• 31 March, 2026 - 7:48 AM

2025-26ના કંપનીના આર્થિક પરિણામે નવા વર્ષમાં શેરબજારની ચાલ નક્કી કરશે

છ વર્ષ બાદ છેલ્લા ત્રિમાસિક ગાળામાં શેરબજારનું સૌથી કંગાળ પરફોર્મન્સઃ હવે કંપનીના વાર્ષિક પરિણામો શેરબજારની દિશા ને દશા નક્કી કરશે

નાણાંકીય વર્ષ 2025-26 ના અંતિમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો નોંધાયો. હતો. શેરબજારના સેન્સેક્સમાં 1,636 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. તેમ જ નિફ્ટી 50માં 488 પોઈન્ટ ઘટ્યો હતો. 2025-26ના આખા વર્ષની વાત કરવામાં આવે તો નિફ્ટી 50માં 5.05 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

છેલ્લા ત્રિમાસિક ગાળામાં બજાર ઉપર દબાણ વધી જવાના કારણોમાં ઊંડા ઉતરીએ તો અમેરિકા અને ઇરાન વચ્ચેના યુદ્ધને કારણે ભારત અને દુનિયાના અન્ય દેશો પર ઊભું થયેલો આર્થિક દબાણ શેરબજારના ઘટાડા માટે જવાબદાર છે. છેલ્લા પાંચ અઠવાડિયાથી આ યુદ્ધ ચાલી રહ્યું છે. બીજું, ક્રૂડ ઓઈલના ભાવ $100 થી ઉપર સ્થિર થયા છે. ક્રૂડ ઓઈલનો બેરલદીઠ ભાવ 119.50 અમેરિકી ડૉલરના મથાળાને આ ગાળામાં સ્પર્શી ગયો છે. આ બંને બાબતોએ બજારમાં અનિશ્ચિતતા ઊભી કરી દીધી છે.

નિફ્ટી 22,549 પર ખૂલી, 22,714ના મથાળાના સ્પર્શીને 22,283ના બોટમ પર આવ્યો હતો. તેમ જ નિફ્ટીના માર્ચ એક્સપાયરી દરમિયાન 8 સેશનમાં 1 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા વીઆઈએક્સ 28.79 સુધી પહોંચ્યો હતો. આ સૌથી વધુ જોખમનો સંકેત આપે છે.

બજારના નિષ્ણાત વિશ્લેષકો માને છે કે આ માત્ર ટેકનિકલ કરેકશન નથી. તેથી જ રોકાણકારોનો ડર વધી રહ્યો છે. તેમ જ તેમણે વધુ સાવચેતીનો અભિગમ અપનાવવા માંડ્યો છે, કારણ કે માર્કેટ હવે અનિશ્ચિતતા પર આધારિત થઈ ગયું છે.

સૌથી વધુ અસર કયા સેક્ટર પર?

બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટર પર સૌથી વધુ અસર પડી છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ફોરેક્સના નવા જાહેર કરેલા નિયમોની પણ મોટી અસર જોવા મળી છે. હૂંડિયામણ બજારમાં રૂપિયામાં ચાલી રહેલા સટ્ટાના પ્રભાવે ઘટાડવાના આ પગલાં પછીય 30મી માર્ચે ભારતીય રૂપિયો 95.24ના નવા તળિયાને સ્પર્શી ગયો હતો.

જુદાં જુદાં ઇન્ડેક્સ

આ જ ગાળામાં જાહેર ક્ષેત્રની બેન્કોના ઇન્ડેક્સમાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. તેમ જ ફાઇનાન્સિયલ સર્વિસ ઇન્ડેક્સમાં પણ 3 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. આ જ રીતે બજાજ ફાઈનાન્સના શેરના ભાવમાં 5 ટકાનો, શ્રીરામ ફાઈનાન્સમાં 3.8 ટકાનો, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં 3.8 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

નિફ્ટી 500માં સ્થાન ધરાવતા શેર્સમાંથી 442 શેર માઈનસમાં બંધ આવ્યા છે. આ બધાં માટે જવાબદાર પરિબળોની વાત કરીએ તો ઇરાન પર કરવામાં આવતા હુમલાઓની સંખ્યામાં વધારો થયો તે બાબત, અખાતના વિસ્તારમાં હાઉથી મુવમેન્ટની ભાગીદારી વધી હોવાની બાબત અને અમેરિકા દ્વારા આ વિસ્તારમાં તેના સૌથી વધુ શક્તિશાળી જહાજને ગોઠવીને કરવામાં આવેલા હુમલાને કારણે ભારત સહિતના સંખ્યાબંધ દેશોના શેરબજારો કડડડડભૂસ થયા છે.

