ડિજિટલ ફ્રોડ કરનારા તમારા ખાતું ભાડે લઈને હજારોનો ફ્રોડ કરી તમને ફસાવી દેશે

– તમારુ ખાતું ભાડે લઈને તેમાં ફ્રોડથી મેળવેલા ગેરકાયદે નાણાં ખાતામાં જમા કરાવી ગુનો કરનારાઓથી સાવધ રહેજો
– બેન્ક એકાઉન્ટ ભાડે આપવું જુદાં જુદાં ચાર કાયદા હેઠળ ગુનો ગણાય છે. તેને માટે સાતથી દસ વર્ષ સુધીની જેલની સજા થાય
– ડિજિટલ એરેસ્ટ કરી પૈસા પડાવનારાઓ ખાતાના માલિકને ડિજિટલ એરેસ્ટમાં સહકાર આપવાના ગુના માટે જવાબદાર બનાવી અલોપ થઈ જાય છે
આજકાલ ખાતેદારોને ફોસલાવીને તેમના ખાતાં ભાડે લઈ તેનો ઉપયોગ ફ્રોડ કરવા માટે કરવામાં આવે છે. પરિણામે ખાતું ભાડે આપનાર વ્યક્તિને ખ્યાલ આવે તે પહેલા તે આર્થિક ગુનેગાર બની જાય છે. તેને માથે કરોડોની ટેક્સની જવાબદારી આવી જાય છે. તેના બદલામાં તેને મહિને રૂ. 1500થી રૂ. 2500નું ભાડું મળે છે. તેમાં થયેલા કરોડોના ટ્રાન્ઝેક્શન માટેની સંપૂર્ણ જવાબદારી ખાતેદારની આવે છે. આ ખાતાનો ઉપયોગ બ્લેકના નાણાંને વ્હાઈટના નાણાંમાં રૂપાંતર કરવાની માટે કરે છે. પરિણામે મહિને રૂ. 1500નું ભાડું મેળવનાર ખાતેદાર મની લોન્ડરિંગ માટે જેલની સજાને પાત્ર ગુનેગાર બની જાય છે.
તેથી જ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાન્ત દાસાએ પણ આ અંગે ચેતવણી આપેતા જણાવ્યું છે કે છેતરપિંડી કરનારાઓ સામાન્ય રીતે કોઈનું ખાતું ભાડે લઈ લે છે. આ ખાતામાંથી જ છેતરપિંડીથી મેળવેલા નાણાં ફેરવે છે. આ ખાતાને મ્યુલ એકાઉન્ટ તરીકે ઓળખાવવામાં આવે છે. મ્યુલ એકાઉન્ટ ચેતન મહેતાને નામે હોય છે. પરંતુ તેનો ઉપયોગ સુરેશ શાહ કરતો હોવાનું જોવા મળે છે.
મ્યુલ એકાઉન્ટ કેવી રીતે મેળવે છે
સોશિયલ મિડીયા પર જોબની ઓફર આપીને ખાતું ભાડે આપનાર શોધી આપવા માટેના જોબની ઓફર મૂકવામાં આવે છે. આ જોબ લઈને ખાતું મેળવી આપનારને વન ટાઈમ મોટું કમિશન આપવામાં આવે છે. આ કમિશન રૂ. 10,000 સુધીનું હોઈ શકે છે. બીજું, વર્કફ્રોમ હોમની જોબ ઓફર મૂકે છે. ટેલિગ્રામ, વૉટ્સએપનો તેને માટે ઉપયોગ કરે છે. તેને માટે નોકરીની બનાવટી ઓફર આપે છે. તેમાં કૉલેજ કેમ્પસના યુવાનોને, ગ્રામીણ વિસ્તારના નાગરિકોને તથા પરિચિત સગાં સંબંધીઓને તેમના ખાતાં ભાડેથી આપવા લલચાવે છે.
તેમ જ પોતાનો એટીએમ કાર્ડ વાપરવા આપવા, તેમનો બેન્ક એકાઉન્ટ નંબર વાપરવા, નેટબેન્કિંગના પાસવર્ડ આપવા, તેમના ઓટીપી આપવા તથા સીમ કાર્ડ સાથે લિન્ક આપવા ફોસલાવતા હોય છે. આ વિગતો મળી ગયા પછી ભારતના કોઈપણ ખૂણામાં બેઠાં બેઠાં તેઓ મ્યુલ એકાઉન્ટ કે ડેબિટકાર્ડનો ઉપયોગ તમારા ખાતાના માધ્યમથી ઓપરેટ કરતાં રહે છે.
ડિજિટલ એરેસ્ટ માટે મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ
કોઈને ડરાવી, ધમકાવીને એટલે કે ડિજિટલ એરેસ્ટ કરીને તેની પાસેથી પડાવેલા પૈસા જમા કરાવવા માટે પણ મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ડિજિટલ એરેસ્ટમાં વ્યક્તિને બદનામ કરવાની કે તેને જેલમાં ધકેલી દેવાની તેની સામે મોટા ગુનાઓ નોંધાયા હોવાની વાત કરીને ડરાવી દે છે. આ બધાંમાંથી બચવા માટે તેમણે પૈસા જમા કરાવવા પડશે તેમ જણાવવામાં આવે છે. બેન્ક ખાતાના માલિકની ચેકબુક, ડેબિટ કાર્ડ, મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં આવે છે.
વિદેશના એકાઉન્ટમાં નાણાં મોકલતા ફ્રોડસ્ટર
ભાડેથી લેવામાં આવેલા બેન્ક ખાતામાં જમા લેવામાં આવાતા નાણાં તરત જ બીજા ખાતામાં ટ્રાન્સફર કરી દેવાય છે. ભાડાંના ખાતામાં થતાં નાણાંકીય વહેવારો માટે ખાતેદારને બે પાંચ ટકાનું કમિશન પણ આપતા હોવાનું જોવા મળે છે. એક સામટા વીસ પચ્ચીસ મ્યુઅલ એકાઉન્ટને સક્રિય કરીને એક ખાતામાંથી બીજા ખાતામાં અને બીજા ખાતામાંથી દસમા ખાતામાં અને ત્યારબાદ અન્ય ખાતામાં પૈસા ટ્રાન્સફર કરીને તેનો ટ્રેક ન મળે તેવી સ્થિતિ નિર્માણ કરી દે છે. વિદેશના એકાઉન્ટમાં પણ નાણાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. ઓનલાઈન બેટિંગ એટલે કે ક્રિકેટ કે અન્ય મેચ પર સટ્ટો કરવા માટે પણ ભાડાંના ખાતાનો ઉપયોગ કરવામાં આવે છે.
બેન્ક ખાતું ભાડે આપવાથી ઊભી થતી કાનૂની સમસ્યાઓ
બેન્ક ખાતું ભાડે આપવાને પરિણામે કાનૂની સમસ્યાઓ કેવી ઊભી થાય છે તેની મોટાભાગના લોકોને ખબર પણ હોતી નથી. ફ્રોડ કરનારાઓ ગામડાંના અણસમજુ યુવાનો કે કૉલેજમાં જતાં યુવાનો પાસે નવા બેન્ક ખાતાં ખોલાવવા માટે તેમના કે.વાય.સી. મેળવી લે છે. પૈસાની લાલચમાં યુવાનો બેન્કમાં એકથી વધુ ખાતાંઓ ખોલી આપવા પણ તૈયાર થઈ જાય છે. કૉલેજમાં જતાં વિદ્યાર્થીઓને માતાપિતા દ્વારા આપવામાં આવતી ખિસ્સા ખર્ચી દરેક યુવાનને ઓછી જ લાગે છે. તેથી બે પાંચ હજારમાં કે.વાય.