મેદસ્વિતાની-પાચનમાં મદદ કરતી દવાનો આડકતરો પ્રચાર કરતી કંપનીઓને CDSCOની ચેતવણી

- ખાતરીપૂર્વક વજન ઘટાડાની ગેરમાર્ગે દોરતી માહિતી આપે અથવા લોકોને દવાઓ લેવા પ્રોત્સાહિત કરે, તો તેને ભ્રામક માર્કેટિંગ પ્રથા માનવામાં આવશે અને કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે
ભારતના દવાના બજાર પર નજર રાખી રહેલા સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશને ફાર્માસ્યુટિકલ કંપનીઓને મેદસ્વિતા-જાડાપણું ઓછું કરવાની દવાઓ અને ચયાપચયની ક્રિયામાં એટલે કે પાચનમાં મદદ કરતી દવાઓના પ્રચાર કરવા સામે ચેતવણી આપી છે. તેમાંય ખાસ કરીને GLP-1 રિસેપ્ટર એગોનિસ્ટ જેવી દવાઓને જાહેર જનતા સુધી સરોગેટ એડવર્ટાઇઝિંગ અથવા ડિઝિઝ-અવેર્નેસ કેમ્પેઇનના માધ્યમથી દવાઓનો પ્રચાર કે પ્રમોશન ન કરવા જણાવ્યું છે.
મંગળવારે જાહેર કરાયેલા એક સલાહનામામાં Central Drugs Standard Control Organisation (CDSCO) એ જણાવ્યું કે પ્રિસ્ક્રિપ્શન પર જ આપવામાં આવતી દવાઓના કોઈપણ પ્રકારના પ્રચારમાં Drugs and Cosmetics Act 1940 અને Drugs Rules 1945ના નિયમોનું કડક પાલન કરવું ફરજિયાત છે.
આ એડવાઈઝરી ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા રાજીવસિંહ રઘુવંશેઆ મંગળવારે બહાર પાડી છે. આ એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે કેટલીક ફાર્મા કંપનીઓ GLP-1 જેવી દવાઓ માટે ડિજિટલ કેમ્પેઇન, ડિઝિઝ-અવેર્નેસ કાર્યક્રમો અને અન્ય કમ્યુનિકેશન પ્રવૃત્તિઓના માધ્યમથી સીધી કે આડકતરી રીતે પ્રચાર કરી રહી હોવાની માહિતી મળી છે.
ફાર્માસ્યૂટિકલ કંપની સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે વજન ઘટાડાની દવાઓ અંગે ઇન્ફ્લુએન્સર મારફતે ચર્ચાઓ કરાવીને તેને આડકતરી રીતે પ્રમોટ કરવામાં આવી રહી છે. મેદસ્વિતા અને પાંચનને લગતી સમસ્યાઓ અંગે સ્પોન્સર કરાયેલા અવેર્નેસ કાર્યક્રમોના માધ્યમથી આ દવાઓનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. બ્રાન્ડનું નામ લીધા વગર સારવારના પરિણામો બતાવતી ડિજિટલ માર્કેટિંગ સામગ્રી લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે.
રઘુવંશીએ જણાવ્યું હતુ કે પ્રિસ્ક્રિપ્શન પર જ આપી શકાતી દવાઓ માત્ર નોંધાયેલા તબીબો મારફતે જ અપાવી જોઈએ અને તે પણ મંજૂર થયેલા ઉપયોગ અને માર્ગદર્શિકા મુજબ જ આપવામાં આવે તે જરૂરી છે. CDSCOએ વધુમાં ચેતવણી આપી છે કે જો કોઈ પ્રચાર પ્રવૃત્તિ દવાથી માનવને બીમારીમાંથી મુક્ત કરાવવા માટે થતા લાભને વધારીને બતાવવા સામે પણ ચેતવણી આપી છે. તેની સાથે જ ખાતરીપૂર્વક વજન ઘટાડાની ગેરમાર્ગે દોરતી માહિતી આપે અથવા લોકોને દવાઓ લેવા પ્રોત્સાહિત કરે, તો તેને ભ્રામક માર્કેટિંગ પ્રથા માનવામાં આવશે અને કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.
સામાન્ય રીતે મેદસ્વિતાની દવાઓ અંગે વિશ્વભરના નિયમનકારો સામાન્ય રીતે વધુ સાવચેત રહે છે, કારણ કે દર્દીઓની સંખ્યા વધે ત્યારે સેફ્ટી મોનિટરિંગ વધુ કડક બનાવવું ફરજિયાત બને છે. ડ્રગ કંટ્રોલર જનરલની એડવાઈઝરીમાં મેદસ્વિતાને એક લાંબાસમયની ચયાપચયની સમસ્યાની સ્થિતિ છે. તેનું યોગ્ય સંચાલન માત્ર દવાઓથી નહીં પરંતુ નીચેના ઉપાયો સાથે થવું જોઈએ:
- સંતુલિત આહાર
- નિયમિત શારીરિક કસરત
- જીવનશૈલીમાં જરૂરી ફેરફાર
એડવાઈઝરીમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે પ્રિસ્ક્રિપ્શન પર જ આપી શકાતી દવાઓની કોઈપણ પ્રકારની સીધી કે આડકતરી જાહેરાતો—પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, ડિજિટલ પ્લેટફોર્મ, સોશિયલ મીડિયા, ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ અથવા અન્ય જાહેર માધ્યમો મારફતે પ્રચાર કરવામાં આવશે તો તેને કાયદાના ભંગ તરીકે ગણાશે.
