હવે હિન્દુઓએ વસિયતનામાનો અમલ કરાવવા માટે કોર્ટમાંથી મંજૂરી નહિ મેળવવી પડે

ભારતની સંસદે સુધારો કરીને હિંદુઓ સહિત અનેક સમુદાયોને અનેક કેસોમાં વસિયત માટે ફરજિયાત પ્રોબેટ-કોર્ટ માન્યતા લેવાની જરૂર રહેશે નહીં. પ્રોબેટના નિયમોના જાણકારોનું કહેવું છે કે મૃત સ્વજનના વસિયતનામાનો અમલ કરવા માટે પહેલા પ્રોબેટ લેવો પડતો હતો. આ પ્રોબેટ મેળવવામાં ઘણીવાર બારથી અઢાર મહિના લાગી જતા હતા. તેમ જ પ્રોબેટ મેળવવા માટે રૂ. 50,000થી વધારેનો ખર્ચ પણ થઈ જતો હતો. હવે આ ખર્ચની જફામાંથી મુક્તિ મળી જશે.
અંગ્રેજોનના સમયથી વસિયતનો અમલ કરાવવા માટે કોર્ટની માન્યતા મેળવવાનો નિયમ હતો. ભારતની સંસદે કોર્ટની માન્યતા લેવાની સિસ્ટમને કાઢી નાખવાનો નિર્ણય કર્યો હોવાથી દેશના અનેક પરિવારો માટે વસિયતનો અમલ કરાવવો સરળ બની જશે.
ભારતની સંસદમાં જૂના કાયદાઓ રદ કરતા અને સુધારાઓ અમલમાં લાવતા ખરડા-(Repealing and Amending Bill, 2025) પસાર કરી દેવામાં આવતા આ સુધારો અમલમાં આવી ગયો છે. પ્રસ્તુત બિલના માધ્યમથી 71 જૂના અને વર્તમાન સમયમાં અપ્રસ્તુત ગણાતા કાયદાઓ રદ કરવામાં આવ્યા છે. તદુપરાંત ચાર અન્ય કાયદાઓમાં ફેરફાર કરીને કાયદાકીય માળખું સરળ બનાવવામાં આવ્યું છે. બ્રિટીશ કાળથી અમલમાં આવેલી ભેદભાવપૂર્ણ જોગવાઈઓ દૂર કરી દેવામાં આવી છે. લોકસભામાં મંજૂરી બાદ રાજ્યસભામાં પણ મૌખિક મતદાનથી પ્રસ્તુત બિલ પસાર કરી દેવામાં આવ્યું છે.
કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું કે આ કાયદો નાગરિકોના ઇઝ ઓફ લીવિંગ- જીવનની સરળતા- વધારવા માટે લાવવામાં આવ્યો છે, કારણ કે તે બિનજરૂરી કાનૂની અડચણો ઊભી કરતી જૂની જોગવાઈઓ દૂર કરે છે. આ સુધારો ભારતીય વારસા અધિનિયમ, 1925ની કલમ 213 સાથે સંબંધિત છે. હાલના કાયદા મુજબ બોમ્બે (મુંબઈ), મદ્રાસ (ચેન્નઈ) અને કલકત્તા (કોલકાતા) જેવા ભૂતપૂર્વ પ્રેસિડન્સી શહેરોમાં હિંદુ, બૌદ્ધ, શીખ, જૈન અને પારસી સમુદાય દ્વારા કરાયેલી વસીયતો માટે કોર્ટ પ્રોબેટ ફરજિયાત હતો. મુસ્લિમો પર આ જોગવાઈ લાગુ પડતી ન હતી, જેના કારણે ધર્મ અને ભૂગોળ આધારિત અસમાનતા સર્જાતી હતી. મેઘવાલે સંસદમાં કહ્યું કે આવા ભેદભાવ બંધારણ સાથે અસંગત છે.
ધર્મ, જાતિ કે લિંગના આધાર પર કોઈપણ પ્રકારનો ભેદભાવ પ્રતિબંધિત છે અને પ્રોબેટની ફરજિયાત જોગવાઈને લગતી બ્રિટીશ કાળના અવશેષ તરીકે ગણાવી તેને દૂર કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. સુધારાઓના પરિણામે નિર્ધારિત કેસોમાં વસીયત માટે ફરજિયાત કોર્ટ માન્યતા દૂર થશે અને વારસાગત કાયદાઓમાં વધુ સમાનતા આવશે.
આ બિલ દ્વારા General Clauses Act, 1897 અને Code of Civil Procedure, 1908માં જૂના શબ્દપ્રયોગોને આધુનિક બનાવવામાં આવ્યા છે, તેમજ Disaster Management Act, 2005માં રહેલી ડ્રાફ્ટિંગ ભૂલ સુધારવામાં આવી છે. કુલ મળીને Indian Tramways Act, 1886 સહિત 71 નિષ્ક્રિય કાયદાઓ રદ કરવામાં આવ્યા છે.