સી. આપીને ખાતાં ખોલી આપે છે. પરંતુ છેવટે ફસાય છે. પૈસા આપીને કોઈ વ્યક્તિનું બેન્કમાં ખાતું ખોલાવડાવી બીજી વ્યક્તિ તે ખાતામાં નાણાંકીય વહેવારો કરે તો ખાતામાં થતાં દરેક નાણાંકીય વહેવારો માટે આવકવેરો ભરવાની જવાબદારી ખાતાની માલિકી ધરાવનારને નામે ઊભી થાય છે. આ ખાતામાં તેઓ રોકડ જમા પણ કરાવે છે. તેના પર આવકવેરો જમા કરાવવાની જવાબદારી પણ ખાતાના માલિકની જ ઊભી થાય છે. બેન્ક ખાતામાં થતાં નાણાંકીય વહેવારો પાનકાર્ડ અને આધારકાર્ડ સાથે લિન્ક થયેલા હોય છે. આવકવેરાની આકારણી માટે ખાસ ઉપયોગમાં લેવામાં આવતી આવકવેરા ધારાની કલમ 68 હેઠળ ખુલાસો ન કરી શકે તેવી રોકડ તરીકે જોવામાં આવે છે. પરિણામે આ ભાડાંના ખાતામાં જમા કે ઉપાડ કરવામાં આવેલી રકમ પર લાગતો 60 ટકા સુધી ટેક્સ લાગે છે. તેના પર સરચાર્જ ઉમેરવામાં આવે છે. તેમાં 100થી 200 ટકા સુધીની પેનલ્ટી-દંડ કરવામાં આવે છે. આમ ખાતામાં 50 કરોડના વહેવારો થયા હોય તો 50 કરોડ કે તેનાથી પણ વધુ રકમનો ઇન્કમ ટેક્સ ભરવાની જવાબદારી આવી જાય છે.
બેન્કના ખાતામાં થયેલા નાણાંકીય વહેવારોને આધારે આવકવેરાની નોટિસ પણ ખાતું ભાડે આપનારને મોકલવામાં આવે છે. ખાતામાં થતાં દરેક વ્યવહારો એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટમાં રિફ્લેક્ટ થાય છે. સ્ટેટ મેન્ટ ઓફ ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન પણ તૈયાર થાય છે. ખાતામાં મોટી રકમના વહેવારો થયા હોય તો આવકવેરા ખાતા તરફથી નોટિસ મોકલવામાં આવે છે. તદુપરાંત પ્રીવેન્શન ઓફ મની લૉન્ડરિંગ એક્ટની જોગવાઈ હેઠળ ખાતું ભાડે આપનાર સામે તપાસ થાય છે. કાયદાના નિષ્ણાતો કહે છે કે મ્યુલ એકાઉન્ટનો માલિક અને ખાતાનો ઉપયોગ કરનાર બંને તેને માટે ગુનેગાર ઠરે છે. કાળાં નાણાં(બિનહિસાબી નાણાં)ને વ્હાઈટના નાણાંમાં (હિસાબી નાણાં)માં રૂપાંતરિત કરવાનો ગુનો બને છે.
સૌ પ્રથમ તો આ એકાઉન્ટને સ્થગિત-ફ્રીઝ કરી દેવામાં આવે છે. તેમાં નાણાંકીય વહેવારો થતાં અટકાવી દેવામાં આવે છે. બેન્કોએ આ ખાતાંની જાણ ફાઈનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટને કરવી ફરજિયાત છે, મ્યુઅલ એકાઉન્ટના ઉપયોગ સાયબર ક્રાઈમ એટલે કે ઓનલાઈન છેતરપિંડી કરનારાઓ દ્વારા કરવામાં આવતો હોવાથી સાયબર ફ્રોડ વિભાગને પણ તેની જાણકારી આપવામાં આવે છે. મ્યુલ એકાઉન્ટના માલિક પોતે નિર્દોષ હોવાનો દાવો કર્યા કરતો હોવા છતાં તેની સામે ઇન્ડિયન પીનલ એક્ટની જોગવાઈઓ હેઠળ ચીટિંગનો, ગુનાઈત કાવતરું કરવાનો આરોપ લાગે છે. આવકવેરાના કાયદા હેઠળ ખાતું ભાડે લેનારને ફ્રોડ કરવાની સુવિધા ઊભી કરવા બદલ સાયબર ફ્રોડ એકાઉન્ટ હેઠળ કેસ થાય છે. કાયદાના નિષ્ણાતો કહે છે કે બેન્ક એકાઉન્ટ ભાડેથી આપનારની ધરપકડ પણ થઈ શકે છે.
