• 20 September, 2026 - 2:53 PM

બાયોમેટ્રિક્સ ને આધાર ઓથોન્ટિકેશન ન કરાવનાર ગ્રાહકોને 1 ઓક્ટોબરથી સિલિન્ડર પર સબસિડી નહીં મળે

પહેલી ઓક્ટોબરથી રાંધણગેસમાં બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત
આધાર ઓથેન્ટિકેશન ન કરાવનાર ગ્રાહકોને રાંધણગેસના બાટલા પર સબસિડી નહીં મળે, બજાર ભાવે ખરીદવો પડશે ગેસ સિલિન્ડર
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા સ્થાનિક રાંધણગેસ ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી પહેલી ઓક્ટોબર 2026થીથી સબસીડીવાળા રાંધણગેસ સિલિન્ડરનું બુકિંગ કરાવવા માટે બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન પૂર્ણ કરેલું હોવું ફરજિયાત રહેશે. જો કોઈ ગ્રાહક આ સમયમર્યાદા સુધીમાં આધાર ચકાસણી (ઇ-કેવાયસી)ની પ્રક્રિયા પૂર્ણ નહીં કરે, તો તેમને નિયંત્રિત છૂટક વેચાણ ભાવ પર મળતી સરકારી સબસીડીનો લાભ મળશે નહીં અને તેમણે બાટલો બજાર કિંમતે ખરીદવો પડશે.
પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આ નિર્ણયનો હેતુ સાચા અને જરૂરિયાતમંદ પરિવારો સુધી જ સબસીડી પહોંચાડવાનો છે. દેશમાં ઘરગથ્થુ ઉપયોગ માટે આપવામાં આવતા સબસીડીવાળા સિલિન્ડરનો વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં થતો ગેરકાયદેસર વપરાશ અટકાવવા, બોગસ તથા એકથી વધુ કનેક્શન રદ કરવા અને સબસીડી વિતરણ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે આ કડક પગલું લેવામાં આવ્યું છે.
સબસીડીનો સીધો આર્થિક ફટકો
સરકાર દ્વારા સબસીડીવાળા ગેસ સિલિન્ડર પર મોટી આર્થિક રાહત આપવામાં આવે છે. આધાર ઓથેન્ટિકેશન વગર ગ્રાહકોને ૧૪.૨ કિલોનો સિલિન્ડર પૂરા બજાર ભાવે ખરીદવો પડશે. સપ્ટેમ્બર ૨૦૨૬ના આંકડા મુજબ પ્રતિ સિલિન્ડર આશરે રૂ. ૨૧૦ જેટલી સબસીડી રહેલી છે (જે જૂન ૨૦૨૬માં વધીને રૂ. ૭૨૧ સુધી પહોંચી હતી). જેથી ગ્રાહકોને આર્થિક નુકસાન સહન કરવું પડશે.
નાના સિલિન્ડર પર નિર્ભર રહેવું પડશે
જે ગ્રાહકો આધાર ચકાસણી કરાવવામાં નિષ્ફળ રહે અથવા સ્વેચ્છાએ ના પાડે, તેમને ૧૪.૨ કિલોનો નિયમિત સબસીડીવાળો સિલિન્ડર મળશે નહીં. આવા ગ્રાહકોએ ઓઈલ કંપનીઓની ડિજિટલ ચેનલો પર જઈને પોતાનો વિકલ્પ નોંધાવવો પડશે અને તેમણે વગર સબસીડીએ માત્ર ૫ કિલો કે ૧૦ કિલોના સિલિન્ડર બજાર ભાવે ખરીદવા પડશે (જે સ્થાનિક ઉપલબ્ધતા પર નિર્ભર રહેશે).
રિફિલ બુકિંગમાં અવરોધ અને સમયનો બગાડ
આધાર ઓથેન્ટિકેશન વગર સિલિન્ડરનું સામાન્ય બુકિંગ થઈ શકશે નહીં. ગ્રાહકે બુકિંગ મેળવવા માટે સૌપ્રથમ ઓથેન્ટિકેશન પ્રક્રિયા પૂરી કરવી પડશે. જો ઘર સુધી ડિલિવરી સમયે કે ગેસ એજન્સી પર લાંબી લાઈનોમાં ઊભા રહીને e-KYC કરાવવું પડશે, તો ગ્રાહકોના સમયનો વ્યય થશે અને ગેસ સિલિન્ડર મેળવવામાં વિલંબ થઈ શકે છે.
ડિજિટલ માધ્યમો વાપરવાની અગવડતા
જે ગ્રાહકો ઓનલાઈન મોબાઈલ એપ કે ડિજિટલ પોર્ટલનો ઉપયોગ કરતા નથી શીખ્યા, તેમણે એજન્સીના ધક્કા ખાવા પડી શકે છે. ખાસ કરીને ગ્રામીણ અને વયસ્ક ગ્રાહકો માટે એપ્લિકેશન દ્વારા ફેસ/બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરવું પડકારજનક બની શકે છે.

કેવી રીતે કરી શકાશે આધાર ઓથેન્ટિકેશન?

મંત્રાલયે જણાવ્યું છે કે ગ્રાહકો માટે આ પ્રક્રિયા ખૂબ જ સરળ રાખવામાં આવી છે. ગ્રાહકો:
  • ગેસ સિલિન્ડરની ડિલિવરી સમયે ડિલિવરી બોયના મોબાઈલ દ્વારા.
  • પોતાના વિસ્તારના એલપીજી વિતરૂક (શોરૂમ/એજન્સી) પર જઈને.
  • સંબંધિત ઓઈલ માર્કેટિંગ કંપનીઓની મોબાઈલ એપ્લિકેશન (જેમ કે IndianOil ONE, HelloBPCL, HP PAY) પરથી ઘરે બેઠા પણ કરી શકે છે.
સરકારના આંકડા મુજબ ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં દેશના ૨૭.૪૩ કરોડ (૮૯.૯%) સક્રિય ગ્રાહકો આ પ્રક્રિયા પૂર્ણ કરી ચૂક્યા છે. જે ગ્રાહકોએ અગાઉ આ પ્રક્રિયા પૂરી કરી લીધી છે તેમણે ફરીથી કરવાની જરૂર નથી. બાકી રહેલા ૧૦ ટકા ગ્રાહકોને ૧ ઓક્ટોબર પહેલા આધાર ઓથેન્ટિકેશન પૂર્ણ કરી લેવા અપીલ કરવામાં આવી છે.

Read Previous

દેશભરની કેમિસ્ટ શોપ્સ અને ફાર્મસીઓમાં CCTV સિસ્ટમ ફરજિયાત કરવાનો સરકારનો પ્રસ્તાવ

Read Next

સોમવારથી શરૂ થતાં સપ્તાહમાં નિફ્ટી ૫૦ અને સેન્સેક્સમાં હજુ વધુ ઘટાડાની શક્યતા

Most Popular