SEBIએ ડુપ્લિકેટ શેર્સ કાઢી આપવાની પ્રક્રિયા સરળ બનાવી

- રૂ.10 લાખ સુધી વધારી ડુપ્લિકેટ શેર્સ બનાવવાની છૂટ આપી
- રૂ. 10,000 સુધીની સિક્યુરિટીઝ માટે હવે એફિડેવિટનું નોટરાઇઝેશન જરૂરી રહેશે નહીં. આવા કેસમાં સાદા કાગળ પર અન્ડરટેકિંગ આપવું પૂરતું રહેશે.
અમદાવાદઃ SEBI-સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ રોકાણકારોની સુવિધા માટે ડુપ્લિકેટ સિક્યુરિટીઝ એટલે કે શેર અને બોન્ડ કાઢી આપવાની પ્રક્રિયા વધુ સરળ બનાવી દીધી છે. હવે રૂ. 5 લાખની બદલે રૂ. 10 લાખ સુધીની સિક્યુરિટીઝ માટે સરળ દસ્તાવેજી પ્રક્રિયા લાગુ થશે. આ નવા નિયમો તાત્કાલિક અમલમાં આવશે અને હાલમાં પ્રોસેસમાં રહેલી અરજીઓ પર પણ લાગુ પડશે. જોકે, SEBIએ સ્પષ્ટતા કરી છે કે જૂના નિયમો હેઠળ દસ્તાવેજો આપી ચૂકેલા રોકાણકારોને ફરીથી દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર નહીં પડે.
SEBIએ લીધેલા નવા નિર્ણય મુજબ આ ફેરફારોનો ઉદ્દેશ્ય કમ્પ્લાયન્સનો ભાર ઘટાડવાનો છે. ડુપ્લિકેટ શેર્સ મેળવવાની કામગીરીને લગતી પ્રક્રિયા ઝડપી બનાવી દેવાનો છે. તેની સાથે સાથે જ ડીમેટરિયલાઇઝેશનને પ્રોત્સાહન આપવાનો અને તમામ લિસ્ટેડ કંપનીઓ તથા RTA –Registrar & Transfer Agents એકસરખી પદ્ધતિ અમલમાં લાવવી છે.
ડીમેટ ફોર્મમાં જ ડુપ્લિકેટ સિક્યુરિટીઝ
SEBIએ જાહેરાત કરતાં સ્પષ્ટતા કરી છે કે હવે બધી જ ડુપ્લિકેટ સિક્યુરિટીઝ ફક્ત ડીમેટ ફોર્મમાં જ જારી થશે. પરિણામે ડીમેટરિયલાઇઝેશનને વધુ વેગ મળશે. આ સુધારેલા નિયમો અનુસાર બધી લિસ્ટેડ કંપનીઓ અને RTAsને અરજીઓની પ્રક્રિયા કરવાનું નિર્દેશ આપવામાં આવ્યો છે.
હોલ્ડિંગ આધારિત નિયમો
- રૂ. 10 લાખ સુધીની હોલ્ડિંગ ધરાવનારાઓ યોગ્ય નોન-જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર પર સ્ટાન્ડર્ડ Affidavit-cum-Indemnity Bond આપીને ડુપ્લિકેટ શેર્સ મેળવી શકશે.
- ₹10,000 સુધીની હોલ્ડિંગ ધરાવનારાઓ સાદા કાગળ પર અન્ડરટેકિંગ (નોટરાઇઝેશન વગર) ડુપ્લિકેટ શેર્સ માટે અરજી કરીને શેર્સ મેળવી શકશે.
- ₹10 લાખથી વધુ હોલ્ડિંગ ધરાવનારાઓએ FIR-પોલીસ ફરિયાદ, કોર્ટ ઓર્ડર અથવા ફરિયાદની નકલ ફરજિયાત રજૂ કરવી પડશે. તેમજ કંપની અઠવાડિયામાં એક વખત અખબારમાં જાહેરાત આપીને તેને માટે ન્યૂનતમ ફી વસૂલ કરી શકે છે. આ પ્રકારના કેસમાં અરજાની પ્રક્રિયાનો સમયગાળો સંપૂર્ણ દસ્તાવેજ મળ્યાની તારીખથી અથવા અખબારી જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી (જે મોડું હોય તે) ગણાશે.
સેબીએ મુખ્ય ફેરફારો શું છે?
- રૂ. 10 લાખ સુધીની સિક્યુરિટીઝ-શેર્સ કે બોન્ડ ધરાવતા રોકાણકારોએ હવે ઓછી દસ્તાવેજી કાર્યવાહી એટલે કે કાગળો કરવાની કાર્યવાહી ઓછી કરવી પડશે.
- ડુપ્લિકેટ શેર્સ-બોન્ડ ઇશ્યૂ કરવા માટે SEBIએ સ્ટાન્ડર્ડ Affidavit-cum-Indemnity Bondનું ફોર્મેટ નક્કી કરી દીધું છે. આ ફોર્મેટમાં જ દરેકે અરજી કરવી પડશે.
- રૂ. 10,000 સુધીની સિક્યુરિટીઝ માટે હવે એફિડેવિટનું નોટરાઇઝેશન જરૂરી રહેશે નહીં. આવા કેસમાં સાદા કાગળ પર અન્ડરટેકિંગ આપવું પૂરતું રહેશે.
ફેરફારો પાછળનું કારણ
SEBIએ નવેમ્બર 2025માં જાહેર કરેલા કન્સલ્ટેશન પેપરમાં જણાવ્યું હતું કે સ્ટાન્ડર્ડ દસ્તાવેજોની અછતને કારણે રોકાણકારોને વારંવાર અલગ-અલગ દસ્તાવેજો આપવાની ફરજ પડી રહી હતી. પરિણામે ડુપ્લિકેટ શેર્સ મેળવવાની પ્રક્રિયામાં વિલંબ થતો હતો. રૂ. 5 લાખની જૂની મર્યાદા હવે બજારના કદ અને સરેરાશ પોર્ટફોલિયો મૂલ્યને અનુરૂપ રહી નથી. તેથી રૂ. 10 લાખની કરવામાં આવી છે.


