દેશમાં ખરીફ પાકોનું વાવેતર ૧૦૧ લાખ હેક્ટર ઘટી જતાં ઉત્પાદનમાં 20 ટકાનો ઘટાડો થઈ શકે
દેશમાં ખરીફ પાકોનું વાવેતર ૧૦૧ લાખ હેક્ટર ઘટી જતાં ઉત્પાદનમાં 20 ટકાનો ઘટાડો થઈ શકે
- મકાઈ અને બાજરી જેવા શ્રી અન્નના વાવેતરમાં ૨૮.૬૧ લાખ હેક્ટરનો ઘટાડો થયો છે, જેનાથી પશુ આહાર, અનાજના ઉત્પાદનમાં ઘટાડો થશે.
- આગામી દિવાળી પછી ખાદ્યતેલના અને તેમાંય ખાસ કરીને ગુજરાતમાં વિશેષ વપરાતા સિંગતેલના ભાવમાં ભડકો થવાની સંભાવનાને નકારી શકાતી નથી
દેશમાં નૈઋત્યના ચોમાસાના આગમનમાં થયેલા વિલંબને કારણે ચાલુ વર્ષે ખરીફ પાકોના વાવેતરને મોટો ફટકો પડ્યો છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજા આંકડા મુજબ, ૧૦ જુલાઈ ૨૦૨૬ સુધીમાં સમગ્ર ભારતમાં કુલ ૫૩૧.૨૫ લાખ હેક્ટર જમીનમાં ખરીફ વાવેતર થયું છે. આ આંકડો ગયા વર્ષે (૨૦૨૫માં) સમાન ગાળામાં થયેલા ૬૩૨.૬૯ લાખ હેક્ટર વાવેતરની સરખામણીએ ૧૦૧.૪૪ લાખ હેક્ટર ઓછો છે.
કઈ વસ્તુઓના ઉત્પાદનમાં કેટલો ઘટાડો આવી શકે?
વાવેતરમાં થયેલા ઘટાડાના આધારે આગામી ઓક્ટોબર-નવેમ્બર (લણણીની સીઝન) દરમિયાન ઉત્પાદનમાં સીધો ઘટાડો જોવા મળી શકે છે: ખાસ કરીને તેલીબિયાંમાં એટલે કે સોયાબીન અને મગફળીના વાવેતરમાં સૌથી મોટો ૩૧.૩૪ લાખ હેક્ટરનો ઘટાડો થયો છે. સોયાબીન ૧૭.૨૧ લાખ હેક્ટર અને મગફળી ૧૨.૦૫ લાખ હેક્ટર વાવેતર વિસ્તાર ઘટ્યા છે. તમામ પાકોમાં તેલીબિયાંના વાવેતરમાં સૌથી તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. ચાલુ વર્ષે ૧૧૭.૮૩ લાખ હેક્ટરમાં તેલીબિયાંનું વાવેતર થયું છે, જે ગયા વર્ષના ૧૪૯.૧૮ લાખ હેક્ટર કરતાં ૩૧.૩૪ લાખ હેક્ટર ઓછું છે. ટૂંકમાં સોયાબીનનું વાવેતર ૧૭.૨૧ લાખ હેક્ટર ઘટ્યું છે. તેમ જ મગફળીનું વાવેતર ૧૨.૦૫ લાખ હેક્ટર ઘટ્યું.
બીજીતરફ જુલાઈ 2026ના અંત સુધીમાં વરસાદ નહીં સુધરે, તો દેશમાં ડોમેસ્ટિક એડિબલ ઓઇલ-ખાદ્યતેલના ઉત્પાદનમાં ૧૫ ટકાથી ૨૦ ટકા સુધીનો મોટો ઘટાડો આવી શકે છે. પરિણામે આગામી દિવાળી પછી ખાદ્યતેલના અને તેમાંય ખાસ કરીને ગુજરાતમાં વિશેષ વપરાતા સિંગતેલના ભાવમાં ભડકો થવાની સંભાવનાને નકારી શકાતી નથી. ભારત પહેલેથી જ તેની જરૂરિયાતનું ૫૫ ટકાથી ૬૦ ટકા ખાદ્યતેલ આયાત કરે છે. સ્થાનિક સ્તરે સોયાબીન અને મગફળીનું ઉત્પાદન ઘટવાથી સિંગતેલ અને સોયાબીન તેલના ભાવમાં પ્રતિ લીટર રૂ.૧૫ થી રૂ. ૩૦ નો વધારો આગામી મહિનાઓમાં જોવા મળી શકે છે.
