31 જુલાઇની ડેડલાઇન પહેલાં CBDT એ ઇનકમ ટેક્સ પોર્ટલ અપગ્રેડ કર્યું,

આવકવેરા વિભાગે રિટર્ન ફાઇલિંગ સીઝન દરમિયાન પીક ટ્રાફિકને પહોંચી વળવા માટે ઇ-ફાઇલિંગ પોર્ટલને મજબૂત બનાવ્યું છે, જેમાં પ્રતિદિન 1 કરોડ આઇટીઆર (ITR) પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે.
કરદાતાઓ પીક ફાઇલિંગ સમયગાળા દરમિયાન કોઇપણ અડચણ વગર રિટર્ન ફાઇલ કરી શકશે, છેલ્લી ઘડીએ પોર્ટલ કામ ન કરતું હોવાની બૂમ નહિ પડે
સીબીડીટી-સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે આવકવેરાના પોર્ટલ પર સુધારેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે પોર્ટલ કાર્યરત રહીને ઊંચા ટ્રાન્ઝેક્શન વોલ્યુમને સંભાળવામાં સક્ષમ બન્યું છે. આકારણી વર્ષ 2026-27 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની 31 જુલાઇની ડેડલાઇન નજીક આવી રહી છે ત્યારે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ એ આવકવેરા વિભાગના ઇ-ફાઇલિંગ પોર્ટલને મજબૂત બનાવ્યું છે જેથી કરદાતાઓ પીક ફાઇલિંગ સમયગાળા દરમિયાન કોઇપણ અડચણ વગર રિટર્ન ફાઇલ કરી શકે.
21 જુલાઇના રોજ લોકસભામાં આપેલા લેખિત જવાબમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે વિભાગે અગાઉની ફાઇલિંગ સીઝન દરમિયાન અનુભવાયેલી સમસ્યાઓનું વિશ્લેષણ કર્યા પછી પોર્ટલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓપરેશનલ સજ્જતાને અપગ્રેડ કરી છે. સરકારે ઉમેર્યું હતું કે જોકે કેટલાક કરદાતાઓ ભારે ટ્રાફિકના સમયગાળા દરમિયાન ક્યારેક ધીમો રિસ્પોન્સ ટાઇમ અનુભવી શકે છે, તેમ છતાં વપરાશમાં નોંધપાત્ર વધારો થવા છતાં પોર્ટલ મોટાભાગે સ્થિર રહ્યું છે.
ડેડલાઇન પહેલાં સીબીડીટીએ શું બદલ્યું છે?
નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇ-ફાઇલિંગ ઇકોસિસ્ટમનું પર્ફોર્મન્સ-ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે અને તેને એક જ દિવસમાં 1 કરોડ આવકવેરા રિટર્ન પ્રોસેસ કરવા માટે પ્રમાણિત કરવામાં આવ્યું છે, જે વર્તમાન ફાઇલિંગ વોલ્યુમ કરતાં નોંધપાત્ર રીતે વધારે છે. આ ક્ષમતાને ટેકો આપવા માટે, વિભાગે કોમ્પ્યુટિંગ રિસોર્સિસ, સ્ટોરેજ, મેમરી, નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ટરનેટ બેન્ડવિડ્થનો વિસ્તાર કર્યો છે. તેણે મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમસ્યાઓને પણ સુધારી છે જેણે અગાઉની રિટર્ન ફાઇલિંગ સીઝનને અસર કરી હતી.
પોર્ટલના પરફોર્મન્સ પર સતત નજર રાખવા અને તકનીકી સમસ્યાઓનો જવાબ આપવા સેન્ટ્રલ “વોર રૂમ” ઊભો કર્યો
સરકારે જણાવ્યું હતું કે એક સમર્પિત સાતેય દિવસ ચોવીસ કલાક મોનિટરિંગ ફ્રેમવર્ક બનાવવામાં આવ્યું છે, જેમાં પોર્ટલના પ્રદર્શન પર સતત નજર રાખવા અને જો કોઈ તકનીકી સમસ્યાઓ હોય તો તેનો જવાબ આપવા માટે એક સેન્ટ્રલ વોર રૂમનો સમાવેશ થાય છે. સાયબર સુરક્ષાના મોરચે, આવકવેરા વિભાગે ફાયરવોલ સિસ્ટમ્સને અપગ્રેડ કરી છે, સાયબર અને બોટ હુમલાઓ સામે રક્ષણ મજબૂત કર્યું છે, અને ભારે વપરાશના સમયગાળા દરમિયાન પોર્ટલને સુરક્ષિત રાખવા માટે સંકલન પદ્ધતિઓમાં સુધારો કર્યો છે.
સીબીડીટીએ ફાઇલિંગ ઇકોસિસ્ટમને સપોર્ટ કરતી કેટલીક બાહ્ય એજન્સીઓ સાથે પણ સંકલન કર્યું છે, જેમાં યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, બેંકો, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ લિમિટેડ, નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા અને ઇ-રિટર્ન ઇન્ટરમીડિયરીઝનો સમાવેશ થાય છે. સરકારના જણાવ્યા અનુસાર, આ પગલાંનો હેતુ સમગ્ર ફાઇલિંગ સીઝન દરમિયાન અવિરત સેવા વિતરણ સુનિશ્ચિત કરવાનો છે.
પોર્ટલનો ઉપયોગ વધ્યો
નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે ગયા વર્ષની સરખામણીમાં પોર્ટલ પર ટ્રાફિક નોંધપાત્ર રીતે વધ્યો છે. 8 જુલાઈથી 14 જુલાઈની વચ્ચે, દૈનિક રિટર્ન ફાઇલિંગ વાર્ષિક ધોરણે ઘણા દિવસોમાં બમણાથી વધુ થઈ ગયું છે. માત્ર 14 જુલાઈના રોજ જ કરદાતાઓએ 12.22 લાખ રિટર્ન ફાઈલ કર્યા હતા, જ્યારે દૈનિક લોગિન લગભગ 99 લાખ સુધી પહોંચી ગયું હતું. લોગિન, રિટર્ન ફાઇલિંગ, ચલણ ચૂકવણી અને ફોર્મ 26-એએસ સંબંધિત સેવાઓ સહિત પોર્ટલ પર એકંદર વ્યવહારો તે દિવસે આશરે 1.61 કરોડ સુધી પહોંચ્યા હતા. સરકારે જણાવ્યું હતું કે સુધારેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે પોર્ટલ કાર્યરત રહીને આ ઉચ્ચ ટ્રાન્ઝેક્શન વોલ્યુમને સંભાળવામાં સક્ષમ બન્યું છે.
ITR ફાઇલ કર્યા પછી 30 દિવસની અંદર ઈ-વેરિફિકેશન કરવું ફરજિયાત
આવકવેરાનું રિટર્ન્ ફાઈલ કર્યા પછી 30 દિવસની અંદર તેનું ઇ-વેરિફિકેશન કરવું ફરજિયાત છે. તેમાં વિલંબ અને આઉટેજ માટે સર્વિસ પ્રોવાઇડરને દંડ કરવામાં આવે ચે. નાણા મંત્રાલયે સંસદને એ પણ જાણ કરી હતી કે આવકવેરા વિભાગના ઇ-ફાઇલિંગ પોર્ટલના વિકાસ અને જાળવણી માટે જવાબદાર મેનેજ્ડ સર્વિસ પ્રોવાઇડરને તેના કરારની શરતો હેઠળ દંડ પણ કરવામાં આવ્યો છે.