જોકે આ પરિસ્થિતિમાં પણ કેટલાક શેર્સનું પરફોર્મન્સ સારુ રહ્યું છે. સારુ પરફોર્મન્સ આપનારા શેર્સમાં હિન્દાલકોમાં 2.5 ટકાનો, ટેક મહિન્દ્રાના શેરમાં 1.7 ટકાનો વધારો જોવા મળ્યો છે. Hindalco – 2.5% વધારો જોવા મળ્યો છે. તેમ જ ડિફેન્સ સેક્ટરની કંપનીઓના બિઝનેસ અને આવક વધવાની ધારણાએ તેના શેરના ભાવમાં વધારો જોવા મળ્યો છે. કારણ કે ડિફેન્સ સેક્ટરની કંપનીઓએને રૂ. 2.38 લાખ કરોડના ઓર્ડર મળ્યા છે.

બ્રેન્ટ ક્રૂડમાં તેજી

વિશ્વના ફલક પર અમેરિકા-ઇરાનના યુદ્ધની પડી રહેલી અસર હેટળ બ્રેન્ટ ક્રૂડ પણ બેરલદીઠ  $106–109 વચ્ચે આત્યારે આવી ગયું છે. ક્રૂડ તેલ આયાત કરનારા ભારત સહિતના દેશો માટે  મોંઘવારી અત્યંત વધી જવાનો ખતરો ઊભો થઈ ગયો છે.

સોના ચાંદીમાં તેજીની ચાલ શરૂ?

અત્યાર સુધી ડૉલરની ડિમાન્ડ વધતા સોના અને ચાંદીમાં કરેલા રોકાણો સોનું અને ચાંદી વેચીને ડૉલર તરફ ફંટાવા માંડતા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ હવે સોના-ચાંદીમાં સેફ હેવન ડિમાન્ડ  નીકળવા માંડી હોવાનું જણાઈ રહ્યું છે. તેથી સોનું અને ચાંદી વધવા માંડે તેવા નિર્દેશો મળી રહ્યા છે.

2026-27માં શું થઈ શકે?

શેરબજાર, બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીઝના ડેવલપમેન્ટ પર બારીક નજર રાખતા નિષ્ણાતોનું માનવું છે કે વૈશ્વિક અનિશ્ચિતતા હજી પણ ચાલુ રહેશે. ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ કંપનીઓના માર્જિન પર અસર કરશે. ડેટ માર્કેટ એટલે કે બોન્ડ માર્કેટ વધુ સ્થિર રહી શકે છે. તેમાં રોકાણ કરનારાઓને સ્ટેબલ-સ્થિર વળતર મળવાની સંભાવનાઓ વધી રહી છે. આમ 2026-27ના નાણાંકીય વર્ષમાં પસંદગીના સેક્ટરમા જ વિકાસ જોવા મળી શકે છે.

નિફ્ટીના ટેકનિકલ લેવલની વાત કરીએ તો નિફ્ટી 22,200 – 22,150ની સપાટીએ મજબૂત ટેકો ધરાવે છે. છતાં ટેકો તોડીને નીચે જાય તો 22,000 અને તેનાથી નીચે 21,800 સુધી ગગડી શકે છે. આગામી સપ્તાહથી 2025-26ના વર્ષના ચોથા ત્રિમાસિક ગાળાના કંપનીઓના પરિણામ જાહેર થવાની સીઝન શરૂ થઈ જશે. આ સંજોગોમાં ભારતીય શેરબજારની ભાવિ ગતિનો મદાર  કંપનીઓના નાણાંકીય પરિણામ પર આધારિત રહેશે.

આમ 2025-26નુ વર્ષ શેરબજાર સહિતના બજારો માચે પડકારજનક વર્ષ રહ્યુ છે. વૈશ્વિક તણાવ અને ક્રૂડના વધેલા ભાવ તેને માટે સૌથી વધુ જવાબદાર છે. આ સંજોગોમાં પણ શેરબજારમાં રોકાણ કરવાની ઇચ્છા ધરાવનારાઓ અત્યંત સાવચેતી સાથે રોકાણ કરે તે જરૂરી બની ગયું છે.

 

Read Previous

ફાર્મા સેક્ટરની કંપનીઓ માટે સરકાર બાયોફાર્મા શક્તિ સ્કીમ ચાલુ કરશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular