• 6 September, 2026 - 10:37 AM

તાજેતરના સુધારા બાદ વધુ કિંમત વસૂલવાના કેસોની પ્રક્રિયા માટે NPPA તેની આંતરિક માર્ગદર્શિકામાં સુધારો કરશે

તાજેતરના સુધારા બાદ વધુ કિંમત વસૂલવાના કેસોની પ્રક્રિયા માટે NPPA તેની આંતરિક માર્ગદર્શિકામાં સુધારો કરશે
ઉત્પાદક ભૂતકાળમાં ભાવ સુધારાનું પાલન કરતો આવ્યો હોય, તો ઓવરચાર્જિંગ માટે તેની જવાબદારી માત્ર એ જ સ્ટોકના જથ્થા સુધી સીમિત રહેશે
નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી ડ્રગ્સ પ્રાઇસિસ કંટ્રોલ ઓર્ડર- 2013 હેઠળ વધુ કિંમત વસૂલવા (ઓવરચાર્જિંગ)ના કેસોની તપાસ અને કાર્યવાહી માટેની પોતાની આંતરિક માર્ગદર્શિકામાં સુધારો કરવાની યોજના બનાવી રહી છે. આ નિર્ણય ઓર્ડરમાં સંબંધિત વિભાગોમાં કરવામાં આવેલા તાજેતરના સુધારાના સંદર્ભમાં લેવામાં આવ્યો છે.
ઓવરચાર્જિંગના કેસોની પ્રક્રિયા માટે મૂળભૂત રીતે 7 ઓક્ટોબર, 2016ના રોજ જારી કરાયેલી આંતરિક માર્ગદર્શિકામાં ડ્રગ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડરમાં સુધારો કરવાના પ્રસ્તાવ પર 25 ઓગસ્ટ, 2026ના રોજ યોજાયેલી નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈસિંગની બેઠકમાં વિચારણા કરવામાં આવી હતી. ઓથોરિટીએ સભ્યોને ડ્રાફ્ટ માર્ગદર્શિકા મોકલી આપી છે અને 10 કાર્યકારી દિવસોમાં તેમની ટિપ્પણીઓ મોકલવા વિનંતી કરી છે.
સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે,  કોઈ ટિપ્પણીઓ પ્રાપ્ત નહીં થાય, તો માર્ગદર્શિકા આપમેળે મંજૂર થયેલી ગણાશે. રસાયણ અને ખાતર મંત્રાલયે જૂનના અંતમાં ડ્રગ પ્રાઈસ કંટ્ર્લોલ ઓર્ડર 2013માં સુધારાની સૂચના આપી હતી, જેમાં ઓવરચાર્જિંગના કેસોને લગતા સુધારા સહિત અનેક ફેરફારો સામેલ હતા. મંત્રાલયે ફકરા 14(2)માં સુધારો કર્યો છે. અગાઉ આ ફકરામાં જોગવાઈ હતી કે જો કોઈ ઉત્પાદક નિયંત્રિત કિંમત (સિલિંગ પ્રાઇસ) અને સ્થાનિક કર કરતાં વધુ કિંમતે દવા વેચે, તો તેણે ઓવરચાર્જિંગની તારીખથી વ્યાજ સાથે વધારાની રકમ જમા કરાવવી પડશે. હવે તેમાં એવી જોગવાઈ ઉમેરવામાં આવી છે કે જો ઉત્પાદક ભૂતકાળમાં ભાવ સુધારાનું પાલન કરતો આવ્યો હોય, તો ઓવરચાર્જિંગ માટે તેની જવાબદારી માત્ર એ જ સ્ટોકના જથ્થા સુધી સીમિત રહેશે જે એવા ડિસ્ટ્રિબ્યુટર કે રિટેલર દ્વારા વેચવામાં આવ્યો હોય જેણે વધુ ભાવ વસૂલ્યા હોય તે રકમ અને તેના પર વ્યાજ વસૂલવામાં આવશે.
આ નિર્ણયથી દવા ઉત્પાદકોને મોટી રાહત મળી છે, કારણ કે આ સુધારા પહેલાં, જો ઓવરચાર્જિંગ ડિસ્ટ્રિબ્યુટર, સ્ટોકિસ્ટ કે રિટેલરના સ્તરે થયું હોય, તો પણ તમામ નિયમોનું પાલન કરનાર ઉત્પાદકને જ જવાબદાર ગણવામાં આવતો હતો અને તેની સામે જ વસૂલાતની કાર્યવાહી શરૂ કરવામાં આવતી હતી. હાલમાં આ પ્રક્રિયા ડ્રગ્સ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર હેઠળ ઓવરચાર્જિંગના કેસોની ઓળખ અને વસૂલાત માટે કાર્યવાહી શરૂ કરવા અંગે 7 ઓક્ટોબર, 2016ના રોજ જારી કરાયેલી આંતરિક માર્ગદર્શિકા દ્વારા સંચાલિત થાય છે.
