દેશભરમાં ઈ-ફાર્મસીઓના ઓનલાઈન દવા વેચાણ પર તાત્કાલિક સંપૂર્ણ પ્રતિબંધ મૂકો

તામિલનાડુની Ambattur Chemists and Druggists Association (ACDA)એ કેન્દ્ર સરકાર સમક્ષ દેશભરમાં ઈ-ફાર્મસી (ઓનલાઈન દવા વેચાણ) પર તાત્કાલિક સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગણી કરી છે. તાજેતરમાં યોજાયેલી ઈમર્જન્સી એક્ઝિક્યુટિવ કમિટી બેઠકમાં એસોસિએશને સર્વસંમતિથી ઠરાવ પસાર કર્યો હતો. તેમાં જાહેર આરોગ્ય અને મેડિકલ સલામતીના નિયમોના ઉલ્લંઘન અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. એસોસિએશનનું કહેવું છે કે હાલમાં ડિજિટલ દવા વેચાણ પર પૂરતું નિયંત્રણ નથી, જે દેશ માટે જોખમી બની શકે છે. આ માગણી સાથે જ મે મહિનામાં રાષ્ટ્રવ્યાપી બંધ પાળવાની દિશામાં પણ આગળ વધવાની ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશને જાહેરાત કરી છે.
તેમણે Jagat Prakash Nadda અને L. Muruganને લખેલા પત્રમાં મુદ્દાઓ ઊઠાવતા જણાવ્યું છે કે ઘણા ઈ-ફાર્મસી પ્લેટફોર્મ યોગ્ય પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ વેચે છે. બે, કોલ્ડ ચેઇન જાળવવાની જરૂરિયાતનું પાલન થતું નથી. નકલી અથવા નીચી ગુણવત્તાની દવાઓ ગ્રાહકો સુધી પહોંચવાની શક્યતા વધી રહી છે.
પ્રજાના આરોગ્ય સલામતી પર અસર
એસોસિએશનના હોદ્દેદારોનું કહેવું છે કે દવાઓનું વેચાણ સામાન્ય રિટેલ વ્યવહાર નથી, પરંતુ તે એક નિયમિત હેલ્થકેર સેવા છે, જે માત્ર લાઈસન્સ ધરાવતા ફાર્માસિસ્ટની દેખરેખ હેઠળ થવી જોઈએ. ઓનલાઈન પ્લેટફોર્મ્સ આ કાયદાકીય માળખાને અવગણી રહ્યા છે, જેના કારણે સામાન્ય લોકોના જીવન માટે જોખમ ઉભું થાય છે.
આર્થિક અસર
તેમનું કહેવું છે કે ઓનલાઈન કંપનીઓના વધતા પ્રભાવથી પરંપરાગત દવાખાનાઓનું ધંધો જોખમમાં છે. લાઈસન્સ ધરાવતા ફિઝિકલ ફાર્મસી દરેક નિયમનું પાલન કરે છે. જ્યારે ઈ-ફાર્મસી પ્લેટફોર્મ ઘણીવાર આ નિયમોને ટાળી જાય છે. આથી સ્પર્ધામાં અસમાનતા (uneven playing field) ઊભી થઈ રહી છે.
રાષ્ટ્રીય સ્તરે આંદોલન
આ માંગ માત્ર સ્થાનિક સ્તરે નથી, પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ સમર્થન મેળવી રહી છે. તામિલનાડું કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશનના લગભગ 50,000 સભ્યો, ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટના લગભગ 13 લાખ સભ્યો છે. આ તમામ સાથે મળીને અવારનવાર ભારત સરકાર સમક્ષ ઈ-ફાર્મસીના જોખમો અંગે રજૂઆત કરતી આવી છે.
અંતિમ માંગણી
એસોસિએશને સરકાર પાસે માંગણી કરી છે કે ગેરકાયદેસર ઓનલાઈન દવા વેચાણ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. જાહેર આરોગ્યને પ્રાથમિકતા આપવી જોઈએ. કાયદેસર ફાર્માસિસ્ટના હકોનું રક્ષણ થવું જ જોઈએ. તેમણે આશા વ્યક્ત કરી છે કે સરકાર આ મુદ્દે કડક કાયદાકીય પગલાં લેશે.



