• 1 September, 2026 - 9:03 AM

નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલે ડિફોલ્ટર કંપનીઓને કરાવેલાં નાણાકીય ફાયદામાં સ્ટેટ બેન્કના રૂ. 1 લાખ કરોડ ડૂબ્યા

SBI એ NCLT હેરકટ્સમાં ₹૧ લાખ કરોડ જતા કર્યા, મોટા ડિફોલ્ટર્સ માટે ₹૧.૫૨ લાખ કરોડ રાઈટ ઓફ કર્યા — છતાં એક પણ નામ જાહેર કરવાનો ઇનકાર

વસૂલાત પ્રક્રિયામાં જ બેંકે હજારો કરોડ રૂપિયા જતા કરવા પડ્યા હતા. છતાં SBIએ જાહેર ઉત્તરદાયિત્વ નિભાવવા કરતાં  ડિફોલ્ટરોની પ્રતિષ્ઠા બચાવવા માટે વધુ ચિંતિત

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના એક નવા રાઈટ ટુ ઈન્ફોર્મેશન (RTI) જવાબમાં ખુલાસો થયો છે કે દેશની સૌથી મોટી બેંકે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) માં ખરાબ લોનની પતાવટ કરતી વખતે કેટલું જંગી નુકસાન સહન કર્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, બેંકે છ વર્ષ પહેલાં જ આ જ અરજદારને જે મોટા ડિફોલ્ટરોના નામો આપ્યા હતા, તે જ નામો જાહેર કરવાની માંગ સામે આજે પણ બેંક અડીંગો જમાવીને બેઠી છે. આ RTI નો જવાબ SBI ના સ્ટ્રેસ્ડ એસેટ્સ રિઝોલ્યુશન ગ્રુપના સેન્ટ્રલ પબ્લિક ઈન્ફોર્મેશન ઓફિસર (CPIO) અને ડેપ્યુટી જનરલ મેનેજર (DGM) સિબાસીશ બિસ્વાસ દ્વારા સજગ નાગરિક મંચના પ્રમુખ અને પુણેના RTI કાર્યકર્તા વિવેક વેલણકરને તેમની પ્રથમ અપીલ બાદ આપવામાં આવ્યો છે.

માત્ર NCLT સેટલમેન્ટ્સમાં જ રૂ. ૧,૦૦,૧૬૮ કરોડ રાઈટ ઓફ કરાયા

સૌથી ચોંકાવનારો ખુલાસો NCLT માં SBI ના વ્યવહારો અંગે થયો છે. નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ થી ૨૦૨૫-૨૬ સુધીના નવ વર્ષોમાં, બેંક રૂ. ૧,૪૯,૮૯૫ કરોડના કુલ દવા સાથે ૩૦૯ લોન ખાતાઓને NCLT અથવા સમાન ફોરમમાં લઈ ગઈ હતી. તેમાંથી SBI રિઝોલ્યુશન પ્લાન દ્વારા માત્ર રૂ. ૪૯,૭૨૭ કરોડ જ વસૂલ કરી શકી છે. તેનો અર્થ એ થાય છે કે તેણે રૂ. ૧,૦૦,૧૬૮ કરોડ અથવા તો તેના કુલ દાવાના આશરે ૬૭ ટકા રકમ હેરકટ (માફી) તરીકે કાયમી ધોરણે રાઈટ ઓફ કરવી પડી છે.

વર્ષવાર ડેટા દર્શાવે છે કે આ પતાવટ કેટલી ગંભીર હતી. FY૧૮-૧૯ માં, ૩૪ NCLT ખાતાઓમાં SBI નો દાવો રૂ. ૪૮,૪૨૫ કરોડ હતો, પરંતુ રિઝોલ્યુશન પ્લાનમાંથી બેંકને માત્ર રૂ. ૨૬,૪૦૨ કરોડ જ મળ્યા હતા. આમ એક જ વર્ષમાં રૂ. ૨૨,૦૨૩ કરોડનો હેરકટ હતો. FY૨૧-૨૨ માં, ૪૦ ખાતાઓમાં રૂ. ૨૨,૪૦૮ કરોડના દાવા સામે, SBI એ માત્ર રૂ. ૫,૩૩૭ કરોડ વસૂલ કર્યા, જે રૂ. ૧૭,૦૭૧ કરોડનો હેરકટ દર્શાવે છે. એટલે કે તે વર્ષના દાવાઓ પર ૭૬ ટકાથી વધુનું નુકસાન થયું છે. 