શંકાસ્પદ વહેવારો થતાં પકડાય છે
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ મ્યુલ એકાઉન્ટમાં થતાં વહેવારોને આધારે મ્યુલ એકાઉન્ટ હોવાનું કઈ રીતે પકડી શકાય છે. એક, એકાઉન્ટમાં નાણાંકીય વહેવારો એકાએક વધી જાય છે. મોટી રકમ રોકડેથી જમા કરવામાં આવે છે. ટૂંકા ગાળામાં બહુ બધાં આર્થિક વહેવારો કરી લેવામાં આવે છે. ખાતામાં પૈસા જમા થયા પછી બહુ જ ઝડપથી તે નાણાં બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. કેટલીક વાર તે રકમનો રોકડ ઉપાડ જ કરી લેવામાં આવે છે. હવે તો મ્યુલ એકાઉન્ટ પકડી પાડવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થવા માંડ્યો છે. આ સિસ્ટમમાં આરબીઆઈ એઆઈ સિસ્ટમનો અને મ્યુલ હન્ટર એઆઈનો ઉપયોગ કરવામાં આવે છે. મશીન લર્નિગંની મદદથી શંકાસ્પદ મ્યુલ એકાઉન્ટને પકડી પાડવામાં આવે છે.
મ્યુલ એકાઉન્ટનો શિકાર ન બનવા આટલું કરો
મ્યુલ એકાઉન્ટ બનાવનારનો શિકાર ન બનવા માટે બેન્ક ખાતેદાર આટલું કરી શકે છે. એક, તમારા બેન્ક ખાતાનો અન્ય કોઈ વ્યક્તિને ક્યારેય ઉપયોગ ન કરાવો દો. તમારા ડેબિટ કાર્ડનો ડેટા કે પછી ઇન્ટરનેટ બેન્કિંગના ડેટા એટલે કે પાસવર્ડ સહિતની વિગતો કોઈને ન જણાવો. રિઝર્વ બેન્ક તેને માટે ટેલિવિઝન પર નિયમિત જાહેરાત આપે જ છે. ટ્રાન્સફરના જોબ માટે ક્યારેય નાણાંનો સ્વીકાર ન કરો. રિઝર્વ બેન્કે આપેલી બેન્કિંગની ગાઈડલાઈન્સમાં ઉપરોક્ત સૂચનાનો સમાવેશ કરવામાં આવેલો છે.
આવકવેરા ખાતું કઈ રીતે પકડી પાડે છે
મ્યુલ એકાઉન્ટને આવકવેરા ખાતું પણ પકડી પાડે છે. કારણ કે તેમાં મોટા પ્રમાણમાં રોકડેથી નાણાં જમા કરાવવામાં આવે છે. મોટી રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. ક્રેડિટ કાર્ડથી બહુ જ મોટા મોટા ખર્ચાઓ કરવામાં આવે છે. જુદાં જુદાં ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ખરીદવામાં આવે છે. આ બધાં જ રિપોર્ટ આવકવેરા ખાતા સુધી જતાં હોવાથી તેમને મ્યુલ એકાઉન્ટ હોવાની ગંધ આવી જાય છે. બેન્કના ખાતાઓ પાનકાર્ડ-આધારકાર્ડથી લિન્ક થયેલા હોવાથી ખાતામાંના દરેક વહેવારોની આવકવેરાને પણ જાણ થઈ જાય છે.
