• 6 March, 2026 - 4:03 AM

ભારતે અમેરિકાને પૂછ્યું કે હોર્મુઝ ખાડીમાંથી પસાર થતાં જહાજોને ઇન્શ્યોરન્સ કવર મળશે ખરું?

  • ભારતમાં થતી ક્રૂડ ઓઈલની કુલ આયાતમાંથી 40 ટકા ટેન્કરો હોર્મુઝની ખાડીમાંથી પસાર થતાં હોવાથી સ્પષ્ટતા જરૂરી

મધ્યપૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે હોર્મુઝની ખાડી-Strait of Hormuzમાંથી પસાર થતાં જહાજોને ઇન્શ્યોરન્સ કવર મળશે કે નહીં તે અંગે ભારતે અમેરિકા પાસે સ્પષ્ટતા માંગી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, આ માર્ગથી પસાર થતી ક્રૂડ ઓઈલના ટેન્કરો અને અન્ય જહાજો માટે પ્રસ્તાવિત ઇન્શ્યોરન્સ વ્યવસ્થા અંગે ભારત અને અમેરિકા વચ્ચે ચર્ચા થઈ છે.

તાજેતરમાં અમેરિકા અને ઇઝરાયલે ઇરાન પર સંયુક્ત હુમલા કર્યા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો છે. તેના કારણે તેલ બજારોમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે અને સમુદ્રી વેપાર માર્ગો પણ જોખમમાં મુકાયા છે.

આ પરિસ્થિતિ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકાનું ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશનના માધ્યમથી ક્રૂડ ઓઈલ અને અન્ય માલ વહન કરતા જહાજોને ઇન્શ્યોરન્સ સહાય આપવામાં આવી શકે છે. તેમ કરવાથી ખાડી વિસ્તારમાંથી ક્રૂડ ઓઈલના ટેન્કરો મારફતે ઇંધણનો સપ્લાય અને વેપાર સતત ચાલુ રહી શકશે.

ભારત માટે આ માર્ગ અત્યંત મહત્વનો છે, કારણ કે દેશના લગભગ 40 ટકા ક્રૂડ ઓઈલની આયાત હોર્મુઝની ખાડીમાંથી જ થાય છે. જો આ માર્ગમાં વિક્ષેપ આવે તો ભારતના ઊર્જા પુરવઠા પર સીધી અસર પડી શકે છે.

સંભવિત સપ્લાય ખોરવાય નહીં તે માટે ભારત વિશ્વની સરકારી તેલ કંપનીઓ અને કોમોડિટી ટ્રેડરો સાથે પણ વાતચીત કરી રહ્યું છે. તેનો ઉદ્દેશ એવો છે કે હોર્મુઝની ખાડીમાંથી ન પસાર થતા આંતરરાષ્ટ્રીય સ્ટોકમાંથી ક્રૂડ ઓઇલ અને LPG મેળવવાની વ્યવસ્થા કરી શકાશે.

આ તણાવની અસર હવે ભારતમાં પણ જોવા મળી રહી છે. મેન્ગલોર રિફાઈનરી અને પેટ્રોકેમિકલ્સ લિમિટેડને ક્રૂડ ઓઈલની અછતને કારણે મેન્ગલોર રિફાઈનરીને ક્રૂડ ઓઈલના ડિસ્ટિલેશન યુનિટમાંથી એક યુનિટ બંધ કરવાની ફરજ પડી છે. મેન્ગલોર રિફાઈનરી ઓએનજીસી- ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનની સહાયક કંપની છે, તેને ક્રૂડ ઓઈલની અછત નડી રહી છે.

બીજીતરફ કતાર એનર્જીએ ઇરાનના ડ્રોન હુમલાઓ બાદ તેના રાસ લાફાન ઇન્ડસ્ટ્રીયલ સિટિમાં સંપૂર્ણ કામગીરી સ્થગિત કરી દીધી છે. આ દુનિયાનું એલએનજી-લિક્વિડ નેચરલ ગેસની નિકાસનું સૌથી મોટું કેન્દ્ર છે. ભારત પોતાની કુદરતી ગેસની જરૂરિયાતનો લગભગ અડધો ભાગ આયાતથી પૂરો કરે છે, જેમાંથી લગભગ અડધો પુરવઠો કતાર તરફથી આવે છે. તેથી મધ્યપૂર્વમાં વધતા તણાવને કારણે ભારતની ઊર્જા સુરક્ષા અંગે ચિંતાઓ વધી રહી છે.

હોર્મુઝની ખાડી વિશ્વના ઊર્જા વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ માર્ગ છે. પર્શિયન ગલ્ફને વૈશ્વિક શિપિંગ માર્ગો સાથે જોડતી આ સાંકડાં જળમાર્ગમાંથી વિશ્વના લગભગ પાંચમાં ભાગ જેટલો ઊર્જા વેપાર પસાર થાય છે.

Read Previous

અમદાવાદની કોમર્શિયલ કોર્ટ બ્રિટન-સ્વિટ્ઝર્લેન્ડની કંપનીઓને કરાર ભંગ માટે નોટિસ પાઠવી

Read Next

અમેરિકા–ઇઝરાયલ–ઇરાન વચ્ચેનો વધતો સંઘર્ષ વૈશ્વિક ફાર્મા સપ્લાય ચેઇન પર ગંભીર અસર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular