નકલી દવાઓથી લોકોને બચાવવા ફાર્મા કંપનીઓ ઓથેન્ટિકેશન અને ટ્રેક-એન્ડ-ટ્રેસ સિસ્ટમ અપનાવે

એન્ટીબાયોટિક્સ, પેઇનકિલર્સ અને HIV/કૅન્સર જેવી ગંભીર બીમારીઓની દવાઓમાં નકલી તૈયાર કરીને બજારમાં મૂકવાનું વધી રહેલું ચલણ
TAF Connect 2026માં નિષ્ણાતોનું અવલોકનઃ મજબૂત ઓથેન્ટિકેશન અને ટ્રેક-એન્ડ-ટ્રેસ સિસ્ટમ અપનાવતી કંપનીઓમાં વેચાણમાં સ્પષ્ટ વધારો
ઓથેન્ટિકેશન અને ટ્રેસેબિલિટી સોલ્યુશન્સનો ઉપયોગ માત્ર દર્દીઓની સુરક્ષા જ નહીં, પરંતુ વેચાણમાં વધારો અને બ્રાન્ડ પર વિશ્વાસ વધારવામાં પણ મહત્વપૂર્ણ ફાળો આપી રહ્યો છે, એમ મુંબઈમાં યોજાયેલ ભારતનું અગ્રણી ઓથેન્ટિકેશન અને બ્રાન્ડ પ્રોટેક્શન કોન્ક્લેવ TAF Connect 2026 દરમિયાન ઉદ્યોગ નિષ્ણાતોએ જણાવ્યું હતું.
ટેકનોલોજી અને વિશ્વાસ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રને કેવી રીતે બદલાવી રહ્યા છે તે અંગે સ્પષ્ટ સંકેત આપતાં નિષ્ણાતોએ જણાવ્યું હતુ કે મજબૂત ઓથેન્ટિકેશન અને ટ્રેક-એન્ડ-ટ્રેસ સિસ્ટમ અપનાવતી કંપનીઓમાં વેચાણમાં સ્પષ્ટ વધારો જોવા મળી રહ્યો છે. ગ્રાહકોનો વિશ્વાસ વધવો, સપ્લાય ચેઇનની પારદર્શિતા અને નકલી દવાઓ સામે મજબૂત સુરક્ષા આ વૃદ્ધિના મુખ્ય કારણો છે.
આ કાર્યક્રમ દરમિયાન દેશમાં નકલી દવાઓના વધી રહેલા જોખમનું ગંભીર ચિત્ર બહાર આવ્યું હતું. નિષ્ણાતોએ જણાવ્યું હતુ કે નકલી દવા બનાવનારાઓ હવે સસ્તી અને નીચી ગુણવત્તાવાળી API (એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ)નો ઉપયોગ કરીને દવાઓ બનાવે છે. ઘણીવાર આ નકલી દવાઓ મૂળ દવાઓ જેવી જ દેખાય છે. ક્યારેક થોડીક અસર પણ કરે છે, જેના કારણે તે ઓળખવામાં વધુ મુશ્કેલી પડે છે. વાસ્તવમાં તેનો વપરાશ કરનારાઓ માટે તે જોખમી પણ બને છે.
Authentication Solution Providers Association–ASPAના પ્રમુખ અંકિત ગુપ્તાએ છેલ્લા ત્રણ વર્ષમાં ભારતમાં નકલી દવાઓના કેસોમાં થયેલા ઝડપી વધારાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમનું કહેવું છે કે નકલી દવાઓ બનાવનારાઓ હવે વધુ સંગઠિત, ટેક્નોલોજીથી સજ્જ અને આર્થિક રીતે મજબૂત બન્યા છે. ઇ-કોમર્સ અને વૈશ્વિક સપ્લાય ચેઇનના વિસ્તરણને કારણે તેમની પહોંચ ખાસ્સી વધી ગઈ છે. આ પરિસ્થિતિમાં ઉદ્યોગ ISO 22383:2020 અને ISO 28000 જેવા વૈશ્વિક ધોરણો અપનાવીને પોતાની સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવી રહ્યો છે.
