાં તબક્કાવાર થશે. વૈશ્વિક ધોરણો મુજબ ભારતીય ટેરિફ શરૂઆતથી જ ખૂબ વધારે હતા: કૃષિ ઉત્પાદનો પર સરેરાશ ૬૪ ટકા, જીન અને વ્હિસ્કી પર ૧૫૦ ટકા અને કાર પર લગભગ ૧૧૦ ટકા. જ્યારે ડ્યુટી આટલી ઊંચાઈથી શરૂ થાય, ત્યારે આંશિક ઘટાડો પણ સરેરાશમાં મોટો ઘટાડો દર્શાવે છે. વ્હિસ્કી પરની ડ્યુટી અત્યારે ૧૫૦ ટકાથી ઘટીને ૭૫ ટકા થઈ છે, અને તે માત્ર ૧૦મા વર્ષે ૪૦ ટકા સુધી પહોંચશે. કાર પર તે ૧૦ ટકા સુધી પહોંચશે પરંતુ ત્યાં કોટા (મર્યાદા) છે અને માસ-માર્કેટ ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટને આનાથી અલગ રાખવામાં આવ્યું છે. ડેરી પ્રોડક્ટ્સ, જેના પર સૌથી વધુ ટેરિફ છે, તેના દરોમાં બિલકુલ કાપ મૂકવામાં આવ્યો નથી, જે ભારતના ગરીબો માટે વધુ સારા પોષણના હિતોને સીધું નુકસાન પહોંચાડે છે. ભારત અતિશય સંરક્ષણવાદમાંથી ઉચ્ચ સંરક્ષણ તરફ આગળ વધ્યું છે. આને પ્રગતિ ગણી શકાય પરંતુ મુક્ત વ્યાપાર નહીં. ભારતને થતા ફાયદા મર્યાદિત છે અને ખૂબ જ ધીમે ધીમે મળશે.
નિયમન માટે સમિતિઓ છે પણ કોઈ મજબૂત પ્રતિબદ્ધતાઓ નથી. પ્રોફેશનલ સર્વિસીસ પરનું પરિશિષ્ટ માત્ર નિયમનકારોને લાયકાતની પરસ્પર માન્યતા પર વાટાઘાટો શરૂ કરવા પ્રોત્સાહિત કરે છે; કોઈ સમયમર્યાદા નક્કી નથી. ઇનોવેશન પ્રકરણ એક વર્કિંગ ગ્રુપ બનાવે છે જેની ચર્ચા ભવિષ્યના નિયમનકારી અભિગમોને આવરી લેશે. આનાથી વિપરીત, યુરોપિયન યુનિયન-વિયેતનામ કરારમાં, વિયેતનામે અમલીકરણના પાંચ વર્ષ પછી યુરોપિયન યુનિયનના વાહન પ્રમાણપત્રો સ્વીકારવાનું સ્વીકાર્યું હતું, અને પ્રથમ ટેરિફ કાપવામાં આવે તે પહેલાં એક ચોક્કસ રોડમેપ પર આઈએલઓ સંમેલનોને બહાલી આપી હતી. આવી શિસ્ત વિના, વ્યાપારી ભાગીદારો દ્વારા ટેરિફ છૂટછાટો એ ભારતીય તંત્રની કામગીરી સુધારવા માટેનું સાધન બની શકતી નથી. હાઉસ ઓફ લોર્ડ્સ ઇન્ટરનેશનલ એગ્રીમેન્ટ્સ કમિટીએ આ વર્ષે જાન્યુઆરીમાં અહેવાલ આપ્યો હતો કે લીગલ સર્વિસીસ અને ઇન્વેસ્ટમેન્ટ પ્રોટેક્શન સહિત યુકેના મુખ્ય હિતો આમાંથી બાકાત રખાયા છે જે નિરાશાજનક છે. તેમણે અધૂરી દ્વિપક્ષીય રોકાણ સંધિ, ક્રોસ-બોર્ડર ડેટા ફ્લો પર પ્રતિબદ્ધતાઓનો અભાવ અને ભારતીય ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર્સ આ કરારને નબળો પાડી શકે છે તેવા જોખમો તરફ ઈશારો કર્યો હતો.
સરકારી ખરીદીએ સ્પર્ધા દ્વારા ભારતીય કરદાતાઓ માટે મહત્તમ મૂલ્ય મેળવવું જોઈએ. છતાં આ કરાર બ્રિટિશ કંપનીઓને માત્ર મર્યાદિત પ્રવેશ આપે છે. બ્રિટિશ કંપનીઓને આશરે ૪૦,૦૦૦ કેન્દ્રીય સરકારી ટેન્ડરો સુધી કરાર-આધારિત પ્રવેશ મળે છે, જે ખરેખર પ્રથમ વખત બન્યું છે. પરંતુ તેઓ મેક ઇન ઇન્ડિયા ઓર્ડર હેઠળ માત્ર ક્લાસ-II સપ્લાયર્સ તરીકે પ્રવેશ કરે છે, જેમાં ૨૦ ટકા યુકે-ઓરિજિન કન્ટેન્ટ જરૂરી છે, અને ક્લાસ-I સ્થાનિક સપ્લાયર્સ પ્રથમ પસંદગી જાળવી રાખે છે. રાજ્ય સરકારોના જાહેર નાણાને આનાથી કોઈ ફાયદો થતો નથી.
કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ-સીબીએએમને આ સંધિમાંથી યોગ્ય રીતે બહાર રાખવામાં આવ્યું છે. તે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ની જેમ સ્થાનિક નીતિના મૂળભૂત સ્તંભ તરીકે કામ કરે છે. CBAMમાં યુરોપિયન કંપનીઓ અને ભારતીય નિકાસકારો સાથે સમાન વ્યવહાર કરવામાં આવે છે; તે વ્યાપાર નીતિનો ભાગ નથી. રોકાણની પ્રતિબદ્ધતાઓ અને જોગવાઈઓ આ કરારના દાયરાની બહાર છે. ચોક્કસ સમયસીમા સાથે વિવાદ નિવારણ માટે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) જેવી સ્ટેટ-ટુ-સ્ટેટ સિસ્ટમ છે. જોકે, રોકાણકાર-રાજ્ય (investor-state) વિવાદો માટેની ખરેખર મૂલ્યવાન વ્યવસ્થાઓ ગાયબ છે.
આમ, ગ્લાસ અડધો ભરેલો છે. ભારત આત્મવિશ્વાસ મેળવી રહ્યું છે, આપણે ત્રીજા વિશ્વની માનસિકતામાંથી બહાર આવી રહ્યા છીએ, અને યુકે મુક્ત વ્યાપાર કરાર (FTA) આ પૂર્વેના ભારતના તમામ પ્રયાસો કરતાં ઘણો સારો છે. પરંતુ ગ્લાસ અડધો ખાલી પણ છે. આ સંધિ ખુલ્લું અર્થતંત્ર મેળવવાના ભારતના રાષ્ટ્રીય હિતોમાં અવરોધ ઊભો કરવાનું ચાલુ રાખે છે, જે આર્થિક વૃદ્ધિને વેગ આપી શકે તેમ હતું. આપણું આગામી પગલું આ સંધિના લખાણને મહત્તમ વ્યાપાર ખુલ્લાપણામાં બદલવાનું હોવું જોઈએ, અને પછી આગામી FTA સાથે વધુ ઊંચા સ્તરે પહોંચવાનો પ્રયત્ન કરવો જોઈએ.

