HDFC બેંકના લોનધારકો માટે મોટી રાહત! નવા નિર્ણયથી કરોડો ગ્રાહકોને મળશે સીધો ફાયદો
-HDFC બેંકની ભેટ: લોનના વ્યાજ દરોમાં 0.30%નો ઘટાડો
-7 જુલાઈ 2025થી નવા MCLR દરો લાગુ

દેશની સૌથી મોટી પ્રાઈવેટ સેક્ટરની બેંક HDFC બેંકે તેના કરોડો ગ્રાહકોને મોટી ભેટ આપી છે. HDFC બેંકે લોનના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. ઘણા સમય બાદ એવું બન્યું છે કે જ્યારે બેંકે MCLRમાં સીધો 0.30 ટકાનો ઘટાડો કર્યો છે. બેંક MCLR દરોથી ઓછા દરે હોમ લોન કે કાર લોન આપી શકતી નથી. આવી સ્થિતિમાં, જો બેંક MCLR ઘટાડે છે, તો લોનના વ્યાજ દરો આપોઆપ ઘટી જાય છે.
HDFC બેંકે MCLR ઘટાડ્યું
HDFC બેંકે તમામ પીરિયડ માટે MCLRમાં 0.30 ટકાનો ઘટાડો કર્યો છે. MCLR ઘટવાથી હોમ, કાર અને પર્સનલ લોનની EMI ઘટે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં 1 ટકા રેપો રેટ ઘટાડ્યો છે. તે પછી દેશની મોટાભાગની બેંકો લોન અને FDના દરોમાં ઘટાડો કરી રહી છે. આ નવા દરો આજે 7 જુલાઈ 2025થી લાગુ થઈ ગયા છે.
નવા MCLR દરો 7 જુલાઈ 2025થી લાગુ
HDFC બેંકનો ઓવરનાઈટ અને એક મહિનાનો MCLR 8.90 ટકાથી ઘટાડીને 8.60 ટકા કરવામાં આવ્યો છે. 3 મહિનાનો દર 8.95 ટકાથી ઘટીને 8.65 ટકા થઈ ગયો છે. છ મહિના, એક વર્ષ અને બે વર્ષનો MCLR 8.75 ટકા કરવામાં આવ્યો છે. ત્રણ વર્ષનો MCLR 9.10 ટકાથી ઘટીને 8.80 ટકા થઈ ગયો છે.

MCLRના વધારા અને ઘટાડાની અસર
જ્યારે બેંક પોતાનો MCLR (Marginal Cost of Funds Based Lending Rate) બદલે છે, ત્યારે હોમ લોન, પર્સનલ લોન અને કાર લોન જેવી બધી જ ફ્લોટિંગ રેટવાળી લોનની EMI પર અસર પડે છે. જો MCLR વધે છે, તો લોનના વ્યાજદરો વધી જાય છે અને તમારી EMI મોંઘી થઇ જાય છે. તેમજ જો MCLR ઘટે છે, તો વ્યાજ દરો ઘટી જાય છે, જેનાથી તમારી EMI ઘટે છે. તેનો લાભ નવી લોન લેનારા લોકોને પણ મળે છે, કારણ કે તેઓને પહેલાની સરખામણીએ વધુ સસ્તી લોન મળે છે.
કેવી રીતે નક્કી થાય છે MCLR?
બેંકો MCLR નક્કી કરવા માટે ઘણા બધા ફેક્ટર્સનું ધ્યાન રાખે છે, જેમ કે ડિપોઝીટ રેટ, રેપો રેટ, ઓપરેશનલ કોસ્ટ અને કેશ રિઝર્વ રેશિયો (CRR)નો ખર્ચ. જ્યારે RBI રેપોરેટમાં ફેરફાર કરે છે, તો તેની સીધી અસર MCLR પર પડે છે. જો રેપોરેટ ઘટે છે, તો બેંક પણ MCLR ઘટાડી શકે છે, જેનાથી લોન સસ્તી થઇ શકે છે. તેમજ જો રેપો રેટ વધે છે, તો MCLR પણ વધે છે અને લોનની EMI મોંઘી થઇ જાય છે.