નકુલ પસરિચાએ જણાવ્યું હતુ કે નકલી ઉત્પાદનો સામેની લડતમાં ગ્રાહકોની સક્રિય ભાગીદારી જરૂરી છે. તેમણે જાગૃતિ અભિયાન અને પ્રોત્સાહન કાર્યક્રમો દ્વારા લોકોને સજાગ બનાવવા પર ભાર મૂક્યો હતો. માત્ર પેકેજિંગ જોઈને અસલી-નકલી ઓળખવી હવે મુશ્કેલ બની ગઈ છે. તેથી જ ગ્રાહકોએ QR કોડ, SMS વગેરે દ્વારા પ્રોડક્ટ વેરિફિકેશન કરવું જોઈએ. દવાના વેચાણ-વેપારની સમગ્ર સિસ્ટમમાં સુધારાની જરૂરિયાત અંગે વાત કરતાં ડૉ. કેશવ કુમારે કાનૂની પ્રક્રિયાને મજબૂત બનાવવાની જરૂરિયાત દર્શાવી હતી. તેની સાથે જ નકલી દવાઓને માર્કેટમાં મૂકનારાઓ સામે ઝડપી કોર્ટ કાર્યવાહી કરવાની અને તેમને કડક સજા કરવામાં આવશે તો જ નકલી દવાઓને બજારમાં પ્રવેશતી અટકાવી શકાશે.
બીજીતરફ ડૉ. ઉમેશ કાંબલે અને ટ્રેડમાર્કના કાયદાના નિષ્ણાત વિક્રાંત રાણાએ ટ્રેડમાર્ક કાયદા, કૉપિરાઇટ અને કસ્ટમ્સ નિયમોની મહત્વપૂર્ણ ભૂમિકા સમજાવી હતી. નિયમન કરવાના દ્રષ્ટિકોણથી અનુપમા પાટીલે સામુહિક સ્પેક્ટ્રોમેટ્રી અને HPLC જેવી આધુનિક ટેક્નોલોજી દ્વારા નકલી દવાઓ ઓળખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. જુદાં જુદાં ઉદ્યોગના પ્રતિનિધિઓએ જણાવ્યું કે હવે દવાઓના પેકેજિંગમાં મલ્ટી-લેયર સુરક્ષા અપનાવવામાં આવી રહી છે. તેમાં હોલોગ્રામ, સિરિયલાઇઝેશન અને ટ્રેક-એન્ડ-ટ્રેસ સિસ્ટમનો સમાવેશ થાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતિ વધારવા પણ જરૂરી છે.
સૌરભ અગરવાલે જણાવ્યું હતુ કે કે ફાર્મા સપ્લાય ચેઇન ખૂબ જ જટિલ છે. તેમાં ઉત્પાદકો, હોસ્પિટલ્સ, ફાર્મસી અને ગ્રાહકોનો સમાવેશ થાય છે. તેથી મલ્ટી-લેયર ઓથેન્ટિકેશન જરૂરી છે. મલ્ટીલેયર ઓથેન્ટિકેશનમાં QR કોડ, SMS વેરિફિકેશન, RFID જેવી ટેક્નોલોજીનો સમાવેશ થાય છે. પરંપરાગત દવા ક્ષેત્ર અંગે વાત કરતાં મિલન મહેતાએ જણાવ્યું હતું કે આયુર્વેદિક દવાઓ માટે પણ નિયમોનું કડક પાલન જરૂરી છે.
અસલી અને નકલી દવાઓના સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિકોણની સમજણ આપતા ચંદેર જીનાએ અસલી અને નકલી દવાને પકડી પાડવા માટેના મલેશિયાના સફળ મોડલનો ઉલ્લેખ કર્યો હતો અને ભારતે તેમાંથી શીખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. TAF Connect 2026 દરમિયાન રજૂ થયેલા રિપોર્ટ મુજબ, નકલી દવા બનાવનારાઓ ઘણીવાર મૂળ પેકેજિંગ જેવી જ નકલ કરે છે અને ક્યારેક જૂના વાઇલ્સ અને લેબલ્સનો પણ ઉપયોગ કરે છે. ખાસ કરીને એન્ટીબાયોટિક્સ, પેઇનકિલર્સ અને HIV/કૅન્સર જેવી ગંભીર બીમારીઓની દવાઓ વધુ નિશાન બને છે.
સમગ્ર ચર્ચાનો મુખ્ય સંદેશ એ હતો કે ઓથેન્ટિકેશન અને ટ્રેસેબિલિટી સોલ્યુશન્સ ફાર્મા ઉદ્યોગ માટે ખૂબ જ અસરકારક સાબિત થઈ રહ્યા છે, પરંતુ નકલી દવાઓ સામે લડવા માટે ઉદ્યોગ, સરકાર, કાનૂની વ્યવસ્થા અને ગ્રાહકોએ સાથે મળીને કામ કરવું જરૂરી છે.



