નવા મેડિકલ ડિવાઇસ નિયમોમાં લેબલિંગના કડક નિયમો સામે ફાર્મા વેપારીઓમાં રોષ
કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 10 એપ્રિલ, 2026ના રોજ જાહેર કરાયેલા નવા ડ્રાફ્ટ નોટિફિકેશનના માધ્યમથી સ્ટરલાઈઝેશન માટે રૂ. 2000ની અને ઇમ્પ્લાન્ટ ટેસ્ટ માટે રૂ. 5000ની ફી લેવાનો નિર્ણય કર્યો
કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 10 એપ્રિલ, 2026ના રોજ જાહેર કરાયેલા નવા ડ્રાફ્ટ નોટિફિકેશનના માધ્યમથી સ્ટરલાઈઝેશન માટે રૂ. 2000ની અને ઇમ્પ્લાન્ટ ટેસ્ટ માટે રૂ. 5000ની ફી લેવાનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે. તેમ જ સ્ટરલાઈઝેશનની સેવા માત્ર એક જ લાઈસન્સ ધારી એકમ પાસેથી લેવાનો નિર્ણય કરવામાં આવી રહ્યો હોવાથી તેની સામે દેશભરમાંથી પ્રચંડ વિરોધ ઊઠી રહ્યો છે. નદેશભરના ફાર્માસ્યુટિકલ વેપારીઓ અને મેડિકલ ડિવાઇસ એસોસિએશને તેની સામે વિરોધ નોંધાવ્યો છે.
ઓલ ઇન્ડિયા મેડિકલ ડિવાઈઝ ફોરમના કોઓર્ડિનેટર રાજીવ નાથનું કહેવું છે કે આ નિયમોનો એનએબીએલ એક્રિડેટેડ લેબોરેટરીની સાથે ચર્ચા કર્યા વિના એકપક્ષી રીતે લેવામાં આવ્યો છે. તેથી ક્વોલિટી ટેસ્ટિંગના સ્ટાન્ડર્ડના બિનટકાઉ મોડેલ આવી જવાનું જોખમ છે. કારણ કે 6000થી વધુ ડિવાઈઝના માટે આ નિયમો લાગુ કરવાના છે. મોટી અને મહત્વની ડિવાઈઝ તો નિયમોના અંકુશ હેઠળ આ અગાઉ જ આવી ચૂકેલી છે. આ સ્થિતિમાં નાના નાના પ્રોડક્ટ્સને આ જોગવાઈ લાગુ કરવાની કોઈ જજરૂર નથી.
નવા ફી સ્ટ્રક્ચર અંગે ચિંતા
મેડિકલ ડિવાઈઝ અંગેના નવા મુસદ્દામાં-ડ્રાફ્ટમાં નવી ફી પણ સૂચવવામાં આવી છે. ઈમ્પ્લાન્ટ ટેસ્ટ માટે રૂ. 5,000ની ફી લેવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે. તેમ જ સ્ટેરિલિટી ટેસ્ટ રૂ.2,000ની ફી નક્કી કરવામાં આવી રહી છે. આ ફી કેવી રીતે લાગશે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવેલી નથી. તદુપરાંત દર વર્ષે તેની ફીમાં પાંચ ટકાનો વધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. નાના અને અતિ નાના એકમો માટે વધતા ખર્ચો મોટો બોજ બની શકે છે.
મુખ્ય મુદ્દો મેડિકલ ડિવાઈજ રૂલ્સ 2017ના નિયમ નંબર 44માં કરાયેલા સુધારા સાથે જોડાયેલો છે. આ સુધારા મુજબ, જો સ્ટેરિલાઇઝેશન સેવા બહારની એજન્સી દ્વારા આપવામાં આવે છે, તો તે સ્ટેરિલાઇઝેશન સેન્ટરનો લાઇસન્સ નંબર પ્રોડક્ટના લેબલ પર સ્પષ્ટ રીતે દર્શાવવો ફરજિયાત રહેશે.
ઉદ્યોગ સંસ્થાઓએ આ નિયમને “અનાવશ્યક અને કડક નિયંત્રણ” ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે હાલ ઉત્પાદકો બેથી ત્રણ સ્ટેરિલાઇઝેશન સર્વિસ પ્રોવાઇડર્સ રાખે છે. આ રીતે મશીન ખરાબી, મેન્ટેનન્સ અથવા અન્ય કારણોસર ઉત્પાદન બંધ કરવાની નોબત આવતી નથી. પરંતુ નવા નિયમ મુજબ એક જ સર્વિસ પ્રોવાઇડરનો લાઇસન્સ નંબર લેબલ પર મૂકવો પડશે . પરિણામે ઉત્પાદકો એક જ સપ્લાયર સાથે બંધાઈ જશે. તેની મોનોપોલીનો ગેરલાભ થઈ શકે છે.
નવા નિયમની સંભવિત અસર
વેપારીઓનું માનવું છે કે સરકારે અમલમાં મૂકેલા નવા નિયમથી સપ્લાય ચેઇનમાં મોટો વિઘ્ન આવશે. બીજું, એક સર્વિસ પ્રોવાઇડર બંધ થાય તો ત્રણથી ચાર અઠવાડિયાનો વિલંબ થઈ શકે છે. ત્રીજું, એક્સપોર્ટ અને ડોમેસ્ટિક સપ્લાય બંને પ્રભાવિત થશે. ચાર, જીવનરક્ષક મેડિકલ સામગ્રીની અછત સર્જાઈ શકે છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે તુલના
વેપારીઓની એવી દલીલ છે કે વિશ્વના મોટા નિયમનકારો આવા કડક લેબલિંગ નિયમો લાગુ કરતા નથી. બીજું, ગુણવત્તા અને સલામતી સામાન્ય રીતે આંતરિક રેકોર્ડ અને સિસ્ટમ દ્વારા જાળવવામાં આવે જ છે. ત્રીજું, લેબલ પર વધુ માહિતી ઉમેરવાથી કોઈ ખાસ સલામતી લાભ મળતો નથી.
ઉદ્યોગ માટે પડકાર
આ નવા નિયમોથી ઉદ્યોગોની તકલીફમાં વધારો થઈ રહ્યો છે. એક, ઉદ્યોગના ખર્ચમાં વધારો થશે. બે, નાના અને મધ્યમ ઉદ્યોગો પર વધારે બોજ આવશે. ત્રણ, વહીવટીય-એડમિનિસ્ટ્રેટિવ કામમાં વધારો થશે.
ઉદ્યોગની ભલામણ
વેપારીઓએ સરકારને સૂચન કર્યું છે કે સ્ટેરિલાઇઝેશન વિગતો માત્ર શિપિંગ કાર્ટન અથવા આંતરિક રેકોર્ડમાં જ રાખવાની વ્યવસ્થા દાખલ કરવી જોઈએ. લેબલ પર ફરજિયાત ન બનાવવી જોઈએ. તેનાથી ટ્રેસેબિલિટી પણ જળવાઈ રહેશે અને ઉત્પાદન લવચીકતા પણ જળવાઈ રહેશે.
30 દિવસનો જાહેર પ્રતિસાદ આપી શકાશે
વેપારીઓએ સરકારને આ નિયમો પર પુનર્વિચાર કરવા વિનંતી કરી છે . ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની વ્યવસ્થાને જાળવી રાખવાની માંગણી કરવામાં આવી રહી છે. ત્યારબાદ સરકાર નિર્ણય લઈને તેના અમલીકરણની જાહેરાત કરશે.