અંતિમ રેકોર્ડ વર્ષ FY૨૫-૨૬ માં પણ, SBI એ રૂ. ૪,૯૨૮ કરોડના દાવા ધરાવતા ૩૦ ખાતાઓની પતાવટ માત્ર રૂ. ૧,૩૪૮ કરોડમાં કરી, જેમાં રૂ. ૩,૫૮૦ કરોડનો હેરકટ લેવાયો હતો. પરિણામે આશરે ૭૩ ટકાનું નુકસાન છે.

મોટા રાઈટ ઓફ, નાની વસૂલાત: રૂ. ૧.૫૨ લાખ કરોડનો તફાવત

અલગથી, SBI નો જવાબ દર્શાવે છે કે FY૧૬-૧૭ થી FY૨૫-૨૬ સુધીના દસ નાણાકીય વર્ષો દરમિયાન, બેંકે ટેકનિકલી અથવા પ્રુડેન્શિયલી મોટા ડિફોલ્ટરો (જેમના પર રૂ. ૧૦૦ કરોડથી વધુ બાકી હતા)ની રૂ. ૧,૫૧,૮૫૭ કરોડની લોન રાઈટ ઓફ (માંડવાળ) કરી હતી. આ જંગી રકમમાંથી અત્યાર સુધીમાં માત્ર રૂ. ૨૦,૮૩૮ કરોડ અથવા લગભગ ૧૪ ટકા જ વસૂલ થઈ શક્યા છે.

વર્ષવાર સ્કેલ ખૂબ આંખ ઉઘાડનારો છે. એકલા FY ૧૯-૨૦ માં, SBI એ મોટા ડિફોલ્ટરો સામે રૂ. ૪૬,૩૪૮ કરોડ રાઈટ ઓફ કર્યા હતા. જે દસ વર્ષના ડેટામાં એક વર્ષનો સૌથી મોટો રાઈટ ઓફ હતો. આજ સુધી તેમાંથી માત્ર રૂ. ૪,૫૪૮ કરોડ (લગભગ ૧૦ ટકા જ) વસૂલ થયા છે. FY૧૮-૧૯ માં રૂ. ૨૭,૨૨૫ કરોડ રાઈટ ઓફ કરાયા હતા, જેની સામે માત્ર રૂ. ૧,૮૧૧ કરોડ વસૂલ થયા.

કેટલાક અપવાદો પણ છે: FY૨૪-૨૫ માં બેંકે રૂ. ૭,૬૩૨ કરોડના રાઈટ ઓફ સામે રૂ. ૬,૨૫૪ કરોડ વસૂલ કર્યા હતા. જે અન્ય વર્ષોની સરખામણીમાં ૮૨ ટકાનો મજબૂત રિકવરી રેટ દર્શાવે છે. FY૨૫-૨૬ માં રૂ. ૨,૬૭૭ કરોડની વસૂલાત રૂ. ૨,૬૯૦ કરોડના રાઈટ ઓફની લગભગ નજીક હતી. પરંતુ આ તાજેતરના સુધારા દાયકા દરમિયાન થયેલા રૂ. ૧.૩૧ લાખ કરોડના જંગી તફાવતને ભરપાઈ કરવા માટે પૂરતા નથી.

