વૈશ્વિક અનિશ્ચિતતા બાદ શેરબજારમાં કરેલા રોકાણમાં મળતા વળતર અકલ્પનિય વધારો

- મ્યુચ્યુઅલ ફંડ અને એસઆઈપીના રોકાણકારો તેમના ઇન્વેસ્ટમેન્ટ પર અત્યાર સુધી થયેલા નફામાંથી 50થી 60 ટકા ઘટી ગયો
– વૈશ્વિક સંઘર્ષની સ્થિતિ પછીના શ્રેષ્ઠ 30 દિવસ રોકાણકારો ચૂકી જાય તો આગામી મહિનાઓમાં મળનારા રિટર્નમાં ઘણો ઘટાડો થઈ જાય છે.
વૈશ્વિક સંઘર્ષ દરમિયાન માર્કેટમાં થતી સુધારાઓ લાંબા ગાળા માટે નવી તકોનું નિર્માણ કરે છે તે ભૂતકાળના અનુભવ પરથી સ્પષ્ટ થાય છે. શેરબજારના વિશ્લેષકો કહે છે કે વૈશ્વિક સમસ્યા વખતે માર્કેટમાં આવતા કરેક્શન લાંબા ગાળાના રોકાણ માટે સારા અવસર આપે છે. ભૂતકાળમાં દરેક સંકટ પછી માર્કેટ મજબૂત રીતે ફરી ઊભું થાય છે.
અત્યારે ઇઝરાયલ-અમેરિકાએ સાથે મળીને ઇરાન પર આક્રમણ કર્યું છે. ભારતીય શેરબજાર રોજ રોજ નવું તળિયું પકડી રહ્યું છે. મ્યુચ્યુઅલ ફંડ અને એસઆઈપીના રોકાણકારો તેમના ઇન્વેસ્ટમેન્ટ પર અત્યાર સુધી થયેલા નફામાંથી 50થી 60 ટકા ઘટી ગયો હોવાનું જોવા મળ્યું છે. ભૂતકાળમાં પણ ગલ્ફ યુદ્ધ, ઈરાક યુદ્ધ, કારગિલ યુદ્ધ અને 26/11 હુમલા પછી ભારતના શેર બજાર ખાસ્સા તૂટી ગયા હતા. પરંતુ થોડા મહિના થી વર્ષોમાં જ મજબૂત પુનઃપ્રાપ્તિ થાય છે. બાર માસમાં બજાર સો ટકા વધી ગયું હોવાનું જોવા મળ્યુ હતું. યુદ્ધ વિરામ પછીના એક વર્ષમાં ઇક્વિટી ઇન્વેસ્ટર્સને તગડો ફાયદો મળ્યો જ છે.
PL Capitalના તાજેતરના અહેવાલ મુજબ, પશ્ચિમ એશિયામાં વધતા તણાવના કારણે ક્રૂડ ઓઈલના ભાવ, મોંઘવારી અને કરન્સી દબાણ વધ્યું છે, જેના કારણે માર્કેટમાં અસ્થિરતા વધી છે. યુદ્ધ શરૂ થયા બાદ ઇક્વિટી માર્કેટમાં 7-8 ટકાનો ઘટાડો નોંધાયો છે. નજીકના સમયમાં વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે બજારમાં ઉથલપાથલ જોવા મળી શકે છે. કોમોડિટીના ભાવ અને વિદેશી રોકાણના પ્રવાહો પણ શેરબજારને સીમિત રાખી શકે છે. પરંતુ ભારતના મજબૂત આર્થિક આધાર—સ્થાનિક માંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ અને સુધરતા કોર્પોરેટ બેલેન્સ શીટ—લાંબા ગાળે માર્કેટને મજબૂતી આપે છે. વેન્ચુરાના રિસર્ચ હેડ વિનિત બોલિન્જકરે જણાવ્યું કે હાલની અસ્થિરતા છતાં કંપનીઓના લાંબા ગાળાના વૃદ્ધિ દૃષ્ટિકોણમાં કોઈ મોટો ફેરફાર આવ્યો નથી.
