• 12 September, 2026 - 9:07 AM

NCDCની ‘સહકાર ઇનોવેશન સ્કીમ’માં સહકારી મંડળીઓને સો ટકા ગ્રાન્ટ મળી શકશે

સહકાર ક્ષેત્રે ઇનોવેશનનો નવો દોર: NCDCની ‘સહકાર ઇનોવેશન સ્કીમ’માં સહકારી મંડળીઓને સો ટકા ગ્રાન્ટ મળી શકશે

‘સહકાર ઇનોવેશન સ્કીમ’ ગામડાંઓમાં ચાલતી સહકારી મંડળીઓને “સ્ટાર્ટ-અપ” જેવી માનસિકતા સાથે આગળ વધારવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે.

 ભારતમાં સહકારી ક્ષેત્રને આધુનિક, તકનીકી રીતે સજ્જ અને સ્પર્ધાત્મક બનાવવા માટે કેન્દ્ર સરકાર અને એનસીડીસીના માધ્યમથી દ્વારા સતત નવા પગલાં લેવામાં આવી રહ્યા છે. ગ્રામીણ અને પ્રાથમિક સ્તરે કાર્યરત સહકારી મંડળીઓ-પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ, ડેરીઓ અને મત્સ્યઉછેર મંડળીઓ પાસે અવનવા બિઝનેસ વિચારો હોય છે, પરંતુ મૂડીના અભાવે તેઓ આ વિચારોને વ્યવસાયિક રૂપ આપી શકતી નથી. આ આર્થિક અવરોધ દૂર કરવા માટે NCDC-એનસીડીસીએ સહકાર ઇનોવેશન સ્કીમ શરૂ કરી છે, જેના હેઠળ પ્રાથમિક સહકારી મંડળીઓને રૂ. ૨૫ લાખ સુધીની ૧૦૦ ટકા ગ્રાન્ટ (અનુદાન) આપવામાં આવે છે.

યોજનાની મુખ્ય વિગતો

૧૦૦ ટકા ગ્રાન્ટ -અનુદાન સહાય આપતી આ યોજના છે. આ યોજના હેઠળ કોઈ વ્યાજ કે લોન પરત કરવાનો બોજ નથી. પાત્રતા ધરાવતી મંડળીઓને રૂ. ૨૫ લાખ સુધીની પૂરતી ગ્રાન્ટ આપવામાં આવે છે. તદુપરાંત લોન સુવિધા પણ આપવામાં આવી છે. અરજદાર સંસ્થાની જરૂરિયાત મુજબ લોન આપવામાં આવે છે. સહકાર ઇનોવેશન સ્કીમ હેઠળ રજિસ્ટર કરાવેલો પ્રોજેક્ટ રૂ. ૨૫ લાખથી મોટો હોય તો ગ્રાન્ટ ઉપરાંત વધારાના ફંડ માટે એનસીડીસી-NCDCમાંથી જ લોન મેળવવાની જોગવાઈ પણ રાખવામાં આવી છે.

કયા વિસ્તારો આવરી લેવાશે

કૃષિ, પ્રોસેસિંગ, ડેરી, મિલકત, ગોદામ-સ્ટોરેજ, મત્સ્યપાલન, ઓર્ગેનિક ખેતી, ડિજિટલ પ્લેટફોર્મ, વેલ્યુ એડિશન અને ગ્રામીણ સેવાઓ માટે આ સ્કીમ લાગુ કરવામાં આવી છે. આ સ્કીમમાં અરજી કરનારી સહકારી મંડળી રજિસ્ટર્ડ હોવી જોઈએ અને નવી રજિસ્ટર્ડ થયેલી મંડળીઓ માટે ઓછામાં ઓછું ૩ મહિનાનું ઓપરેશનલ બેકગ્રાઉન્ડ હોવું જરૂરી છે.

