ભારતમાં હજી એક ટકા ઘરમાં જ સોલાર પેનલ લાગી છે

PM Surya Ghar મફત વીજળી યોજનાની બીજી વર્ષગાંઠે ભારત ક્યાં ઉભું છે?
પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળની રૂફટોપ સોલાર યોજનામાં ઓછામાં ઓછા 1 કરોડ ઘરોને આવરી લેવાનો છે, આ યોજનાના અમલ માટે રૂ. 75,021 કરોડનો ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે. યોજનાના દરેક લાભાર્થીઓને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મળે છે અને 3 કિલોવોટ (kW) સિસ્ટમ માટે રૂ. 78,000 સુધીની સબસિડી આપવામાં આવે છે. યોજનાના અત્યાર સુધીના પરફોર્મન્સની સમીક્ષા કરતા જાણવા મળે છે કે વિકાસ સારી ગતિએ થયો છે, જોકે અમલમાં કેટલાક અવરોધો હજી યથાવત છે.
ઝડપી વૃદ્ધિ
2021માં દર મહિને આશરે 8,000 રહેણાંક સોલાર સ્થાપનો થતા હતા, ગયા મહિને આ આંકડો 2 લાખ યુનિટ સુધી પહોંચ્યો છે. કંપનીએ અત્યાર સુધી 40,000 સોલાર પેનલો બેસાડી છે. કંપની તેનું સંચાલન પણ કરે છે. એક રાષ્ટ્રીય વેબ પોર્ટલ દ્વારા ગ્રાહકોને પરમિટ મેળવવાની સુવિધા અને દરેક રાજ્યમાં વિતરણ સેવાઓના એકીકરણની સિસ્ટમ અપનાવવાથી યોજનાનો લાભ લેનારાઓની સંખ્યા વધી છે. 2020માં નેટ મીટરિંગને કાનૂની હક્ક બનાવવાથી પણ ગ્રાહકોને વધારાની વીજળી ગ્રીડમાં પરત આપવા અને તેનું યોગ્ય મૂલ્ય મેળવવામાં સહાય મળી છે.
અમલીકરણમાં પડકારો
ડિસેમ્બર 2025માં રજૂ કરવામાં આવેલા અહેવાલમાં જણાવ્યા મુજબ Institute for Energy Economics and Financial Analysis (IEEFA) એ દર્શાવ્યું કે માત્ર 22.7 ટકા અરજીઓ જ પેનલ બેસાડવાની કામગીરી સુધી પરિવર્તિત થઈ છે. આમ યોજના માટેની નાણાકીય વ્યવસ્થા, વેન્ડર ક્ષમતા અને મંજૂરી પ્રક્રિયામાં હજીય ખાસ્સા અવરોધો છે.
અમલીકરણમાં અસમાનતા
દેશના રાજ્યોમાં આ યોજનાનો અમલ કરવામાં સમાનતા જોવા મળતી નથી. ગુજરાત 1,491 મેગાવોટ ક્ષમતા સાથે અગ્રેસર છે, ત્યારબાદ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ અને રાજસ્થાન આવે છે. આ પાંચ રાજ્યો મળીને કુલ સ્થાપિત ક્ષમતાનો લગભગ 75 ટકા હિસ્સો ધરાવે છે. તાજેતરમાં રાજ્યસભામાં રજૂ કરવામાં આલા આંકડા મુજબ દેશભરમાં સ્થાપનો 26 લાખ યુનિટને પાર કરી ચૂક્યા છે અને ફાળવેલી રકમમાંથી લગભગ રૂ. 15,000 કરોડ જારી કરવામાં આવ્યા છે. તેમ છતાં 2027ના અંત સુધી 1 કરોડ ઘરો સુધી પહોંચવાનું લક્ષ્ય હજી દૂર છે.
નાણાકીય જરૂરિયાત
ઉપભોક્તાઓ માટે શરૂઆતનો ખર્ચ હજી પણ પડકારરૂપ જ છે. બેંક લોન લેવી વ્યક્તિગત લોન લેવા કરતા સસ્તી છે, પરંતુ પ્રક્રિયા જટિલ અને ડિજિટલાઇઝ્ડ નથી. કેટલીક NBFC લોનની ડિજિટલ મંજૂરી આપે છે, પરંતુ વ્યાજદર ઊંચો હોય છે. સબસિડી મેળવવા માટે સોલાર પેનલ અને સેલ ભારતમાં બનાવેલા હોવા જરૂરી છે, જેથી આયાતી (ખાસ કરીને ચીન) પર નિર્ભરતા ઘટી રહી છે.
ભવિષ્યનો માર્ગ: બેટરી સ્ટોરેજ
વિદ્યુત માંગ અર્થવ્યવસ્થા સાથે વધી રહી છે. તાજેતરના અહેવાલ મુજબ NITI Aayog એ નોંધ્યું છે કે ભારતના પાવર સેક્ટરમાં 2070 સુધી નેટ-ઝીરો લક્ષ્ય હાંસલ કરવા માટે ટ્રિલિયન ડોલરનું રોકાણ જરૂરી રહેશે. દિવસ દરમિયાન ઘરો અને કારખાનાઓ ગ્રીડમાં વીજળી આપશે અને રાત્રે ગ્રીડમાંથી ખેંચશે. આ વ્યવસ્થા લાંબા ગાળે ગ્રીડ પર ભાર વધારી શકે છે. તેથી રહેણાંકના એકમો માટે બેટરી સ્ટોરેજ માટે સબસિડી જરૂરી છે.
આંતરરાષ્ટ્રીય તુલના
ઓસ્ટ્રેલિયામાં 40 ટકા ઘરોમાં સોલાર છે, અમેરિકા માં 8 ટકા અને જર્મનીમાં 12 ટકા ઘરમાં સોલાર સિસ્ટમ લાગી ચૂકી છે. ભારતમાં હાલમાં માત્ર અંદાજે 30 લાખ ઘરોમાં રૂફટોપ સોલાર છે. આમ દેશના કુલ અંદાજિત 26થી 28 કરોડ ઘરોમાંથી માત્ર 1 ટકા ઘરમાં જ સોલાર પેનલ લાગી હોવાનું સૂચવે છે. આમ સોલાર પેનલના વ્યવસાયમાં વૃદ્ધિ થવા માટે વિશાળ સંભાવના ઉપલબ્ધ છે.