યુદ્ધ પછી માર્કેટ રિકવરી
ભૂતકાળમાં યુદ્ધ દરમિયાન BSE સેન્સેક્સ લગભગ 10 ટકા જેટલો ઘટ્યો છે, પરંતુ સરેરાશ 38 દિવસમાં ફરી ઊભો થયો છે. Tata AIAના અહેવાલ મુજબ ગલ્ફ યુદ્ધ (1990) બાદ 1 વર્ષમાં શેરબજારમાં 50 ટકાનો અને 5 વર્ષમાં 200 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ઈરાક યુદ્ધ (2003) બાદ 1 વર્ષમાં 68 ટકા અને 5 વર્ષમાં 300 ટકાનો સુધારો જોવા મળ્યો હતો. આ બે વૈશ્વિક ઘટના છે. ભારતમાં જ બનેલી ઘટનાઓને ધ્યાનમાં લેવામાં આવે તો કારગિલ યુદ્ધ (1999), મુંબઈ 26/11 હુમલા અને ઉરી અને પુલવામા હુમલા પછી તૂટી ગયેલા બજારોએ મજબૂતી સાથે બાઉન્સ બેક કરેલું છે. શેરબજારોએ એક વર્ષમાં 35 ટકા સુધી અને 2-3 વર્ષમાં બસો ટકાથી વધુ વૃદ્ધિ બતાવી હોવાનું જોવા મળ્યું છે.
રોકાણકારોએ માત્ર એટલું જ સમજવું જોઈએ કે ટૂંકા ગાળાની અસ્થિરતા લાંબા ગાળાના દિશાને નક્કી કરતી નથી. મુશ્કેલીના સમયમાં જ સારા રોકાણના અવસર મળે છે. નબળા માર્કેટમાં ખરીદી કરવાથી લાંબા ગાળે વધુ ફાયદો થાય છે. છેલ્લા 30 વર્ષમાં Nifty 50એ સરેરાશ 12–14 ટકા વાર્ષિક રિટર્ન આપ્યું જ છે. આ તકલીફની સ્થિતિના શ્રેષ્ઠ 30 દિવસ રોકાણકારો ચૂકી જાય તો તેમને આગામી મહિનાઓમાં મળનારા રિટર્નમાં ઘણો ઘટાડો થઈ જાય છે.
હાલમાં માર્કેટના મૂલ્યાંકન (valuations) 2023–24ની ટોચની સરખામણીએ વધુ આરોગ્યપ્રદ છે. તેથી રોકાણકારોએ રોકાણ કરવા માટે વ્યવસ્થિત વ્યૂહરચના તૈયાર કરવી જરૂરી છે. મજબૂત કંપનીઓમાં લાંબા ગાળા માટે રોકાણ કરી લેવું જોઈએ. તેમ જ ફાઇનાન્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની કંપનીઓના શેર્સ પર વધુ ધ્યાન આપવું જોઈએ. વર્તમાન સ્થિતિમાં હેલ્થકેર અને યુટિલિટી જેવી ડિફેન્સિવ સેક્ટર રોકાણકારોના રોકાણને વધુ મજબૂત સુરક્ષા આપે છે. છેલ્લે ગોલ્ડમાં પણ ઇન્વેસ્ટમેન્ટનું ડાયવર્સિફિકેશન જરૂરી છે.
નવા ઇન્વેસ્ટમેન્ટ માટે એસેટ એલોકેશન
ઇન્વેસ્ટર્સે રોકાણ માટે ઇક્વિટીને પહેલી પસંદ કરવી જોઈએ. ઇન્વેસ્ટમેન્ટ માટે બીજા ક્રમે મ્યુચ્યુઅલ ફંડ આવે છે. ત્યારબાદના ક્રમે ગોલ્ડ અને બોન્ડ્સ આવે છે. આનંદ રાઠી બ્રોકરેજ હાઉસના નિષ્ણાતોના મતાનુસાર સંઘર્ષ વિરામ થાય તે પછી 80 ટકા ઇન્વેસ્ટમેન્ટ ઇક્વિટીમાં અને 20 ટકા ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરવું જઈએ.
SIP અને રોકાણ ટ્રેન્ડ
ફેબ્રુઆરીમાં SIP રોકાણ રૂ. 29,845 કરોડ સુધી પહોંચ્યું હતું. એસઆઈપીમાં કરવામાં આવતા રોકાણમાં દર વર્ષે સરેરાશ 15 ટકાની વૃદ્ધિ જોવા મળે છે. એસઆઈપીમાં પણ રોકાણકારો હવે લાંબા ગાળાના અને નિયમિત રોકાણ તરફ આગળ વધી રહ્યા છે.
અંતિમ અવલોકન
અનિશ્ચિતતાનો કાળ રોકાણ માટે અવરોધ નહીં પરંતુ નવી તકનું નિર્માણ કરે છે. ધીરજ અને શિસ્ત રાખનારા રોકાણકારોને લાંબા ગાળે સારો લાભ મળે છે.



