ભારત સરકારે સોનાં, ચાંદી અને પ્લેટિનમના દાગીનાની આયાત પર નિયંત્રણ મૂક્યા

નવી દિલ્હીઃ ભારત સરકારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ના દુરુપયોગ થતો રોકવા માટે સોનાં, ચાંદી અને પ્લેટિનમના જ્વેલરીના આયાત પર તાત્કાલિક અસરથી નિયંત્રણ મૂકવાની જાહેરાત કરી છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ હવે આ પ્રકારના દાગીનાની આયાતને “ફ્રી” કેટેગરીમાંથી કાઢીને “રિસ્ટ્રિક્ટેડ” કેટેગરીમાં મૂકવામાં આવી છે. એટલે કે, હવે આયાત કરવા માટે DGFT પાસેથી પૂર્વ મંજૂરી અથવા લાઈસન્સ લેવું ફરજિયાત રહેશે.
આ નિયમો અગાઉ કરાયેલા કરાર, એલસી (Letter of Credit), એડવાન્સ પેમેન્ટ કે શિપમેન્ટની સ્થિતિને ધ્યાનમાં લીધા વગર લાગુ પડશે. એટલે કે, કોઈ ટ્રાન્ઝિશનલ છૂટછાટ આપવામાં આવશે નહીં. આ પગલું ખાસ કરીને એ કારણસર લેવામાં આવ્યું છે કે કેટલાક વેપારીઓ ASEAN દેશો સાથેના FTAનો દુરુપયોગ કરીને આયાત પરના ડ્યૂટીના તફાવતનો લાભ લઈ રહ્યા હતા.
છૂટછાટો પણ આપવામાં આવી
જોકે 100 ટકા Export Oriented Units (EOUs), Special Economic Zones (SEZs)માં આવેલી યુનિટ્સ , જેમ્સ અને જ્વેલરી એક્સપોર્ટ સ્કીમ હેઠળ આયાત કરવાની છૂટ આપવામાં આવી છે. બીજા શબ્દોમાં કહીએ તો ઉપરોક્ત તમામ પર આ પ્રતિબંધ લાગુ પડશે નહીં.
જેમ્સ એન્ડ જ્વેલરીના ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે સરકારનો નિર્ણય યોગ્ય છે, પરંતુ લાઈસન્સ મેળવવાની પ્રક્રિયા સરળ બનાવવી જરૂરી છે જેથી સાચા વેપારીઓને મુશ્કેલી ન પડે. ભારત અને ASEAN દેશો વચ્ચે 2010થી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ લાગુ કરેલા છે. કેટલાક વેપારીઓ થાઈલેન્ડ જેવા દેશોમાંથી unstudded jewellery તરીકે આયાત બતાવીને ટેક્સ બચાવવાનો પ્રયાસ કરતા હતા.
સરકારે અગાઉ પણ પ્લેટિનમ અને સિલ્વર જ્વેલરીના આયાત પર સમયબદ્ધ નિયંત્રણ મૂક્યા હતા. હવે આ નવા નિયમો દ્વારા સંપૂર્ણ નિયંત્રણ લાવવામાં આવ્યું છે.