ખાતું ભાડે આપીને ભૂલ કર્યાનું લાગે તો પોલીસને ફરિયાદ કરી દો
અજાણતા જ કોઈને બેન્ક ખાતું ભાડે આપી દેનારને છેતરાયા હોવાનો અંદાજ આવી જાય અને મ્યુલ એકાઉન્ટ મોટા વહેવારો થતાં જણાય તો તરત જ પોલીસ ફરિયાદ ફાઈલ કરી દેવી જોઈએ. આ વહેવારો તમારા ન હોવાનું પોલીસને જણાવી દેવું જોઈએ. તમે ખાતું ભાડે આપ્યું હોવાના પુરાવાઓ જાળવી રાખો. આ પુરાવાઓમા ચેટ પર થયેલા મેસેજ, ઈ-મેઈલ, નાણાંકીય વહેવારોની વિગતો જાળવી રાખવી જરૂરી છે. આવકવેરા વિભાગની નોટિસ મળે તો તેને ફરિયાદની કોપી આપી દો. તેનાથી ભૂલ થઈ હોવાનું જાણ કરી દો. સૌ પ્રથમ તો કોઈએ તેના બેન્ક એકાઉન્ટનો અન્યને ઉપયોગ કરવા દેવો જ ન જોઈએ. એટીએમ કાર્ડ કે નેટ બેન્કિંગના પાસવર્ડનો ઉપયોગ કરવા ન દેવો જોઈએ..
અજાણી એપ પણ ડાઉન લૉડ ન કરો
મ્યુલ એકાઉન્ટના ફ્રોડથી બચવા માટે અજાણી એપ તમારા મોબાઈલમાં ડાઉન લોડ કરશો નહિ. કાયદેસરના ખાતામાં ક્યારેય ઇન્વેસ્ટમેન્ટના નાણા જમા લેવામાં આવતા જ નથી. યુપીઆઈની ઓળખ ધરાવતા ખાતામાં પણ તે નાણાં જમા લેવામાં આવતા નથી.
જેલની કેટલી સજા થશે
ખાતું ભાડેથી આપનાર સામે પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, ઇન્ડિયન પીનલ કોડ કે ભારતીય ન્યાય સંહિતા તથા બેન્કિંગ એન્ડ સેબી રેગ્યુલેશન હેઠળ પગલાં લેવામાં આવે છે. મની લોન્ડરિંગ એક્ટ હેટળ સામાન્ય ગુના માટે ત્રણથી સાત વર્ષની જેલની સજા કરવામાં આવે છે. ગંભીર ગુના માટે દસ વર્ષની જેલની સજા કરવામાં આવે છે. ખાતું ભાડે આપનારની મિલકત પણ જપ્ત થઈ શકે છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ત્રણ વર્ષની જેલ અને રૂ. 5 લાખ સુધીનો દંડ પણ થાય છે. તેમાં કલમ 66 હેઠળ આઈડેન્ટીટી થેફ્ટ એટલે કે કોઈની ઓળખની ચોરી કરવાનો ગુનો લાગુ પડે છે. અન્ય વ્યક્તિના કે.વાય.સી ઉપયોગ કરવા માટે ત્રણ વર્ષની જેલની સજા અને રૂ. 1 લાખ સુધીનો દંડ કરવામાં આવે છે. કલમ 66 ડી હેઠળ ચિટીંગો કેસ પણ થાય છે. તેમાં ત્રણ વર્ષની જેલની સજા અને રૂ. 1 લાખ સુધીનો દંડ કરવામાં આવે છે. ભારતીય ન્યાય સંહિતાન કલમ 420 હેઠળ ચીટિંગનો કેસ બને છે. તેમાં સાત વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. વિશ્વાસનો ગુનાઈત ભંગનો ગુનો પણ લાગુ પડે છે. ત્રણ વર્ષની જેલ અને દંડની સજા થાય છે. કલમ 486 હેઠળ ફોર્જરીનો ગુનો બને છે. તેને માટે સાત વર્ષની જેલની સજા છે. તેથી જ કેન્દ્ર સરકારે દેશના નાગરિકોને તેમના બેન્ક એકાઉન્ટ ભાડેથી ન આપવાની ચેતવણી આપેલી જ છે.