યોજનાના લાભો અને મર્યાદાઓ

ક્ષેત્ર યોજનાના સારા પાસાં યોજના સામે પડકારો
નાણાકીય બોજ ૧૦૦ ટકા ગ્રાન્ટ હોવાથી પ્રાથમિક મંડળીઓ પર દેવાનો બોજ બનતો નથી. ગ્રાન્ટની મહત્તમ મર્યાદા રૂ. ૨૫ લાખ છે, જે ખૂબ મોટા આધુનિક પ્રોજેક્ટ્સ માટે અપૂરતી પડી શકે છે.
ઇનોવેશનને વેગ ટેકનોલોજી, સોફ્ટવેર અને નિકાસક્ષમ બનાવવા નવા વિચારો પર પ્રયોગ કરવાનો મોકો મળે છે. ગ્રામીણ ક્ષેત્રે ‘ઇનોવેશન’ અને ડ્રાફ્ટ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા માટે યોગ્ય ટેકનિકલ માર્ગદર્શનનો અભાવ હોઈ શકે છે.
નવી મંડળીઓ માટે તક માત્ર ૩ મહિના જૂની નવી સ્થાપેલી મંડળીઓ પણ અરજી કરી શકે છે. ગ્રાન્ટના દુરુપયોગને રોકવા માટે એનસીડીસીના કડક નિયમો અને પ્રોસેસિંગમાં સમય લાગી શકે છે.
રોકાણની મુક્તિ ગ્રાન્ટના ૨૫ ટકા સુધીની રકમ એડવાન્સ મંજૂર થઈ શકે છે. ગ્રાન્ટમાંથી બનાવેલી મિલકતો એનસીડીસીની પૂર્વ મંજૂરી વિના વેચી કે ગીરો મૂકી શકાતી નથી.

આ યોજનાથી પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓને ફાયદો

પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ ને માત્ર ધિરાણ આપવા પૂરતી મર્યાદિત ન રાખતા, તેઓ સોફ્ટવેર, ડિજિટલ સેવાઓ કે કોલ્ડ સ્ટોરેજ જેવી નવી સુવિધાઓ ઊભી કરી શકશે. ખેડૂત ઉત્પાદક સંગઠનોને પણ તેનાથી ફાયદો થશે. પોતાના પાકનું ગ્રેડિંગ, પેકિંગ કે બ્રાન્ડિંગ કરવા માટે નવા મશીન કે ટેકનોલોજી લાવવા માટે આ ગ્રાન્ટનો ઉપયોગ થઈ શકે છે.

મહિલા અને નાની ગ્રામીણ મંડળીઓ

ગૃહ ઉદ્યોગ, મિલ્ક પ્રોસેસિંગ કે હસ્તકલા ક્ષેત્રે કામ કરતી મંડળીઓ આ રકમથી પેકેજિંગ અને માર્કેટિંગ મોડેલ સુધારી શકશે.  મત્સ્યપાલન અને ડેરી સહકારી સોસાયટીઓને પણ લાભ મળશે. પ્રોસેસિંગ અથવા કોલ્ડ ચેઈન સોલ્યુશન્સ વિકસાવવામાં આર્થિક મદદ મળશે.

એનસીડીસીની ‘સહકાર ઇનોવેશન સ્કીમ’ માત્ર એક નાણાકીય યોજના નથી, પરંતુ ગામડાઓમાં ચાલતી સહકારી મંડળીઓને “સ્ટાર્ટ-અપ” જેવી માનસિકતા સાથે આગળ વધારવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે. જો આ યોજનાનો લાભ યોગ્ય અને નાવીન્યસભર પ્રોજેક્ટ્સ માટે લેવામાં આવે, તો તે ભારતીય સહકારી ક્ષેત્રના વિકાસમાં એક નવો માઈલસ્ટોન સાબિત થશે.

Read Previous

NAFCUBના સુવર્ણ જયંતી વર્ષમાં નવસર્જન અને સુધારાઓનો રોડમેપ તૈયાર કર્યો

Read Next

સહકાર ભારતીએ સહકારી બેન્કોનું ભાવિ સુધારવા માટે ‘મોડેલ બાય-લોઝ’ સુધારવા માગણી કરી

Most Popular