ખાતામાં મિનિમમ બેલેન્સ ન હોવાથી બેન્કોએ પાંચ વર્ષમાં રૂ. 28000 કરોડનો દંડ વસૂલી લીધો
કરન્ટ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ન હોવાથી બેન્કોએ પાંચ વર્ષમાં રૂ. 28000 કરોડનો દંડ વસૂલી લીધો
અમદાવાદઃ છેલ્લા પાંચ વર્ષમાં દેશભરની બેંકોએ ખાતામાં ન્યૂનતમ સરેરાશ બેલેન્સ ન જાળવવા બદલ ગ્રાહકો પાસેથી રૂ. 27,973.01 કરોડ નો દંડ વસૂલી લીધો છે. રાજ્યસભમાં કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ આપેલા જવાબ મુજબ, જાહેર ક્ષેત્રની એટલે કે સરકારી બેંકોએ પાંચ વર્ષમાં રૂ. 12,033.39 કરોડ એકત્ર કર્યા છે, જ્યારે ખાનગી બેંકોએ ચાર વર્ષના ઉપલબ્ધ ડેટા મુજબ ₹15,939.62 કરોડ વસૂલ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે દેશની ૧૨ માંથી ૧૦ સરકારી બેંકોએ બચત ખાતા પરનો આવો દંડ સંપૂર્ણપણે નાબૂદ કર્યો છે.
નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ થી ૨૦૨૫-૨૬ વચ્ચે એચડીએફસી બેન્કે સૌથી વધુ રૂ. 5,669.91 કરોડનો દંડ વસૂલ્યો હતો. ત્યારબાદ એક્સિસ બેન્કે રૂ. 3,787.30 કરોડ, આઈસીઆઈસીઆઈ બેન્કે રૂ. 1,578.29 કરોડ અને કોટક મહિન્દ્રા બેન્કે રૂ. 998.41 કરોડનો ક્રમ આવે છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ પાંચ વર્ષમાં રૂ. 1,600.77 કરોડ વસૂલ્યા છે, પરંતુ સરકારે સ્પષ્ટ કર્યું કે આ રકમ માત્ર કરંટ એકાઉન્ટ્સમાં મિનિમમ બેલેન્સ ન રાખવા માટે વસૂલવામાં આવી છે. સ્ટેટ બેન્કે માર્ચ ૨૦૨૦ થી બચત ખાતાં પરનો દંડ નાબૂદ કર્યો છે. અન્ય સરકારી બેંકોમાં બેન્ક ઓફ બરોડાએ રૂ. 2,028.94 કરોડ, પંજાબ નેશનલ બેન્કે રૂ. 1,896.38 કરોડ અને ઇન્ડિયન રૂ. 1,776.85 કરોડ દંડ પેટે વસૂલેલા છે.
જન ધન અને શૂન્ય બેલેન્સ ખાતાઓને સંપૂર્ણ મુક્તિ
જન ધન યોજના અને બેસિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ હેઠળના દેશના લગભગ ૭૩ કરોડ શૂન્ય-બેલેન્સ ખાતાઓને ન્યૂનતમ બેલેન્સ ન જાળવવાના દંડમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે.
એટીએમ અને ડેબિટ કાર્ડ ચાર્જિસથી આવક
નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં સ્ટેટ બેન્કે એટીએમ ચાર્જિસમાંથી રૂ. 1,650 કરોડ અને ડેબિટ કાર્ડ વાર્ષિક મેઇન્ટેનન્સ ચાર્જમાંથી રૂ. 3,117.03 કરોડની જંગી આવક મેળવી છે. યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાએ પણ ડેબિટ કાર્ડ ચાર્જિસ પેટે રૂ. 756.58 કરોડ એકત્ર કર્યા છે.
રીઝર્વ બેન્કના નિયમો
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની માર્ગદર્શિકા અનુસાર, દંડ લગાડતા પહેલાં બેંકોએ ગ્રાહકોને એસએમએસ, ઇમેઇલ કે પત્ર દ્વારા જાણ કરવી ફરજિયાત છે અને ખાતામાં જરૂરી બેલેન્સ જાળવવા માટે સમય આપવો જરૂરી છે. જોકે એસએમએસ નિયમિત ન મોકલવામાં આવતા હોવાથી નિયમિત સમયાંતરે રૂ. 17ની આસપાસ કાપી લેવામાં આવે છે. સિનિયર સિટીઝનને નેટ બેન્કિંગની સુવિધા ન જોઈતી હોય તો પણ તેમને ન સમજાય તેવા મેસેજ મોકલીને નેટ બેન્કિંગમાં જોડી દેવામાં આવે છે. ત્યારબાદ તેમના ખાતામાંથી પૈસા ઉપડી જાય ત્યારે બેન્કો કોઈ જ જવાબદારી લેતી નથી.

