• 6 March, 2026 - 4:12 AM

યુદ્ધ અસરને કારણે કતાર એનર્જીએ LNG ઉત્પાદન બંધ કર્યુંઃ સીએનજી-રાંધણ ગેસના ભાવમાં વધારો થશે

પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે પેટ્રોનેટ LNGએ ‘ફોર્સ મેજર’ નોટિસ આપી

પશ્ચિમ એશિયામાં ઇરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં મોટી અસ્થિરતા ઉભી થઈ છે. વિશ્વની સૌથી મોટી લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) નિકાસકાર કંપની કતાર એનર્જીએ LNG અને તેની સાથે જોડાયેલા ઉત્પાદનોનું ઉત્પાદન તાત્કાલિક અસરથી બંધ કરી દીધું છે. કંપનીએ પોતાના ગ્રાહકોને ‘ફોર્સ મેજર’ની જાહેરાત પણ કરી છે. કંપનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપેલા નિવેદનમાં જણાવ્યું કે હાલની સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને LNG ઉત્પાદન અને સપ્લાય અટકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરિણામે આગામી દિવસોમાં સીએનજી કે પીએનજીના ગેસના ભાવમાં મોટો વધારો આવી જવાની સંભાવના છે. રાંધણગેસના બાટલાના ભાવ પણ વધી શકે છે.

ભારત માટે કતાર અત્યંત મહત્વનો સપ્લાયર

ભારત પોતાના કુલ LNG આયાતમાંથી લગભગ 40 ટકા LNG કતારમાંથી મંગાવે છે, તેથી આ નિર્ણય ભારત માટે ઊર્જા પુરવઠા પર સીધી અસર પાડે તેવી શક્યતા છે. આ વિક્ષેપનું મુખ્ય કારણ હોર્મોઝની સામુદ્રધૂનીમાં ઊભી થયેલી અસ્થિર પરિસ્થિતિ છે. ઇરાન અને ઓમાન વચ્ચે આવેલી આ સામુદ્રધૂની વિશ્વના સૌથી મહત્વના ઊર્જા માર્ગોમાંની એક છે. વિશ્વના દરિયાઈ માર્ગે થતા કુલ ક્રૂડ ઓઈલના વેપારમાંથી લગભગ 30 ટકા ટ્રેડ આ માર્ગ પરથી પસાર થાય છે.

જો આ પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલે તો ભારતમાં ઉદ્યોગો અને સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓને 40 ટકા સુધી ગેસ સપ્લાયમાં કાપ પડી શકે છે. તેની અસર CNG અને ઘરોમાં ઉપયોગ થતી PNG ગેસની ઉપલબ્ધતા પર પડી શકે છે.

‘ફોર્સ મેજર’ શું છે?

‘ફોર્સ મેજર’ એ કાયદાકીય નોટિસ છે, જે ત્યારે આપવામાં આવે છે જ્યારે યુદ્ધ, કુદરતી આપત્તિ કે અન્ય અનિયંત્રિત પરિસ્થિતિને કારણે કોઈ કંપની કરાર મુજબની ફરજો પૂર્ણ કરી શકતી ન હોવાનું જણાવી દેવામાં આવે છે. આ સ્થિતિમાં કરારની જવાબદારીઓ તાત્કાલિક અસરથી સ્થગિત થઈ જાય છે અને કંપનીને માથે કોઈ જવાબદારી આવતી નથી.

પેટ્રોનેટ LNGએ પણ નોટિસ આપી

ભારતની સૌથી મોટી LNG આયાતકાર કંપની પેટ્રોનેટ LNG લિમિટેડએ પણ કતાર એનર્જીને ‘ફોર્સ મેજર’ નોટિસ આપી છે. સાથે સાથે કંપનીએ પોતાની ગેસ સપ્લાય લેતી કંપનીઓ — ગેઇલ (ઇન્ડિયા) લિમિટેડ, ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન અને ભારત પેટ્રોલિયમ —ને પણ માહિતી આપી છે.

પેટ્રોનેટ LNGએ સ્ટોક એક્સચેન્જમાં કરેલી ફાઈલિંગમાં જણાવ્યું કે હોર્મોઝની સામુદ્રધૂનીમાં વધેલા જોખમોને કારણે LNG ટેન્કરો માટે દરિયાઈ માર્ગ સલામત નથી. કંપનીના Disha, Raahi અને Aseem નામના LNG જહાજો હાલ કતારના રસ લાફાન બંદર સુધી સુરક્ષિત રીતે પહોંચી શકતા નથી.

કંપનીએ કહ્યું કે હાલ આ પરિસ્થિતિનો નાણાકીય પ્રભાવ કેટલો પડશે તે અંગે સ્પષ્ટ અંદાજ લગાવવો શક્ય નથી. ઉપરાંત યુદ્ધ જેવી પરિસ્થિતિઓ બિઝનેસ ઇન્ટરપ્શન ઇન્શ્યોરન્સ હેઠળ આવતી નથી, તેથી વીમા દાવા કરવાની મર્યાદા રહે છે.

શેરબજારમાં ભારે અસર

આ ઘટનાના સમાચાર પછી પેટ્રોનેટ LNGના શેરમાં ભારે ઘટાડો નોંધાયો છે. બુધવારે શરૂઆતના વેપારમાં શેર લગભગ 12 ટકા સુધી તૂટી ગયો, જોકે બાદમાં થોડો સુધારો આવી ₹280.50 પર 9.3 ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. LNG સેક્ટર સાથે સંકળાયેલી અન્ય કંપનીઓના શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. આ કંપનીઓમાં નીચેની કંપનીઓનો સમાવેશ થાય છે.

  • ગેઇલ (GAIL) – 6.3 ટકાનો ઘટાડો
  • ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) – 4.8 ટકાનો ઘટાડો
  • મહાનગર ગેસ – 8.9 ટકાનો ઘટાડો
  • ઇન્દ્રપ્રસ્થ ગેસ – 5.6 ટકાનો ઘટાડો

પેટ્રોનેટ LNG પાસે કતારમાંથી દર વર્ષે 8.5 મિલિયન ટન LNG આયાત કરવાનો લાંબા ગાળાનો કરાર છે. ઉપરાંત કંપની સ્પોટ માર્કેટમાંથી પણ LNG ખરીદે છે.હાલ ભારત કુલ મળીને દર વર્ષે લગભગ 27 મિલિયન ટન LNG આયાત કરે છે, જેમાં કતાર અને યુએઈ મુખ્ય સપ્લાયરો છે.

ગેસના વૈશ્વિક ભાવમાં 40 ટકા ઉછાળો

નોર્વેની ઊર્જા કન્સલ્ટન્સી કંપની Rystad Energyના જણાવ્યા મુજબ કતારે LNG ઉત્પાદન બંધ કરી દેવાનો નિર્ણય લીધો હોવાથી અને હોર્મોઝની સામુદ્રધૂનીમાં શિપિંગ અટકતા વૈશ્વિક બજારમાં ગેસના ભાવમાં 40 ટકા કરતા વધુ વધારો થયો છે. કંપનીનું કહેવું છે કે કતારની સપ્લાય બંધ થવાથી વૈશ્વિક LNG સપ્લાયમાં મોટી કમી સર્જાઈ શકે છે. સપ્લાય કેટલો સમય ખોરવાય છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કેટલું નુકસાન થયું છે તેના આધારે બજારની સ્થિતિ નક્કી થશે.

 

Read Previous

BSE હવે Sensex Next 30 પર માસિક ફ્યુચર્સ અને ઓપ્શન્સ શરૂ કરશે

Read Next

આજે શેરબજારમાં શું કરશો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular