પહેલી મે 2026થી ગુજરાત સરકાર લઘુત્તમ ટેકાના ભાવે બાજરી, જુવાર, મકાઈની સીધી ખરીદી કરશે

લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતે ફરજિયાત ઓનલાઇન નોંધણી કરાવવાની ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવી લેવી
અમદાવાદઃ રવી માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત ગુજરાત સરકાર ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે બાજરી, જુવાર તથા મકાઈની કરાશે સીધી ખરીદી કરશે. લઘુત્તમ ટેકાના ભાવે બાજરી, જુવાર તથા મકાઈના વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતો ઓનલાઇન નોંધણી તા. ૦૧ થી ૩૦ એપ્રિલ ૨૦૨૬ દરમિયાન કરાવી શકશે. ત્યારબાદ પહેલી મેથી ૧૫ જુલાઇ, ૨૦૨૬ સુધી ખરીદી કરવામાં આવશે.
ભારત સરકારે રવી માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ માટે બાજરીના ક્વિન્ટલદીઠ રૂ. ૨,૭૭૫, જુવાર કે માલદંડીના ક્વિન્ટલદીઠ રૂ. ૩,૭૪૯, જુવાર-હાઈબ્રીડના ક્વિન્ટલદીઠ રૂ. ૩,૬૯૯ તથા મકાઈના ક્વિન્ટલદીઠ રૂ. ૨,૪૦૦ લઘુત્તમ ટેકાના દર નિયત કરેલા છે. ખેડૂતોને મહત્તમ ટેકાના ભાવનો લાભ મળી રહે તે માટે બાજરી તેમ જ જુવારની ખરીદી ઉપર ટેકાના ભાવ ઉપરાંત ક્વિન્ટલદીઠ રૂ. ૩૦૦નું બોનસ પણ ચૂકવવામાં આવશે.
આમ લઘુતમ ટેકાના ભાવથી ખરીદી કરવાની યોજના અંતર્ગત ગુજરાત સરકાર ખેડૂતોને તેમના ઉપ્તાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવી માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત બાજરી, જુવાર તથા મકાઈની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવશે.
ગુજરાત સરકારની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે લઘુત્તમ ટેકાના ભાવે બાજરી, જુવાર તથા મકાઈના વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે પહેલી એપ્રિલથી 30મી એપ્રિલ ૨૦૨૬ સુધી કરવામાં આવશે. ખેડૂતોને તેમના નામની નોંધણી કરાવી લેવા અપીલ કરવામાં આવે છે. ખાસ બાબત એ છે કે ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશનના માધ્યમથી નોંધણી કરવામાં આવશે.
નોંધણી માટે કયા દસ્તાવેજો આપવા પડશે
નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, લેટેસ્ટ ગામ નમૂનો, ૭/૧૨, ૮/અ આપવાના રહેશે. તેમજ પાકની વાવણી અંગેની એન્ટ્રી ૭/૧૨ કે ૮/અમાં ન થઈ હોય તો તલાટીના સહી સિક્કા વાળો દાખલો લાવવાનો રહેશે. ખેડૂતના નામના બેન્ક ખાતાની વિગત, બેંક પાસબૂકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તો તેઓની ઓનલાઇન નોંધણી ફરજિયાત કરવામાં આવી હોવાથી સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે તેન ખાસ નોંધ લેવાની રહેશે. ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તેવા કિસ્સામાં આપનો ક્રમ રદ થશે અને ખરીદી માટે આપને જાણ નહી કરવામાં આવે તેની પણ ખેડૂત મિત્રોએ નોંધ લેવાની રહેશે.