સરખામણીમાં, SBI નો જવાબ એ પણ દર્શાવે છે કે નાના ધિરાણકર્તાઓ (જેમના પર રૂ. ૧ કરોડથી ઓછું બાકી હતું) માટે સમાન દસ વર્ષમાં રૂ. ૬૩,૧૦૩ કરોડ રાઈટ ઓફ કરવામાં આવ્યા હતા, જેમાંથી રૂ. ૬,૮૧૫ કરોડ (આશરે ૧૧ ટકા) વસૂલ થયા છે. જોકે વસૂલાતનો દર મોટા ડિફોલ્ટરો કરતાં બહુ અલગ નથી, પરંતુ નાના દેવાદારોને નામ અને સરનામા છાપવા અને ઘરોની હરાજી કરવા જેવી કડક અને જાહેર કાર્યવાહીનો સામનો કરવો પડે છે — જ્યારે મોટા ડિફોલ્ટરો, જેમના એક લાખ કરોડથી વધુના રાઈટ ઓફ વસૂલ થયા નથી, તેમને જાહેર ઓળખથી સંપૂર્ણ રીતે બચાવવામાં આવે છે.

તકનીકી રીતે, જ્યારે દેવાની રકમ રાઈટ ઓફ કરવામાં આવે છે, ત્યારે તેને બેલેન્સ શીટમાંથી સંપત્તિ તરીકે હટાવી દેવામાં આવે છે કારણ કે બેંકને તેની વસૂલાતની આશા હોતી નથી. નિષ્ણાતો આ પદ્ધતિની ટીકા કરે છે, પરંતુ ટેક્સ મેનેજમેન્ટ અને ચોપડા ચોખ્ખા કરવાના ભાગરૂપે બેંકો નિયમિતપણે આવું કરે છે. આના લાભાર્થીઓ હંમેશા આપણા દેશના કેટલાક સૌથી મોટા ઉદ્યોગપતિ ડિફોલ્ટરો જ હોય છે.

આનાથી વિપરીત, જ્યારે બેડ ડેટ (ખરાબ લોન) ને રાઈટ ડાઉન કરવામાં આવે છે, ત્યારે તેની કેટલીક કિંમત એસેટ તરીકે રહે છે કારણ કે બેંક વસૂલાતની આશા રાખે છે. જોકે, SBI એ બતાવ્યું છે તેમ, મોટાભાગના સમયે રાઈટ ઓફ કરાયેલી રકમની કોઈ વસૂલાત થતી નથી અથવા નહિવત વસૂલાત થાય છે.

૨૦૨૦ માં નામો આપ્યા હોવા છતાં, ૨૦૨૬ માં ‘ફિડ્યુશિયરી કેપેસિટી’ નું બહાનું

શ્રી વેલણકરે FY૧૬-૧૭ થી દરેક નાણાકીય વર્ષમાં રૂ. ૧૦૦ કરોડથી વધુ રકમ રાઈટ ઓફ થઈ હોય તેવા દેવાદારોના નામ અને રકમ માંગ્યા હતા. SBI એ એવું કહીને ઇનકાર કર્યો હતો કે આ માહિતી ‘તૃતીય પક્ષોની વ્યક્તિગત માહિતી છે જે બેંક પાસે વિશ્વાસનીય ક્ષમતા (Fiduciary Capacity) અને વ્યાપારિક ગોપનીયતા હેઠળ છે’, તેથી RTI એક્ટની કલમ 8(1)(d), 8(1)(e) અને 8(1)(j) હેઠળ તે જાહેર કરવાથી મુક્ત છે. જ્યારે વેલણકરે NCLT અથવા સમાન ફોરમ દ્વારા હેરકટ સ્વીકારીને લોન પતાવટ કરાયેલા દેવાદારોના નામ અને હેરકટની રકમ માંગી ત્યારે પણ બેંકે આવો જ નકારાત્મક જવાબ આપ્યો હતો. વેલણકરે નોંધ્યું હતું કે આ એ જ બેંક છે જેણે ૨૦૨૦ માં એક શેરહોલ્ડર તરીકેની તેમની ક્ષમતામાં આ જ નામો તેમની સાથે શેર કર્યા હતા — આ હકીકત ગોપનીયતા અંગેના બેંકના વર્તમાન વલણની અસંગતતાને ખુલ્લી પાડે છે.

“મોટા ડિફોલ્ટરોની પ્રતિષ્ઠા અંગે બેંકની ચિંતા આઘાતજનક છે”

RTI જવાબ પર પ્રતિક્રિયા આપતાં વેલણકરે જણાવ્યું હતું કે, રૂ. ૧.૫ લાખ કરોડના NCLT દાવાઓ પર ૬૭ ટકા હેરકટ અને રૂ. ૧.૫૨ લાખ કરોડના રાઈટ ઓફ પર માત્ર ૧૪ ટકા રિકવરી કરી છે. આ આંકડાઓ દર્શાવે છે કે આ ડિફોલ્ટરોના નામ આપવાનો બેંકનો સતત ઇનકાર તાર્કિક રીતે અયોગ્ય છે. તેમણે નિર્દેશ કર્યો હતો કે આ NCLT કેસ ખાસ કરીને લોન ડિફોલ્ટરો પાસેથી નાણાં વસૂલવા માટે કરવામાં આવ્યા હતા, અને તે વસૂલાત પ્રક્રિયામાં જ બેંકે હજારો કરોડ રૂપિયા જતા કરવા પડ્યા હતા. છતાં SBIએ જાહેર ઉત્તરદાયિત્વ નિભાવવા કરતાં  ડિફોલ્ટરોની પ્રતિષ્ઠા બચાવવા માટે વધુ ચિંતિત જણાય છે.

વેલણકરે એક મહત્વપૂર્ણ તુલના કરી

બેંકો અખબારોમાં નાના ડિફોલ્ટરોના નામો જાહેર કરીને તેમને બદનામ કરવામાં અને તેમની લોન વસૂલવા માટે તેમના ઘરો વેચવામાં ઉતાવળ કરે છે, પરંતુ મોટા દેવાદારો સાથે નરમ વલણ અપનાવીને હજારો કરોડ રૂપિયા જતા કરે છે. તેમણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અને કેન્દ્રીય નાણા મંત્રાલય (MoF) ને આ પરિસ્થિતિના માત્ર મૂકપ્રેક્ષક બની રહેવા માટે સમાન રીતે જવાબદાર ગણાવ્યા હતા. તેમણે ઉમેર્યું, “આ જાહેર જનતાની દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે કે આટલી મોટી લોન રાઈટ ઓફ થયા પછી પણ તેની વસૂલાતમાં નિષ્ફળ જવા બદલ, હેરકટ્સ દ્વારા હજારો કરોડ રૂપિયા જતા કરીને કેસ પતાવવા બદલ અને પ્રથમ સ્થાને બેદરકારીપૂર્વક આટલી મોટી લોન મંજૂર કરવા બદલ જવાબદાર ડિરેક્ટરો સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી.”

ચિત્રનો મોટો ભાગ

SBI નો NCLT હેરકટ ડેટા અને મોટા ડિફોલ્ટરો માટે રાઈટ-ઓફ વિરુદ્ધ વસૂલાતના આંકડા એક એવું ચિત્ર રજૂ કરે છે કે જ્યાં દેશની સૌથી મોટી બેંક તેના સૌથી મોટા લોન ખાતાઓ પર સતત જંગી નુકસાન સહન કરી રહી છે. બીજીતરફ જવાબદાર લોકોની ઓળખ જાહેર જનતાથી સંપૂર્ણપણે છુપાવવામાં આવી રહી છે. જે નામો ૨૦૨૦ માં જાહેર કરવામાં આવ્યા હતા, તેને જ હવે કાનૂની મુક્તિનું બહાનું બનાવીને છુપાવવામાં આવી રહ્યા છે, જે ભારતીય જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંકની પારદર્શિતા અને જવાબદેહી સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.

Read Previous

અમ્યુકોની ગટરમાં ટ્રીટ કર્યા વિના પ્રદૂષિત પાણી ઠાલવતા એકમોને ક્લોઝર નોટિસ

Read Next

આજે શેરબજારમાં શું કરશો?

Most Popular