વેટની વિદાયને દસ વર્ષ થવા આવ્યા છતાંય હજારો વેપારીઓના ઓર્ડર થયા પછી પણ રિફંડ પેન્ડિંગ
વેટની વિદાયને દસ વર્ષ થવા આવ્યા છતાંય હજારો વેપારીઓના રિફંડ પેન્ડિંગ
વેટમાંથી જીએસટીમાં શિફ્ટ થઈ ગયા પછી વેટના ખાતાઓ લૉક કરી દીધા હોવાથી તેમાં સુધારા કરવા શક્ય જ નથી
અમદાવાદ, સોમવારઃ પહેલી જુલાઈ 2017ના વેલ્યુ એડેડ ટેક્સ વેટે વિદાય લીધાને આજે સાડા નવ વર્ષ થવા આવ્યા હોવા છતાંય અમદાવાદ ગુજરાતના હજારો વેપારીઓના વેટના રિફંડ હજીય મળતા નથી. કારણ કે હિસાબ શાખામાં તેમના બેન્ક એકાઉન્ટ રિફ્લેક્ટ જ થતાં નથી. તેનું કારણ આપતા વેરા નિષ્ણાતો કહે છે કે વેપારીઓ વેટમાંથી જીએસટીમાં શિફ્ટ થઈ ગયા તેથી તેમના ખાતા વેટમાં દેખાતા જ નથી. વેટમાંથી જીએસટીમાં માઈગ્રેટ થઈ ગયા પછી હોવાથી હિસાબ શાખાના અધિકારીઓ તે ખાતા દેખાતા ન હોવાથી તેઓ રિફંડના પેન્ડિંગ કેસમાં વેપારીઓના રિફંડના ઓર્ડર થઈ ગયા પછીય રિફંડ આપતા જ નથી.
વેટના રિફંડ માટે વેપારીઓએ તેના વોર્ડમાં અરજી કરવી પડે છે. આ અરજી પ્રોસેસ થયા પછી તેના પર રિફંડ આપવા માટેના ઓર્ડર તૈયાર કરવામાં આવે છે. આ પ્રક્રિયાને અંતે તૈયાર થયેલો રિફંડ ઓર્ડર હિસાબ શાખામાં પેમેન્ટ માટે મોકલી આપવામાં આવે છે. અમદાવાદમાં જોઈન્ટ કમિશનર એક અને જોઈન્ટ કમિશનર 2 હેઠળની હિસાબ શાખામાં આ ઓર્ડર મોકલવામાં આવે છે. અમદાવાદની હિસાબ શાખા ગાંધીનગરના ડેપ્યુટી કમિશનરના ચાર્જ હેઠળ છે. આ હિસાબ શાખા અમદાવાદમાં બેસતા ચીફ કમિશનરના હસ્તક જ નથી.
સૌથી આઘાતજનક બાબત તો એ છે કે વેટના ખાતાઓ હવેમાં સુધારો પણ થઈ શકતો નથી.વેપારીઓ વેટમાંથી જીએસટીમાં શિફટ થઈ ગયા હોવાથી હવે વેટના પોર્ટલ પર સુધારો કરવાની કોઈ તક જ મળતી નથી. કારણ કે વેટની સમગ્ર સિસ્ટમને લૉક કરી દેવામાં આવી છે. તેથી વેટના એકાઉન્ટમાં કોઈ જ સુધારા થઈ શકતા નથી. બીજીતરફ દસ વર્ષથી એકાઉન્ટ ઓપરેટ ન કર્યા હોવાથી મોટાભાગના વેપારીઓ પાસે લોગ ઈન આઈડી અને પાસવર્ડ પણ સચવાયેલા રહ્યા નથી. જેમની પાસે લોગ ઈન આઈડી અને પાસવર્ડ છે તેઓ તેમાં સુધારો પણ કરી શકતા નથી. કારણ કે તેમના એકાઉન્ટને લૉક કરી દેવામાં આવેલા છે.
રિફંડ માગનારના બેન્ક એકાઉન્ટ ન દેખાય એટલે અધિકારીઓ એફિડેવિટ માગે છે કે મારું બેન્ક એકાઉટ આ જ છે. વેપારી ભલેને મુંબઈ કે દિલ્હીમાં રજિસ્ટ્રેશન ધરાવતો હોય તેણે એફિડેવિટ કરવાની જફા કરવી પડે છે. આ એકાઉન્ટમાં ભૂતકાળમાં રિફંડ લીધેલા હોવા છતાંય અત્યાર તેમને તે ખાતામાં રિફંડ લેવા માટે એફિડેવિટ આપવી પડે છે. તદુપરાંત રિફંડના એપ્રુવલ માટે ઘણાં કેસો ગાંધીનગરના એડિશનલ કમિશનરમાં ટ્રાન્સફર થયેલા છે. આ એડિશનલ કમિશનર ગાંધીનગર બેસે છે. પરિણામે લગભગ બે મહિનાથી તેમના રિફંડ આવ્યા જ નથી. આમ રિફંડના દરેક ઓર્ડરમાં વેપારી પાસેથી એફિડેવિટ માગવામાં આવી રહી છે. પરિણામે એપેલેટ ટ્રિબ્યુનલમાં ઓર્ડર થયા પછીય તેમના રિફંડના નાણાં મેળવવા માટે વેટ રજિસ્ટર્ડ વેપારીઓએ છાશવારે વેટ કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે.
જીઆર-સેલમાં પણ લોલેલોલઃ રિફંડની ફાઈલ ત્રણ ત્રણવાર પરત કરાય છે
સરકારના જીઆર – સેલમાં કાયદા વિરુદ્ધ જઈને ફાઈલ પુનઃ સાદર કરીને પણ રિફંડ ટલ્લે ચઢાવી રહ્યા છે. અપીલમાં રૂ. 25 લાખથી વધુ રકમનું રિફંડ હોય તો ડેપ્યુટી કમિશનરમાં જવું પડે છે. રૂ. 50 લાખથી વધુનું રિફંડ હોય તો એડિશનલ કમિશનર પાસે એપ્રુવલ માટે મોકલવી પડે છે. તેમની પાસે ઓર્ડર ગયા પછી તેઓ તેમાં કોઈ વાંધાજનક મુદ્દા હોય તો તે કાઢીને મંજૂરી માટે પરત મોકલી શકે છે. હા, તેના પૈસા રીલીઝ કરતાં પહેલા જે મુદ્દાની ચકાસણી કરવા જણાવ્યુ હોય તે ચકાસણી કરીને પછી જ રિફંડ ઓર્ડર ઇશ્યૂ કરવાનો હોય છે.આ વિભાગમાંથી એક જ ફાઈલ ત્રણ ત્રણ વાર મુદ્દા કાઢે છે. ત્રણ ત્રણવાર ફાઈલ પરત જાય છે. તેમાં જુદાં જુદાં મુદ્દા ઊભા કરીને પાછી તે ફાઈલ તેમને પરત મોકલવા જણાવવામાં આવે છે. તેથી બેથી ત્રણ વર્ષ સુધીનો અસહ્ય વિલંબ થાય છે. વેટની વિદાયને દસ વર્ષ થવા આવ્યા છે છતાંય અપીલના ઓર્ડર સામે પણ વારંવાર વાંધા કાઢીને વેપારીઓને પરેશાન કરવાનું બંધ કરવું જોઈએ.
