રૃા. ૫૫ લાખની લોનની અરજી પર અરજદારની સહી જ બોગસ નીકળી

કલર મર્ચન્ટ કોઓપરેટીવ બૅન્કનું વધુ એક કૌભાંડઃ પોલીસ તરફથી બેન્કના મેનેજમેન્ટ સામે ચાર્જશીટ પણ ફાઈલ કરવામાં આવી,
ફોરેન્સિંક સાયન્સ લેબોરેટરીએ અરજદારની સહીના ૩૬ નમૂના લીધા અને અરજદાર પાસે બે ફકરાં લખાવીને હેન્ડરાઈટિંગની ચકાસણી કરી ત્યારે સહી બોગસ હોવાનું પકડાયું
અરજદાર, તેની પત્ની અને ગેરેન્ટર ત્રણેયની સહી બોગસ હોવાનું એફએસએલના રિપોર્ટમાં બહાર આવ્યું
અમદાવાદઃ ફડચામાં લઈ જવામાં આવેલી અમદાવાદમાં માત્ર ત્રણ શાખાઓ ધરાવતી કલરમર્ચન્ટ કોઓપરેટીવ બેન્કે રૃા. ૫૫ લાખની મંજૂર કરેલી લોન માટેની અરજી પર અરજદારની સહી જ બોગસ હોવાનું ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના તપાસ અહેવાલમાં બહાર આવ્યું છે. નવાઈની વાત તો એ છે કે કલર મર્ચન્ટ કોઓપરેટીવ બેન્કમાં રૃા. ૬૫ લાખની લોન લેનારના નામે બીજી રૃા. ૫૫ લાખની લોન ઉધારી દેવામાં આવી હતી. કોરોના કાળમાં પાંચ સાત હપ્તા ભરવાના ચૂકી ગયા પછી રિકવરી માટે બેન્કના અધિકારી આવ્યા ત્યારે તેને નામે રૃા. ૫૫ લાખની બીજી લોન ઉધારી દેવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.
સતત વિવાદમાં રહેલી અને કૌભાંડકારી સ્ટાફ ધરાવતી કલર મર્ચન્ટ કોઓપરેટીવ બેન્કનો વધુ એક વિવાદ
રૃા. ૫૫ લાખની લોન ટોપ અપ લોન તરીકે લેવામાં આવી હતી. જૂની લોન સામે મોર્ટગેજ મૂકેલા મકાન સામેના મોર્ટગેજ પર ફરીથી અરજદારની સહી લેવા માટે રિઝર્વ બેન્કમાંથી જૂની લોન પર મૂકેલા મકાન અંગે ક્વેરી આવી હોવાથી નવેસરથી મોર્ટગેજ કરાવવું પડશે તેમ જણાવીને અરજદાર પાસેથી રિ-મોર્ટગેજના દસ્તાવેજ પર સહી લીધી હોવાનું પોલીસે તૈયાર કરેલી ચાર્જશીટમાં નોંધવામાં આવેલું છે. સદગુરુ કોટન નામની કંપની ચલાવતા નીતિન રાજગુરૃએ બેન્ક લોન લીધી જ ન હોવાનું જણાવીને પોલીસમાં ફરિયાદ આપી હતી.
બેન્ક લોન સામે આપેલા બ્લેન્ક ચેકનો ઉપયોગ કરીને આ રૃા. ૫૫ લાખનો ઉપાડ કરી લેવામાં આવ્યો હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવેલું છે. અમદાવાદની કલર મર્ચન્ટ કોઓપરેટીવ બેન્કમાં આ પ્રકારના ફ્રોડની અંદાજે ૮ જુદી જુદી ફરિયાદો થયેલી છે. કુલ મળીને અંદાજે ૨૦થી ૨૫ જણ સાથે બેન્ક દ્વારા આ પ્રકારનો ફ્રોડ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. બેન્ક કર્મચારીઓના કથિત કૌભાડનો ભોગ બનેલા અરજદારનું કહેવું છે ેકે બેન્કે તેમને મોર્ટગેજ ડીડની નકલ પણ આપી નહોતી. તેમને મળશે તે સમયે આપી દેવામાં આવશે તેમ જણાવીને તત્કાળ મોર્ટગેજ ડીડની નકલ આપી જ નહોતી.
આ સંદર્ભમાં પોલીસ તરફથી બેન્ક સામે ચાર્જશીટ પણ ફાઈલ કરવામાં આવેલી છે. પોલીસ ચાર્જશીટમાં આ કૌભાંડ માટે લાલભાઈ ભુરાભાઈ, કિન્નર શાહ, દશરથભાઈ અને જયંત શાહનો ઓરોપી તરીકે ઉલ્લેખ કરવામાં આવેલો છે.




