જીએસટીના દર ઘટાડ્યા પછીય જીવન-આરોગ્ય વીમાના પ્રીમિયમ ન ઘટ્યા હોવાની ફરિયાદ

ત્રણ કલાકમાં ક્લેઈમ મંજૂર કરવાના નિયમ સામે કેશલેશના ક્લેઈમ મંજૂર થવામાં 6થી 48 કલાકનો વિલંબ થતાં દરદીઓએ ઓવરસ્ટે કરીને મોટી રકમ ચૂકવવી પડે છે
કેન્દ્ર સરકારે 22મી સપ્ટેમ્બર 2025ના જીવન વીમા અને આરોગ્ય વીમાના પ્રીમિયમ પર લેવાતા જીએસટીના દર ઘટાડીને શૂન્ય ટકા કરી દેવાનો નિર્ણય લીધો હોવા છતાંય જીએસટીના ઘટાડાનો ધ્યાન પાત્ર લાભ ન મળતો હોવાની હજારો નાગરિકોની ફરિયાદ આવી રહી છે.
આ સંદર્ભમાં વીસ હજાર નાગરિકોના કરવામાં આવેલા સરવેમાં પ્રસ્તુત ફરિયાદો બહાર આવી છે. દેશના 301 જિલ્લાઓમાં આ સરવે કરવામાં આવ્યો હતો. પરિણામે આ ફરિયાદો ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઇરડાઈને મોકલી દેવામાં આવી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણને પણ આ વિગતો પાઠવી દેવામાં આઇવી છે. સરવે હેઠળ આવરી લેવામાં આવેલા 20,000થી વધુ લોકોમાંથી 7200થી વધુ વીમા ધારકોએ ફરિયાદ કરી છે કે જીએસટીના ઘટાડાનો તેમને લાભ મળ્યો નથી.આમ દર ત્રણ વ્યક્તિએ એક વ્યક્તિને જીએસટીના ઘટાડાનો કોઈ જ લાભ મળતો નથી.
સરવેમાં રજૂઆત કરનારા નાગરિકોનું કહેવું છે કે સરકારે તો જીએસટીમાં ઘટાડો કરીને તેમની જવાબદારી નિભાવી દીધી છે. પરંતુ વીમા કંપનીઓએ પોલીસીના બેઝ પ્રાઈસ વધારીને સરકારે આપેલી રાહતને અસરહીન કે અર્થહીન બનાવી દીધી છે.
સરવેમાં પ્રતિભાવ આપનારાઓમાંથી 43 ટકા એટલે કે અંદાજે 9000 લોકોએ તેમની જીવન વીમા અને આરોગ્ય પોલીસી રિન્યુ કરાવી છે. તેમનું કહેવું છે કે તેમને જીએસટીના ઘટાડાનો ખાસ કોઈ લાભ મળ્યો જ નથી.
ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી-ઇરડાઈ સમક્ષ કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે 2022થી અત્યાર સુધીમાં વીમા કંપનીઓએ પ્રીમિયમમાં અંદાજે 50 ટકાથી માંડીને 200 ટકા સુધીનો વધારો કરી દીધો છે. પરિણામે તેમની પોલીસીનું મૂલ્ય સતત ઘટી રહ્યું છે. આ પોલીસીમાં નવી બીમારીઓના સારવારના ખર્ચનું કવરેજ હટાવી લેવામાં આવે છે. તેમણએ કો-પેમેન્ટ્સ અને હાયર ડિડક્ટીબલના નિયમો અમલમાં મૂક્યા છે. તેથી વીમા પોલીસી લેનારાઓની પ્રીમિયમ ઓછા થવાની શક્યતાની આશા પર પાણી ફરી રહ્યું છે.
યુવાનોને પણ વધી જતાં પ્રીમિયમના દરને કારણે વીમા પોલીસી લેવી ઉચિત ન લાગતી હોવાના ફીડબેક આવી રહ્યા છે. આ જ રીતે કેશલેશના ક્લેઈમ આવવામાં પણ વિલંબ થતો હોવાનું જોવા મળી રહ્યું છે. સામાન્ય રીતે ત્રણ જ કલાકમાં કેશલેશના ક્લેઈમ મંજૂર કરી દેવાનો નિયમ હોવા છતાંય તેમાં દસ બાર કલાક લાગી જતાં હોવાથી તેમના પર એક દિવસનો વધારાનો ખર્ચ બોજ આવી જતો હોવાની પણ ફરિયાદ છે.
આ વિલંબ 6 કલાકથી માંડીને 48 કલાક સુધી થયો હોવાના કિસ્સાઓ દર્શાવવામાં આવ્યા છે. સરવેમાં પ્રતિભાવ આપનારા 50 ટકા વીમા ધારકોની આ ફરિયાદ છે.
અમદાવાદના સુપર સિનિયર સિટીઝને ગયા વરસે રૂ. 1.25 લાખનું પ્રીમિયમ ભર્યું હતું. પરંતુ આ વરસે જુલાઈમાં તેમણે કેવા પ્રીમિયમ ભરવાના આવે છે તેની રાહ જોઈ રહ્યા છે.
યુવાનો તન્દુરસ્ત હોય તો હેલ્થ ઇન્સ્યોરન્સના પૈસા અલગથી બચાવે
હેલ્થ ઇન્સ્યોરન્સના પૂરતા લાભ ન મળતા હોવાની ફરિયાદ ધરાવનારા યુવાનો તેમના આરોગ્ય વીમાના પ્રીમિયમ જેટલી રકમ દર વર્ષે આરોગ્ય ખર્ચ પેટે અલગ કાઢીને તેની બચત કરી લે તો 15થી 20 વર્ષે આરોગ્ય વીમાનું કવરેજ લેવાની નોબત આવે તો તેવા સંજોગોમાં પોતાની બચત અને તેના વ્યાજની રકમમાંથી જ વીમાની મળનારી રકમ જેટલો ખર્ચ આસાનીથી કાઢી શકે છે. જોકે વારંવાર બીમાર પડનારાઓએ આ સાહસ કરવું ન જોઈએ.



