દંડ અને તકલીફને આમંત્રણ આપી રહેલા સમયસર રિટર્ન ફાઈલ ન કરનારા કરદાતાઓ

દંડ અને તકલીફને આમંત્રણ આપી રહેલા સમયસર રિટર્ન ફાઈલ ન કરનારા કરદાતાઓ
એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ અને ફોર્મ 26-ASની વ્યવસ્થિત સમીક્ષા ન કરે તો ભૂલ પડવાની સંભાવના વધારે
કેન્દ્ર સરકાર રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન લંબાવી આપશે તેવી ગણતરી સાથે આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવામાં સુસ્તી દાખવનારાઓ નાણાકીય દંડ,
રિફંડમાં વિલંબ અને અંતિમ ક્ષણના માનસિક તણાવ તરફ દોરી શકે છે. કરદાતાઓનો એક મોટો વર્ગ પોતાના રિટર્ન ફાઇલ કરવામાં વિલંબ કરે છે. સરકાર ઇન્કમ ટેક્સ રિટર્નની સમયસીમા લંબાવશે તેવી માન્યતા સાથે તેઓ છેલ્લી ઘડી સુધી રિટર્ન ફાઈલ કરવાનું ટાળતા હોવાનું જોવા મળે છે.
વાસ્તવમાં આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઇન લંબાવવાના નિર્ણયો બહુધા અપવાદરૂપ કિસ્સાઓમાં જ લેવાય છે. સામાન્ય રીતે માત્ર ઇ-ફાઇલિંગ પોર્ટલ પર વ્યાપક તકનીકી ખામીઓ અથવા વહીવટી મર્યાદાઓ દરમિયાન રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન લંબાવી આપવાનો નિર્ણય લેવામાં આવે છે. પહેલાની જેમ એક સામટું પંદર દિવસ કે પછી મહિનાનું એક્સટેન્શન હવે આપવામાં આવતું નથી. ગયા વરસે છેલ્લી ઘડીએ સમસ્યા આવતા માત્ર એક જ દિવસનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. જોકે આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવામાં બિનજરૂરી વિલંબ કરનારાઓ તેમની કોઈ આવક કે ખર્ચ બતાવવાનું ચૂકી જાય તેવી શક્યતા છે. તેમ જ કેટલીક આવક બતાવવાનું ભૂલી જાય તેવી સંભાવના છે. તેમ જ ફોર્મ 26-એએસ કે પછી એન્યુઅલ ઇન્ફોર્મેશન રિટર્નમાંની વિગતો સાથે મેચિંગ કરવાનું ચૂકી જાય તેવી સંભાવના રહેલી છે. પરિણામે સ્ક્રૂટિનીની નોટિસ મળવાની સંભાવના વધી જાય છે. રિટર્ન ટાઈસ સર દીધું હોય તો રૃા. 5000નો દંડ ચૂકવી દઈને પણ રિવાઈઝ રિટર્ન ફાઈલ કરી શકે છે.
અમદાવાદના ટેક્સ કન્સલ્ટન્ટ્સનું કહેવું છે કે નોકરિયાત સહિતના 31મી જુલાઈની ડેડલાઈન હેઠળ આવરી લેવાયેલા કરદાતાઓ 31મી જુલાઈની ડેડલાઈન ચૂકી જાય તો તેમને ડિસેમ્બર 31મી સુધી અને ત્યારબાદ 31મી માર્ચ સુધી તેમના રિટર્ન રિવાઈઝ કરવાની તક તો મળે છે, પરંતુ તેને માટે તેમણે 31મી જુલાઈ પહેલા એકવાર રિટર્ન ફાઈલ કરી દીધું હોવું જરૂરી છે. બીજું, છેલ્લી ઘડીએ 26-એસ અને એન્યુઅલ ઇન્ફોર્મેશન રિટર્નમાં દેખાતી કેટલીક આવક રિટર્નમાં ન બતાવે તો સ્ક્રૂટિનીનો કે પછી નોટિસનો સામનો કરવો પડી શકે છે. રૂ. 5 લાખ સુધીના વાર્ષિક રિટર્નની છેલ્લી તારીખ 31મી જુલાઈ ચૂકી જાય તો રૂ. 1000નો દંડ ભરીને 31મી ડિસેમ્બર સુધી રિટર્ન ફાઈલ કરી શકે છે. રૂ. 5 લાખથી વધુની વાર્ષિક આવક ધરાવનારા કરદાતાઓ પણ રૂ. 5થી 12 લાખ વચ્ચેનું રિટર્ન ફાઈલ કરતાં હોય અને તેમણે રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ પહેલા રિટર્ન ફાઈલ કરી દેવું જોઈએ. તેઓ ચૂકી જાય તો 31મી ડિસેમ્બર 2026ના અંત સુધી કે અન્ય સંજોગોમાં 31મી માર્ચ 2027 સુધી રૂ. 5000નો દંડ ભરીને તેમના રિટર્ન અપલોડ કરી શકે છે. તેથી સમયસર રિટર્ન ફાઈલ કરવાથી ટેક્સપેયર્સ ઘણી બધી મુશ્કેલીઓથી બચી શકે છે.
એક, ડેટા મિસમેચની સમસ્યાનો વહેલા ઉકેલ તરફ જઈ શકાય છે. કરદાતા જુલાઈના છેલ્લા અઠવાડિયામાં જ ઇન્કમ ટેક્સ પોર્ટલ પર લોગિન કરે છે. આ એવો સમય છે કે જ્યારે નાણાકીય આંકડાઓમાં વિસંગતતા (મિસમેચ) સામે આવે છે, જેના કારણે પોર્ટલ બંધ થાય તે પહેલાં તેને સુધારવું મુશ્કેલ બની જાય છે. તેમાંય રિટર્ન ફાઇલિંગની ડેડલાઇનની નજીક આવે ત્યારે કરદાતાના ફોર્મ 26-AS અથવા એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટમાંવિસંગતતા દેખાય તો તેની નાણાકીય સંસ્થા સાથે તેની ચકાસણી કરવાનો સમય મળતો નથી. તેથી જ વહેલું ફાઇલિંગ થાય તો ટેક્સપેયર્સને આ મુદ્દાઓને ઉકેલવા જરૂરી મહત્વપૂર્ણ સમય પૂરો પાડે છે જેથી તેઓ પાત્ર ટેક્સ ક્રેડિટ ગુમાવે નહીં અથવા રિફંડમાં વિલંબનો સામનો કરવો પડતો નથી.
રિટર્ન ફાઈલ કરનારાઓએ એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ અને ફોર્મ 26-એએસની અગાઉથી સમીક્ષા કરવાની સલાહ આપવામાં આવે છે. તેનો ફાયદો છે. ફિક્સ ડિપોઝિટ પર આ વર્ષે રૂ. 45,000 નું વ્યાજ મળ્યું હોય, તો તે એન્ટ્રી બેન્કે કાપેલા ટીડીએસ સાથે ચોક્કસ દેખાવી જ જોઈએ. આ એન્ટ્રી ન હોય તો રિટર્ન સબમિટ કરતા પહેલા બેન્ક સમક્ષ જઈને તેની ખરાઈ કરવાની તક મળી શકે છે. આ જ રીતે પગારના ટીડીએસ, મ્યુચ્યુઅલ ફંડના ડિવિડન્ડ અને કેપિટલ ગેઇન્સ માટે પણ આવી જ ચકાસણી જરૂરી છે.
