• 22 March, 2026 - 4:24 PM

રિઝર્વ બૅન્ક ઓફ ઇન્ડિયાએ ગુજરાત રાજ્ય કર્મચારી કોઓપરેટીવ બેન્ક પર કલમ 35એ લાગુ કરી 

બેન્કના કરન્ટ એકાઉન્ટમાંથી કે બચત એકાઉન્ટમાંથી નાણાંનો કોઈપણ ઉપાડ ન કરવા દેવાની સૂચના આપવામાં આવી છે. આ જ રીતે ડિપોઝિટર્સની લોન સામે તેના બચત ખાતામાં પડી રહેલી રકમને એડજસ્ટ ન કરી આપવાની સૂચના આપવામાં આવી છે.

અમદાવાદ: અમદાવાદ સ્થિત ગુજરાત રાજ્ય કર્મચારી કોઓપરેટીવ બેન્ક પર કલમ ૩૫એ લાગુ કરીને તેને નવી લોન આપવાથી, બેન્કિંગના વહેવારો કરવાથી દૂર રહેવાની સૂચના આપી છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની કલમ ૩૫ એ અને તેની સાથે વંચાણે લેવાતી કલમ ૫૬ હેઠળ આ નિયંત્રણો મૂકવામાં આવ્યા છે.થાપણદારોના હિતોની રક્ષા કરવા, યોગ્ય વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવા અને બેંકિંગ નીતિને સુરક્ષિત રાખવા માટે આ નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. બેન્કના સભાસદોને તેની જાણ થાય તે માટે કલમ ૩૫ એ લાગુ કરવામાં આવી હોવાની નોંધ બેન્કના મકાન પર ડિસ્પ્લે કરવાની સૂચના પણ આપવાામાં આવી છે.

બેન્કના સીઈઓ વલ્લભ દેસાઈએ કરેલા રૃા. ૧૦.૬૬ કરોડના ફ્રોડને કારણે બેન્ક નબળી પડી હોવાથી પગલું લેવાયું હોવાનું માનવામાં આવે છે. બેન્કના સીઈઓએ ૧૭૨ ખાતાઓમાંથી રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ-આરટીજીએસથી નાણાં ટ્રાન્સફર કરી દીધા હતા. આ જ રીતે ૨૯ એકાઉન્ટમાંથી ગેરકાયદેસર નાણાંનો ઉપાડ પણ કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. બેન્કના સીઈઓએ કરેલા ફ્રોડને લગતી ફરિયાદ સીઆઈડી ક્રાઈમમાં કરવામાં આવેલી છે. પરિણામે ડિપોઝીટર્સના નાણાં સામે જોખમ ઊભું થયું હતું.

બેન્કના કરન્ટ એકાઉન્ટમાંથી કે બચત એકાઉન્ટમાંથી નાણાંનો કોઈપણ ઉપાડ ન કરવા દેવાની સૂચના આપવામાં આવી છે. આ જ રીતે ડિપોઝિટર્સની લોન સામે તેના બચત ખાતામાં પડી રહેલી રકમને એડજસ્ટ ન કરી આપવાની સૂચના આપવામાં આવી છે. જોકે બેન્કના કર્મચારીઓના પગારનો ખર્ચ કરવાની, ભાડું ચૂકવવા માટે ખર્ચ કરવાની અને વીજળીનું બિલ ભરવા માટેનો ખર્ચ કરવાની છૂટ આપવામાં આવેલી છે.

રિઝર્વ બેન્કે થોડા મહિના પૂર્વે બેન્કનો વહીવટ સુધારવા માટે ચર્ચા કરવા બેન્કના મેનેજમેન્ટ સાથે ચર્ચાવિચારણાં પણ કરી હતી. તેમ છતાં પણ બેન્કનો વહીવટ સુધારવા માટે યોગ્ય પગલાં બેન્કના મેનેજમેન્ટ દ્વારા ન લેવામાં આવતા રિઝર્વ બેન્કને કલમ ૩૫ એ લાગુ કરવાની ફરજ પડી છે.

કલમ ૩૫-એ સામાન્ય રીતે સૂચનાઓ આપવાની સત્તા આપે છે. બીજીતરફ કલમ ૩૫ એ સાથે વંચાણે લેવાથી કલમ ૫૬ ૩૫એ હેઠળ લેવાયેલા નિર્ણયોને સહકારી સંસ્થાઓ પર સ્પષ્ટ રીતે લાગુ કરવાનું કામ કરે છે. રિઝર્વ બેન્કના આદેશને કારણે ગુજરાત રાજ્ય કર્મચારી કોઓપરેટીવ બેન્ક નવી લોન આપી શકશે નહિ. તેમ જ થાપણદારો પાસેથી નવી થાપણ પણ સ્વીકારી શકશે નહિ. ગુજરાત રાજ્ય કર્મચારી કોઓપરેટીવ બેન્કના બોર્ડ પાસેથી થાપણદારોના નાણાંનું રોકાણ કરવાની સત્તા પણ છીનવી લેવામાં આવે છે. તેમ જ બેન્કની સંપત્તિ વેચવા માટે રિઝર્વ બેન્કની પૂર્વ મંજૂરી લેવાની જોગવાઈ લાગુ કરી દીધી છે.

રિઝર્વ બેન્ક સામાન્ય રીતે આ પ્રકારના પ્રતિબંધે સામાન્ય રીતે બૅન્કની નબળી આથક સ્થિતિ અથવા નબળા વહીવટને કારણે લાગુ કરવામાં આવે છે. આ રીતે થાપણદારોને નુકસાન થતું અટકાવી શકાશે. કલમ ૩૫ એ લાગુ પડતા બન્કનું લાઈસન્સ રદ થઈ જતું નથી. છતાં બૅન્ક પર ઘણાં પ્રતિબંધ લાગુ પડી જાય છે. આ કલમ લાગુ કરવાથી બેંકિંગ સિસ્ટમની સ્થિરતા જળવાઈ રહે છે અને લિક્વિડિટી સમસ્યાઓ નિયંત્રિત કરવા માટે થાપણ ઉપાડ પર મર્યાદા મૂકવાની જરૃર પડે તો તે પણ કરી શકાય છે.

વીમા સુરક્ષાના રૃા. ૫ લાખનું કવચ મળશે

ગુજરાત રાજ્ય કર્મચારી કોઓપરેટીવ બેન્કના થાપણદારોને વીમા સુરક્ષા કવચ હેઠળ મળવા પાત્ર રૃા.૫ લાખ મળી શકશે.જોકે હજી સુધી બેન્કને ફડચામાં લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. આ નિર્ણય લેતા પૂર્વે બેન્કને પુનઃ ધબકતી કરવાના પગલાં લેવામાં આવશે. ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન તરફથી આ રકમ આપવામાં આવશે.

Read Previous

ઇન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ઓએનજીસી, એમઆરપીએલ અને ઓઈલ ઇન્ડિયાના શેર્સમાં ગાબડાં

Read Next

વિદેશી ડૉક્ટર્સ-નર્સ પાસે એચ-1બી વિઝા ફી માફ કરીને હોસ્પિટલ્સના સ્ટાફની અછત દૂર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular