• 12 September, 2026 - 9:03 AM

આવકવેરા ખાતાની ૧૪૮ની નોટિસ બાદ જ આવક જાહેર કરનાર કરદાતાએ ‘આવક છુપાવી’ ગણાશે

આવકવેરા ખાતાની ૧૪૮ની નોટિસ બાદ જ આવક જાહેર કરનાર કરદાતાએ ‘આવક છુપાવી’ ગણાશે: ITAT
રિટર્ન ભરવાની છેલ્લી તારીખ સુધી પોતાની ચોક્કસ આવક જાહેર કરતા નથી અને વિભાગની નોટિસ આવ્યા પછી જ ટેક્સ ભરવાની તૈયારી દર્શાવતા કરદાતાઓની તકલીફ વધી શકે
અમદાવાદ: કરદાતા સમયસર પોતાનું ઓરિજિનલ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં નિષ્ફળ રહ્યા હોય અને ત્યારબાદ આવકવેરા ખાતા દ્વારા કલમ ૧૪૮ હેઠળ રી-એસેસમેન્ટ (પુનઃ મૂલ્યાંકન)ની નોટિસ ફાળવવામાં આવ્યા પછી જ પોતાની આવક જાહેર કરે તો તેવા કરદાતાએ પોતાની ‘આવક છુપાવવાનો પ્રયાસ’ કર્યો છે તેમ માનવામાં આવશે, એવો ચૂકાદો ઇન્કમ ટેક્સ અપીલેટ ટ્રિબ્યુનલે આપ્યો  છે.
ટ્રિબ્યુનલ સમક્ષ આવેલા આ કેસમાં કરદાતાએ તેની નિર્ધારિત સમયમર્યાદામાં રિટર્ન દાખલ કર્યું નહોતું. પરંતુ જ્યારે આવકવેરા વિભાગને કરદાતાની કરપાત્ર આવક અંગેની જાણકારી મળી અને વિભાગે કલમ ૧૪૮ હેઠળ કારણદર્શક નોટિસ પાઠવી, ત્યારે જ કરદાતાએ રિટર્ન ફાઇલ કરીને પોતાની આવક દર્શાવી હતી. કરદાતાની આ દલીલને ટ્રિબ્યુનલે ફગાવી દીધી હતી કે તેણે પોતે જ સામે ચાલીને આવક સ્વીકારી લીધી છે.
ટ્રિબ્યુનલે પોતાના મહત્વના અવલોકનમાં જણાવ્યું હતું કે, કલમ ૧૪૮ની નોટિસ મળ્યા બાદ જ આવક જાહેર કરવાની આ પદ્ધતિ સ્વેચ્છાએ કરવામાં આવેલી કરચોરીની કબૂલાત નથી, પરંતુ કાનૂની સજાના ભય અને વિભાગીય કાર્યવાહીના ડરથી લેવાયેલું પગલું છે. જો આવકવેરા વિભાગે કલમ ૧૪૮ની નોટિસ ઇશ્યૂ ન કરી હોત, તો કરદાતા દ્વારા આ આવક ક્યારેય ચોપડે દર્શાવવામાં આવી ન હોત. તેથી, નોટિસ બજવણી બાદ રિટર્નમાં દર્શાવેલી આવકને પણ આવક છુપાવવા સમાન જ ગણવામાં આવશે અને કરદાતા દંડ તેમજ અન્ય કાનૂની કાર્યવાહી માટે જવાબદાર ઠરશે.
આઈટીએટીના નિર્ણયથી એવા કરદાતાઓની મુશ્કેલીઓ વધી શકે છે જેઓ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ સુધી પોતાની ચોક્કસ આવક જાહેર કરતા નથી અને વિભાગની નોટિસ આવ્યા પછી જ ટેક્સ ભરવાની તૈયારી દર્શાવે છે. ટ્રિબ્યુનલે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે કરચોરી અટકાવવા અને કર પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે કાયદાકીય જોગવાઈઓનું કડક પાલન થવું જરૂરી છે. નોટિસ મળ્યા પછી ભરવામાં આવેલું રિટર્ન કરદાતાને દંડકીય જોગવાઈઓમાંથી મુક્તિ આપી શકતું નથી.

આ પ્રકારના કિસ્સાઓમાં છુપાવેલી આવક પર થતી વેરાની જવાબદારી જેટલી જ રકમનો કરદાતાને  દંડ પણ થઈ શકે છે, એમ કરવેરાના નિષ્ણાતોનુ કહેવું છે. પરિણામે દંડ અને વેરાની રકમ મળીને કેટલાક કિસ્સાઓમાં ચોરીની રકમ કરતાં વધુ રકમ આવકવેરા વિભાગને કરદાતાએ ચૂકવવાની જવાબદારી આવે તેવી શક્યતાઓ છે. 

Read Previous

સહકાર ભારતીએ સહકારી બેન્કોનું ભાવિ સુધારવા માટે ‘મોડેલ બાય-લોઝ’ સુધારવા માગણી કરી

Read Next

મર્યાદિત રસને કારણે સરકાર ₹25,000 કરોડની નિકાસ પ્રોત્સાહન યોજનાઓની સમીક્ષા કરશે

Most Popular