હીરા જડેલા સોનાં-ચાંદીના આભૂષણોના આયાત પર DGFTએ નિયંત્રણ લગાવ્યા

દુબઈમાં પ્રતિ ઔંસ 30 ડૉલરના ડિસ્કાઉન્ટ પર વેચાતા હીરા જડેલા સોનાં અને ચાંદીના આભૂષણોના આયાત પર નિયંત્રણ લાગુ કર્યા
દુબઈમાં પ્રતિ ઔંસ 30 ડૉલરના ડિસ્કાઉન્ટને ધ્યાનમાં રાખીને ભારત સરકારે હીરા જડેલા સોનાં અને ચાંદીના આભૂષણોના આયાત પર નિયંત્રણ લગાવ્યા છે. બુધવારે સવારે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં સરકારે ખાસ કરીને ઓછા મૂલ્યના હીરા સાથે બનાવેલા સોનાં અને ચાંદીના આભૂષણોના આયાત પર પ્રતિબંધ મૂક્યો છે.
હાલમાં સોનાં અને ચાંદીના ભાવોમાં ઘટાડો જોવા મળ્યો છે, છતાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે લાંબા ગાળે બંને કિંમતી ધાતુઓના ભાવ મજબૂત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઈરાન દ્વારા ભારે બોમ્બમારો કરવામાં આવ્યો હોવાથી દુબઈમાં નાણાકીય પ્રવૃત્તિઓ એટલે કે બુલિયનનો વેપાર અને ટુરિઝમનો વ્યવસાય લગભગ ઠપ્પ થઈ ગયા છે.
આ પરિસ્થિતિને કારણે ઘણા બુલિયન વેપારીઓ પ્રતિ ઔંસ 30 ડૉલર સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. જ્યારે ફ્લાઇટ સેવા ફરી શરૂ થશે, ત્યારે સોનાં-ચાંદીના આભૂષણો ભારત તરફ મોટા પ્રમાણમાં આવી શકે છે, જેના કારણે સ્થાનિક બજારમાં તાત્કાલિક દબાણ આવી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે સોનાં અને ચાંદીના આયાત સંબંધિત નિયમોમાં ફેરફાર કરીને સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા જાહેર કરાયેલા આ નોટિફિકેશન મુજબ આ વસ્તુઓના આયાત નીતિની ફ્રી કેટેગરીમાંથી બદલીને રિસ્ટ્રિક્ટેડ કેટેગરી કરી દેવામાં આવી છે. આ નિયમ તત્કાળ અમલમાં મૂકી દેવામાં આવ્યો છે અને 30 જૂન સુધી લાગુ રહેશે. DGFTએ જણાવ્યું છે કે આ નિર્ણય હેઠળ સંબંધિત માલના આયાત પર પણ નિયંત્રણ રાખવામાં આવશે.