તદુપરાંત કઠોળમાં તુવેર, અડદ અને મગના વાવેતર વિસ્તારમાં ૧૭.૨૨ લાખ હેક્ટરનો ઘટાડો થયો છે. કઠોળ એ ભારતીય પરિવારોમાં પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. વાવેતરના આ ગ્રાફને જોતા કઠોળના કુલ ઉત્પાદનમાં ૧૦ ટકાથી ૧૨ ટકાનો ઘટાડો અંદાજવામાં આવી રહ્યો છે. કઠોળનું કુલ વાવેતર ૫૬.૬૩ લાખ હેક્ટર રહ્યું છે, જે ગયા વર્ષના ૭૩.૮૫ લાખ હેક્ટર સામે ૧૭.૨૨ લાખ હેક્ટર ઓછું છે. તુવેર (અડદ), અડદ અને મગ ત્રણેયના વાવેતરમાં ઘટાડો થયો છે, પરંતુ મગનું વાવેતર સામાન્ય સરેરાશ કરતાં સારું છે.
અનાજનું ઉત્પાદન પણ ઘટી શકે છે. શ્રી અન્ન (મોટા અનાજ-જાડાં ધાન્યોનું વાવેતર ૨૮.૬૧ લાખ હેક્ટર ઘટીને ૯૮.૬૯ લાખ હેક્ટર રહ્યું છે. જેમાં મકાઈના વાવેતરમાં ૧૩.૫૯ લાખ હેક્ટરનો મોટો ઘટાડો નોંધાયો છે, જ્યારે બાજરીના વાવેતરમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. ડાંગર-ચોખાના ઉત્પાદન પર તેની અસર જોવા મળી શકે છે. ચાલુ વર્ષે ૧૧૪.૬૯ લાખ હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું છે, જે ગયા વર્ષના ૧૨૫.5૩ લાખ હેક્ટરની તુલનામાં કરતાં ૧૦.૮૪ લાખ હેક્ટર ઓછું છે. જોકે, આ વાવેતર સામાન્ય સરેરાશ કરતાં હજુ પણ ૧૬.૯૫ લાખ હેક્ટર વધુ છે. તેમ જ કપાસના ઉત્પાદનના આંકડાં પણ નીચે આવી શકે છે. મકાઈ અને બાજરી જેવા શ્રી અન્નના વાવેતરમાં ૨૮.૬૧ લાખ હેક્ટરનો ઘટાડો થયો છે, જેનાથી પશુ આહાર અને અનાજના ઉત્પાદનમાં ઘટાડો થશે. કપાસનું વાવેતર પણ ૧૪.૪૧ લાખ હેક્ટર ઘટ્યું છે, જે ટેક્સટાઇલ સેક્ટર માટે કાચા માલની અછત ઊભી કરી શકે છે. કપાસનું વાવેતર ઘટીને ૭૯.૫૪ લાખ હેક્ટર રહ્યું છે, જે ગયા વર્ષ કરતાં ૧૪.૪૧ લાખ હેક્ટર અને સામાન્ય વાવેતર વિસ્તાર કરતાં ૧૬.૨૮ લાખ હેક્ટર ઓછું છે. શેરડીના વાવેતરમાં આંશિક સુધારો થયો છે. ચાલુ વર્ષે વાવેતર ૫૭.૫૮ લાખ હેક્ટરે પહોંચ્યું છે, જે ગયા વર્ષ કરતાં ૦.૮૬ લાખ હેક્ટર અને સામાન્ય સરેરાશ કરતાં ૨.૩૬ લાખ હેક્ટર વધુ છે. શણનું વાવેતર ગયા વર્ષના ૬.૧૬ લાખ હેક્ટરથી થોડું વધીને ૬.૨૮ લાખ હેક્ટર થયું છે.
મોંઘવારીમાં વધારો થવાની શક્યતા કેટલી?
ખરીફ વાવેતરમાં ઘટાડાને કારણે આગામી તહેવારોની સીઝન (સપ્ટેમ્બરથી નવેમ્બર) દરમિયાન ખાદ્ય મોંઘવારી વધવાની શક્યતા ખૂબ જ પ્રબળ એટલે કે 80થી 85 ટકા જેટલી છે. . કઠોળ અને અનાજ મોંઘા થશે: સપ્લાય ચેઇનમાં તંગી સર્જાવાના કારણે તુવેર દાળ, અડદ દાળ અને મકાઈના ભાવમાં ૧૦ ટકાથી ૧૫ ટકા સુધીનો ઉછાળો આવી શકે છે. મકાઈ મોંઘી થવાથી પોલ્ટ્રી ફીડ (મરઘા ઉછેરનો ખોરાક) મોંઘો થશે, જેનાથી ઈંડા અને ચિકનના ભાવ પણ વધશે.
ભારત દેશના અર્થતંત્ર પર પડનારી અસરો
કૃષિ ક્ષેત્ર એ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. વાવેતરમાં આ ઘટાડો જીડીપી-કુલ રાષ્ટ્રીય ઉપજથી લઈને ગ્રામીણ બજાર સુધી અસર કરશે. ગ્રામીણ વિસ્તારની ડિમાન્ડમાં ઘટાડો જોવા મળી શકે છે. ભારતીય વસ્તીનો અડધો ભાગ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખેતી પર નિર્ભર છે. પાક ઓછો થવાથી ખેડૂતોની આવક ઘટશે. પરિણામે, ગ્રામીણ વિસ્તારોમાં ટ્રેક્ટર, ટુ-વ્હીલર્સ, એફએમસીજી પ્રોડક્ટ્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સની માંગ આગામી ક્વાર્ટર્સમાં નબળી પડી શકે છે.
તેની સાથે સાથે જ આયાત બિલમાં તગડો વધારો થવાની સંભાવના જોવામાં આવી રહી છે. તેલીબિયાં અને કઠોળની અછતને પૂરી કરવા માટે ભારત સરકારે પામ ઓઇલ, સનફ્લાવર ઓઇલ અને આફ્રિકન દેશોમાંથી કઠોળની આયાત વધારવી પડશે. તેનાથી ભારતનું વિદેશી હૂંડિયામણ વધુ ખર્ચાશે અને ચાલુ ખાતાની ખાધપર દબાણ આવતા વધી શકે છે.
આરબીઆઈ-રિઝર્વ બેન્કની વ્યાજ દર નીતિ પર અસર આવશે. જો ખાદ્ય વસ્તુઓની મોંઘવારી નિયંત્રણ બહાર જશે, તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાજ દરોમાં ઘટાડો કરી શકશે નહીં. વ્યાજ દરો ઊંચા રહેવાથી હોમ લોન, કાર લોન અને બિઝનેસ લોન મોંઘી રહેશે, જે એકંદરે આર્થિક ગ્રોથને ધીમો પાડી શકે છે.
શેરબજાર-કોમોડિટી બજાર પર ત્વરિત અસર
શેરબજાર પર પણ તેની અસર જોવા મળી શકે છે. એફએમસીજી કંપનીઓ (જેવી કે હિન્દુસ્તાન યુનિલિવર, આઇટીસી) અને ઓટો કંપનીઓ (ખાસ કરીને ટુ-વ્હીલર અને ટ્રેક્ટર બનાવતી કંપનીઓ જેમ કે મહિન્દ્રા, મારુતિ, હીરો મોટોકોર્પ)ના શેરો પર આગામી સમયમાં સેન્ટિમેન્ટ નબળું પડી શકે છે.આગામી દિવસોમાં એમસીએક્સ અને એનસીડેક્સ જેવા કપાસ અને ખાદ્યતેલોના વાયદા બજારમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી શકે છે.
કૃષિ મંત્રાલયની ખેડૂતોને સલાહ
વાવેતરમાં વર્તમાન તંગી હોવા છતાં, કૃષિ અધિકારીઓ આશાવાદી છે કે જુલાઈના બાકીના દિવસોમાં દેશના મુખ્ય કૃષિ રાજ્યોમાં વરસાદ સુધરતાં જ વાવેતરની કામગીરી વેગ પકડશે. કેન્દ્ર સરકારે ચોમાસામાં વિલંબ વાળા વિસ્તારોના ખેડૂતોને ઓછો સમય લેતા (ટૂંકા ગાળાના) અને ઓછા પાણીની જરૂરિયાત વાળા પાકો તરફ વળવાની સલાહ આપી છે. સરકારે આ વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં બિયારણની ઉપલબ્ધતા અને પાક માર્ગદર્શન સહાય સુનિશ્ચિત કરી છે.
