નોટબંધીમાં કેશ ડિપોઝિટ: ITAT એ રૂ. ૬.૮૯ લાખનો ઉમેરો રદ કર્યો
નોટબંધીમાં કેશ ડિપોઝિટ: ITAT એ રૂ. ૬.૮૯ લાખનો ઉમેરો રદ કર્યો
ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ કહ્યું કે કટોકટી માટે લગ્નમાં મળેલી ભેટની રોકડ સાચવી રાખવી એ સામાન્ય બાબત છે
ભેટ આપનારા તમામ લોકો પાસેથી સંમતિ પત્રો અથવા ભેટની રસીદ જેવા કોઈ સમકાલીન દસ્તાવેજી પુરાવા રજૂ કરી શક્યા ન હતા.
ભારતીય સામાજિક રિવાજોમાં દુલ્હનને તેના લગ્ન પ્રસંગે રોકડ ભેટ મળવી અને ભવિષ્યની ઘરગથ્થુ કે તબીબી જરૂરિયાતો માટે તેને ઘરમાં સાચવી રાખવી એ કોઈ અસામાન્ય વાત નથી – તેવું નોંધતા ઇન્કમ ટેક્સ અપીલેટ ટ્રિબ્યુનલ (ITAT) ની મુંબઈ બેંચે આવકવેરા કાયદા, ૧૯૬૧ ની કલમ ૧૧૫BBE સાથે વંચાણે લેવાતી કલમ ૬૯A હેઠળ કરાયેલો રૂ. ૬,૮૯,૦૦૦ નો ટેક્સ ઉમેરો રદ કર્યો છે. આમ વાજબી કારણ હોય તો ઘરમાંથી મળેલી રોકડ કે રોકડ ડિપોઝિટ્સને આવકવેરાની એપેલેટ ટ્રિબ્યુનલ માન્ય રાખી શકે છે.
ટ્રિબ્યુનલે મુંબઈના કરદાતા સતિન્દર ગોવિંદ ઓબેરોય દ્વારા આકારણી વર્ષ ૨૦૧૭-૧૮ માટે કમિશનર ઓફ ઈન્કમ ટેક્સ (અપીલ્સ) (CIT-A), જયપુરના આદેશ સામે નોંધાવેલી અપીલ પર આ નિર્ણય આપ્યો હતો.
આ મહિનાની શરૂઆતમાં આપેલા આદેશમાં, ITAT બેંચના ઓમ પ્રકાશ કાંત (એકાઉન્ટન્ટ મેમ્બર) અને અનિકેશ બેનર્જી (જ્યુડિશિયલ મેમ્બર) એ જણાવ્યું હતું કે, “અમારા વિચારિત મતે, જ્યારે ખુલાસો વ્યાજબી હોય અને આસપાસના સંજોગો દ્વારા તેને ટેકો મળતો હોય, ત્યારે કલમ ૬૯A ના પ્રાવધાનો લાગુ કરવા માટે માત્ર આ સંજોગો અપૂરતા છે. નોટબંધીને કારણે જમા કરાવતા પહેલાં થોડા મહિના સુધી રોકડ રકમ સાચવી રાખવી, તે બાબત જ ખુલાસાને અવિશ્વસનીય બનાવી શકતી નથી. કેસના તમામ તથ્યો અને સંજોગો ધ્યાનમાં લેતાં, અમારો સ્પષ્ટ અભિપ્રાય છે કે કરદાતાએ વિવાદિત કેશ ડિપોઝિટના સ્ત્રોત અંગે વ્યાજબી અને સંતોષકારક સ્પષ્ટતા રજૂ કરી છે. આથી કલમ ૬૯-A હેઠળ કરાયેલ અને કલમ ૧૧૫-BBE હેઠળ કરપાત્ર કરાયેલ રૂ. ૬,૮૯,૦૦૦ નો ઉમેરો રદ કરવાનો આદેશ આપવામાં આવે છે.”
આદેશ અનુસાર, શ્રીમતી ઓબેરોયે રૂ. ૬૯,૨૯૦ ની કુલ આવક દર્શાવતું મૂળ રિટર્ન ફાઇલ કર્યું હતું, જેમાં રૂ. ૩૭,૯૯૨ પગારની આવક અને રૂ. ૩૧,૨૯૫ વ્યાજની આવક હતી. ૮ નવેમ્બરથી ૩૦ ડિસેમ્બર ૨૦૧૬ ના નોટબંધીના ગાળા દરમિયાન તેમણે ત્રણ બેંક ખાતાઓમાં કુલ રૂ. ૧૧.૪૦ લાખની રોકડ જમા કરાવી હોવાથી તેમનો કેસ સ્ક્રૂટિની (તપાસ) માટે પસંદ કરવામાં આવ્યો હતો.
જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ રોકડ ૧ મે ૨૦૧૬ ના રોજ યોજાયેલા તેમના લગ્નમાં મળેલી ભેટ, ભૂતકાળની બચત અને તેમના વિશેષ જરૂરિયાત ધરાવતા (દિવ્યાંગ) પુત્ર તથા બીમાર સાસુની તબીબી કટોકટી માટે ઘરમાં રાખવામાં આવેલી રકમમાંથી આવી હતી.
આવકવેરા ખાતાની આકારણી દરમિયાન, શ્રીમતી ઓબેરોયે રૂ. ૪,૫૧,૦૦૦ ની ડિપોઝિટ માટે કન્ફર્મેશન (સંમતિ પત્રો) રજૂ કર્યા હતા, જે આકારણી અધિકારીએ માન્ય રાખ્યા હતા. જોકે, બાકીનારૂ. ₹૬,૮૯,૦૦૦ ની રકમ કલમ ૬૯-A સાથે વંચાણે લેવાતી કલમ ૧૧૫-BBE હેઠળ તેમની આવકમાં ઉમેરી દેવામાં આવી હતી. તેનું કારણ એ આપવામાં આવ્યું હતું કે તેઓ ભેટ આપનારા તમામ લોકો પાસેથી સંમતિ પત્રો અથવા ભેટની રસીદ જેવા કોઈ સમકાલીન દસ્તાવેજી પુરાવા રજૂ કરી શક્યા ન હતા.
CIT(A) એ આ ઉમેરાને યોગ્ય ઠેરવ્યો હતો. પ્રથમ અપીલ સત્તામંડળે નોંધ્યું હતું કે મે ૨૦૧૬ માં થયેલા લગ્ન અને પાંચથી સાત મહિના પછી નોટબંધી દરમિયાન જમા કરાયેલી રોકડ વચ્ચે ‘મોટો સમયગાળો’ હતો. તેણે એવો પણ દાવો કર્યો કે કરદાતાએ અગાઉના વર્ષોમાં બેંકમાંથી ઉપાડ કર્યો હતો, જે ભૂતકાળની બચત અને સ્ત્રીધન તરીકે મોટી રોકડ રાખવાના તેમના દાવાને નબળો પાડે છે.
શ્રીમતી ઓબેરોયના વકીલે રજૂઆત કરી હતી કે તેમણે આ રોકડ તેમના પતિ પાસેથી તેમજ લગ્નમાં મળેલી ભેટમાંથી એકત્રિત કરી હતી, અને પરિવારના સભ્યોની તાકીદની તબીબી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઘરમાં રાખી હતી. તેમણે આ ઉમેરો રદ કરવા માટે પ્રાર્થના કરી હતી. આવકવેરા વિભાગના વકીલે અધિકારીઓના આદેશો પર આધાર રાખતા દાવો કર્યો હતો કે કરદાતા દસ્તાવેજી પુરાવા આપવવામાં નિષ્ફળ રહ્યા છે.
ટ્રિબ્યુનલે નોંધ્યું કે શ્રીમતી ઓબેરોયના લગ્ન નોટબંધીના થોડા મહિનાઓ પહેલા જ થયા હતા તે અવિવાદિત સત્ય છે. ITAT એ અવલોકન કર્યું કે ભારતીય સંસ્કૃતિમાં લગ્ન પ્રસંગે વહુને રોકડ ભેટ મળવી અને ભવિષ્યની જરૂરિયાતો માટે તે રકમ સાચવી રાખવી એ સામાન્ય બાબત છે.
બેંચે તારણ કાઢ્યું કે શ્રીમતી ઓબેરોયે રોકડ જમા કરાવવાના સ્ત્રોત માટે વ્યાજબી અને સંતોષકારક સ્પષ્ટતા કરી છે. આથી, કલમ ૬૯A હેઠળ કરાયેલ અને કલમ ૧૧૫BBE હેઠળ કરપાત્ર કરાયેલ ₹૬,૮૯,૦૦૦ નો ઉમેરો રદ કરવાનો આદેશ આપીને અપીલ પણ ગ્રાહ્ય રાખવામાં આવી જ હતી.