ઓર્ડરના સુધારાને અનુરૂપ ઓવરચાર્જિંગના કેસોમાં અનુસરવામાં આવતી પ્રક્રિયામાં ફેરફાર લાવવા માટે આ માર્ગદર્શિકામાં સુધારો કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે NPPA એ અગાઉ આંતરિક માર્ગદર્શિકામાં એવો સુધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો કે જો શો કોઝ નોટિસ, ડિમાન્ડ નોટિસ જારી કર્યા પછી અથવા જિલ્લા કલેક્ટરને કેસ સોંપ્યા પછી બે વર્ષ કે તેથી વધુ સમય પછી ઓથોરિટી દ્વારા આગળનું પગલું ભરવામાં આવે, તો દવાના ઉત્પાદકો અથવા માર્કેટર્સને રિમાઇન્ડર મોકલવાની જોગવાઈ કરવામાં આવે.
આ માર્ગદર્શિકા પ્રાઇસિંગ ઓથોરિટી દ્વારા ઓવરચાર્જિંગના કેસોમાં નિરીક્ષણ, અમલીકરણ અને વસૂલાતની પ્રક્રિયાને સરળ બનાવવા, ઝડપી બનાવવા તેમજ તેને સમયબદ્ધ અને વધુ પારદર્શક બનાવવા માટે જારી કરવામાં આવી હતી. નોંધનીય છે કે રસાયણ અને ખાતર અંગેની સંસદીય સ્થાયી સમિતિએ તેના તાજેતરના અહેવાલમાં ફાર્માસ્યુટિકલ્સ વિભાગને વસૂલાત માટે લાંબા સમયથી બાકી રહેલા ઓવરચાર્જિંગના કેસોનો ઝડપથી નિકાલ કરવા તાત્કાલિક પગલાં લેવાની ભલામણ કરી છે. સમિતિએ સક્રિય પગલાં દ્વારા મુકદ્દમા (લીટીગેશન) નો અવકાશ ઘટાડવા માટે સ્પષ્ટ નિયમો અને માર્ગદર્શિકા બનાવવાની માંગ કરી છે.
સમિતિએ એવી પણ ભલામણ કરી છે કે કેસોના અસરકારક અને સમયસર નિકાલ માટે દવાના ભાવ નિયમનકારી પ્રાધિકરણ-NPPAની અંદર એક સમર્પિત લીગલ સેલ (કાનૂની વિભાગ) સ્થાપવાની શક્યતાઓ તપાસવામાં આવે છે. દેશમાં દવાઓના ભાવમાં વધારાના ચોક્કસ સંદર્ભ સાથે એનપીપીએની ભૂમિકા, કાર્યો અને ફરજોની સમીક્ષા કરતી પેનલે નોંધ્યું હતું કે 30 સપ્ટેમ્બર, 2025 સુધીમાં ઓવરચાર્જિંગ ડિમાન્ડની કુલ રૂ. 10,013.30 કરોડની રકમમાંથી રૂ. 8,526.10 કરોડ (લગભગ 85 ટકા) વસૂલવાના બાકી છે.
ઓવરચાર્જિંગ ડિમાન્ડની રકમમાંથી રૂ. 5,944.16 કરોડ (જે કુલ ડિમાન્ડના 70 ટકા છે) હાઈકોર્ટ અથવા સુપ્રિમ કોર્ટમાં વિવિધ તબક્કે મુકદ્દમા હેઠળ અટવાયેલા છે. પેનલે અવલોકન કર્યું હતું કે આમાંથી નોંધપાત્ર સંખ્યામાં કાનૂની કેસો (345માંથી 280 કેસ) 6 થી લઈને 20 વર્ષથી વધુ સમયથી બાકી છે.

Read Previous

નિયમોના ભંગ બદલ CDSCO એ કોસ્મેટિક પ્રોડક્ટ્સ ઈમ્પોર્ટરનું રજિસ્ટ્રેશન રદ કર્યું

Read Next

નબળી ગુણવત્તાનો સામાન સપ્લાય કરનારા પ્રતિબંધ મૂકવામાં આવશેઃ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ

Most Popular