AIOCD ઓનલાઈન ફાર્મસી અને ઘરઆંગણે દવાની ડિલિવરી સામેના વિરોધમાં 11 મેએ દેશવ્યાપી બંધ પાળશે

અમદાવાદઃ ભારતની રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ વેપાર સંસ્થા All India Organisation of Chemists and Druggists (AIOCD) એ 11 મે 2026ના રોજ દેશવ્યાપી હડતાળ નેશનલ ફાર્મસી બંધ પાળવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ મહત્વપૂર્ણ નિર્ણય 15 માર્ચે ઉદયપુર (રાજસ્થાન) ખાતે યોજાયેલી સંસ્થાની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની બેઠકમાં લેવામાં આવ્યો હતો. AIOCDના અધ્યક્ષ જે.એસ. શિન્દેએ શરૂઆતમાં 15 એપ્રિલની તારીખ સૂચવી હતી, પરંતુ પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તારીખ બદલીને 11 મે રાખવામાં આવી હોવાનું મહાસચિવ રાજીવ સિંઘલે જણાવ્યું હતું.
આ નિર્ણય પરંપરાગત ફાર્મસી વ્યવસાય અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલતા તણાવ પરાકાષ્ઠાએ પહોંચી ગયો હોવાનો નિર્દેશ આપી રહ્યો છે. AIOCDએ સરકારના ઓનલાઈન ફાર્મસી નિયંત્રણ અંગેના ઉદાસીન વલણ અંગે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે. એઆઈઓસીડીનું માનવું છે કે ઓનલાઈન પ્લેટફોર્મ્સ ઘણીવાર ફિઝિકલ ફાર્માસિસ્ટની દેખરેખ વગર દવાઓ વેચે છે. આ બાબત સ્વ-ઉપચારને પ્રોત્સાહન આપે છે. એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ જેવા વૈશ્વિક જોખમને વધારી શકે છે.
આ હડતાળનું મુખ્ય કારણ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા GSR 220(E) અને GSR 817(E) જેવા નોટિફિકેશનને તાત્કાલિક પાછા ખેંચવાની માંગણી પણ છે. AIOCDના મતે આ ડ્રાફ્ટ નિયમો ઇ-ફાર્મસી માટે છટકબારી તરીકે કામ કરે છે. તેને કારણે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટના કડક નિયમોને બાયપાસ કરી શકાય છે. ઉપરાંત, દેશમાં લગભગ 12.40 લાખ પરંપરાગત દવા દુકાનોના જીવનનિર્વાહ પર આ પ્લેટફોર્મ્સ ખતરો ઉભો કરે છે.
ઇ-ફાર્મસી સિવાય, સંસ્થા સરકારની દવાઓની ઘરઆંગણે ડિલિવરી યોજનાનો પણ કડક વિરોધ કરી રહી છે. રાજીવ સિંઘલએ જણાવ્યું કે આ બંધ વૃદ્ધ નાગરિકોને સીધી દવા પહોંચાડવાની યોજનાઓ સામે પણ છે. AIOCDના મતે આવી વ્યવસ્થા સ્થાનિક ફાર્માસિસ્ટની ભૂમિકા ઘટાડે છે અને પરંપરાગત વેપારને નુકસાન પહોંચાડે છે.
દવાઓ પર ભારે ડિસ્કાઉન્ટ આપતી ફાર્મસી ચેઇન્સ સામે પણ AIOCDએ કડક વલણ અપનાવ્યું છે. સંસ્થાનું કહેવું છે કે આ પ્રકારની કિંમતોની સ્પર્ધા બજારને અસ્થિર બનાવે છે અને ફાર્માસ્યુટિકલ વ્યવસાયની ગુણવત્તા અને ધોરણોને નુકસાન પહોંચાડે છે. ઉદયપુરમાં યોજાયેલી બેઠકમાં દેશભરમાંથી 250થી વધુ સભ્યોએ ભાગ લીધો હતો, જેમાં બાહ્ય પડકારો સાથે આંતરિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
હોસ્પિટલ ફાર્મસીમાં કાર્યરત ફાર્માસિસ્ટોના જણાવ્યા અનુસાર બંધ દરમિયાન રિટેલ અને હોલસેલ દવા દુકાનો બંધ રહેશે, પરંતુ દર્દીઓની સલામતી માટે હોસ્પિટલની ઇમર્જન્સી ફાર્મસી ખુલ્લી રહેશે. આગામી કાર્યકારી સમિતિની બેઠક મહારાષ્ટ્રના અમરાવતીમાં ખાતે યોજાશે. આ બેઠકમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.