કંપનીઓને એ પણ સૂચના આપવામાં આવી છે કે દર્દીઓ માટેની માહિતીમાં અધિકૃત વ્યક્તિના વિગતો, ઓફિસ કોડ અને સંપર્ક નંબર સ્પષ્ટ રીતે દર્શાવવાના રહેશે. CDSCOએ ફાર્મા કંપનીઓને રિસ્ક-મેનેજમેન્ટ પ્લાન રજૂ કરવા પણ કહ્યું છે જેથી આ દવાઓના ઉપયોગ દરમિયાન સુરક્ષા દેખરેખ અને જોખમ ઘટાડવાના પગલાં અમલમાં મૂકી શકાશે.
આ માહિતી Advertising Standards Council of India (ASCI) સહિત ઉદ્યોગના અન્ય હિતધારકોને પણ મોકલવામાં આવી છે જેથી પ્રિસ્ક્રિપ્શન દવાઓના માર્કેટિંગમાં જવાબદારી અને નિયમનનું પાલન સુનિશ્ચિત થઈ શકશે. આ ચેતવણી એવા સમયે આપવામાં આવી છે જ્યારે ભારતમાં અનેક કંપનીઓ GLP-1 આધારિત નવી દવાઓ લોન્ચ કરવાની તૈયારીમાં છે. ઉદ્યોગના અંદાજ મુજબ ભારતમાં એન્ટી-ઓબેસિટી દવાઓનો બજાર હાલમાં લગભગ રૂ. 3,000 થી રૂ. 3,500 કરોડ જેટલું છે. આ બજારમાં આગામી વર્ષોમાં ઝડપથી વધારો થવાની શક્યતા છે.
સરોગેટ જાહેરાત-Surrogate Advertising) શું છે?
સરોગેટ જાહેરાત એ એવી માર્કેટિંગ પદ્ધતિ છે જેમાં પ્રતિબંધિત અથવા કડક નિયંત્રણવાળા ઉત્પાદનોની સીધી જાહેરાત કરવાનું કાયદેસર ન ગણાતું હોય ત્યારે કંપનીઓ તે જ બ્રાન્ડના નામે અન્ય કાયદેસર પ્રોડક્ટની જાહેરાત કરે છે. આ રીતે કંપનીઓ પોતાનું બ્રાન્ડ નામ લોકોની મનમાં પ્રસ્થાપિત કરીને તેમની મેમરીમાં જાળવી રાખવા સતત પ્રયાસ કરે છે, મૂળ ઉત્પાદન એટલે કે મૂલ દવાનો સીધો પ્રચાર કરવાની કાયદેસર મની હોવા છતાં તેઓ સરોગેડ એડવર્ટાઈઝિંગના માધ્યમથી તે દવાને લોકોના મનમાં પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યા જ કરે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ દારૂની બ્રાન્ડ સીધી જાહેરાત કરી શકતી નથી, તો તે સોડા, મિનરલ વોટર, મ્યુઝિક CDs અથવા અન્ય પ્રોડક્ટના નામે જાહેરાત કરીને બ્રાન્ડની ઓળખ જાળવે છે. તેના ઉદાહરણોની વાત કરવામાં આવે તો Kingfisher સોડા અથવા પીવાના પાણીની જાહેરાત કરીને મદિરા તરફ ઇશારો કરે છે. આ જ રીતે Vimal – એલચી અથવા પાન મસાલાના માધ્યમથી બ્રાન્ડનો પ્રચાર કર્યા કરે છે. આમ જ Bagpiper સોડા અથવા અન્ય પીણાંની જાહેરાત આપીને આડકતરી રીતે મદિરાની જાહેરાત કરે છે. આ જાહેરાતોનો મૂળ હેતુ લોકો તેમની બ્રાન્ડનું નામ યાદ રાખે તેટલો જ હોય છે.
ભારતમાં કાયદાકીય સ્થિતિ
ભારતમાં દારૂ અને તમાકુની સીધી જાહેરાત પર નિયંત્રણ છે.
- Cable Television Networks Regulation Act 1995 હેઠળ ટીવી પર આવા ઉત્પાદનોની સીધી જાહેરાત મર્યાદિત છે.
- Advertising Standards Council of India (ASCI)એ પણ સરોગેટ જાહેરાત અંગે કડક માર્ગદર્શિકા બનાવી છે.
ASCIના નિયમો મુજબ જો કોઈ બ્રાન્ડ અન્ય પ્રોડક્ટની જાહેરાત કરે તો તે પ્રોડક્ટ વાસ્તવમાં બજારમાં ઉપલબ્ધ હોવી જોઈએ. માત્ર પ્રતિબંધિત પ્રોડક્ટનો આડકતરો પ્રચાર ન હોવો જોઈએ
વિવાદ અને નૈતિક મુદ્દા
સરોગેટ જાહેરાત અંગે ઘણીવાર વિવાદ થાય છે કારણ કે:
- તે કાયદાના લૂપહોલનો ઉપયોગ કરે છે
- દારૂ અને તમાકુ જેવી હાનિકારક વસ્તુઓનો આડકતરો પ્રચાર થાય છે
- યુવાનો પર તેની અસર થઈ શકે છે
આ કારણે ઘણા દેશોમાં આ પ્રકારની જાહેરાતો પર કડક નજર રાખવામાં આવે છે.



