• 6 March, 2026 - 4:11 AM

ડિસેમ્બર 2026ના અંત સુધી BSE Sensex 76,000 કે 1,07,000?

ઇરાન સામે અમેરિકા અને ઇઝરાયેલે યુદ્ધ છેડી દીધું હોવાથી ચાર દિવસથી બજારમાં ઘટાડાનો ટોન જોવા મળી રહ્યો છે ત્યારે કેટલાક રોકાણકારોમાં શંકા ઊભી થઈ રહી છે કે ભારતના બજારમાં કોઈ માળખાકીય સમસ્યાઓ ઊભી થઈ રહી છે કે કેમ. આ સવાલનો જવાબ શોધવામાં આવી રહ્યો છે ત્યારે જ વૈશ્વિક બ્રોકરેજ કંપની Morgan Stanleyએ જણાવ્યું છે કે શેરબજારની હાલની સ્થિતિ વધુ પડતી “માર્કેટ પ્લમ્બિંગ” જેવી ટેક્નિકલ પરિસ્થિતિઓને કારણે છે. હા, નજીકના સમયમાં શેરબજારમાં અસ્થિરતા ચાલુ રહેવાની હોવા છતાં ગુણવત્તાવાળા શેરોને યોગ્ય કિંમતે ખરીદવાની તક મળી જશે.

બ્રોકરેજે ડિસેમ્બર 2026 માટે ત્રણ સંભવિત પરિસ્થિતિઓ દર્શાવી છે: એક, બજાર વર્તમાન સપાટીની આસપાસ જળવાઈ રહે અને ધીમી ગતિએ આગળ વધે તો સેન્સેક્સ લગભગ 95,000 સુધી જઈ શકે છે. બે, તેજી જોવાય તો સેન્સેક્સ 1,07,000 સુધી પહોંચી શકે છે. ત્રણ, મંદીનો પ્રભાવ વધે તો સેન્સેક્સ 76,000 સુધી ગગડી શકે છે. અત્યારે મધ્ય પૂર્વમાં વધતા ભૂરાજકીય તણાવ બજાર માટે નવી ચિંતા ઉભી કરી રહ્યા છે. ભારતની તેલ પરની નિર્ભરતા પહેલા કરતાં ઓછી છે, પરંતુ દેશને હજુ પણ મોટા પ્રમાણમાં આયાત કરવું પડે છે. તેલનો સપ્લાય અને લોજિસ્ટિક્સમાં અનિશ્ચિતતા બજાર પર અસર કરી શકે છે. ઉપરાંત ભારત પાસે સીધી રીતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) થી જોડાયેલ મોટો રોકાણની તક જ નથી. આ પ્રકારની સ્થિતિ ભારતીય સેવાઓના નિકાસ માટે પડકાર બની શકે છે.

માર્કેટ પ્લમ્બિંગ શું છે?

મોર્ગન એન્ડ સ્ટેન્લીના જણાવ્યા મુજબ એક બીજી સમસ્યા “માર્કેટ પ્લમ્બિંગ” હોઈ શકે છે. ઇન્ડેક્સમાં ભારતનું વજન ઘટતા Passive funds ને શેર વેચવા પડે છે. કેટલાક Hedge funds ભારતને ફંડિંગ માટે “શોર્ટ” તરીકે પસંદ કરી રહ્યા છે. તેથી શેરબજારમાં તાત્કાલિક દબાણ જોવા મળી રહ્યું છે.

બેઝ કેસમાં સેન્સેક્સ 95,000ની સપાટી સુધી પહોંચે તેવી સંભાવના રહેલી છે. વર્તમાન પરિસ્થિતિમાં સેન્સેક્સનો P/E રેશિયો લગભગ 23.5 રહે તેવી ધારણા છે, જે છેલ્લા 25 વર્ષના સરેરાશ 22 કરતા થોડો વધુ છે. આ પ્રીમિયમના કારણોમાં ઊંડા ઉતરીએ તો કહી શકાય કે ભારતના અર્થતંત્રની મધ્યમગાળામાં મજબૂત વૃદ્ધિ જોવા મળી શકે છે. બીજું, નીતિગત સ્થિરતાનો લાભ ભારતને મળી શકે છે. ત્રીજું, ભારતનું સ્થિર અર્થતંત્ર પણ શેરબજારની ચાલને ટેકો આપી શકે છે.

તેજીના કિસ્સામાં સેન્સેક્સ ડિસેમ્બર 2026ના અંત સુધીમાં 1,07,000ના મથાળાને આંબી જાય તેવી પણ શક્યતા રહેલી છે. જોકે આ સંભાવના માત્ર 30 ટકા જેટલી જ હોવાનું માનવામાં આવે છે. હા, આ સ્થિતિ ત્યારે જ સર્જાઈ શકે જો ક્રૂડ તેલનો ભાવ $60 પ્રતિ બેરલથી નીચે રહે. યુદ્ધની વર્તમાન સ્થિતિ જોતાં આ સંભાવના બહુ જ ઓછી જણાય છે. બીજું, વૈશ્વિક વેપાર યુદ્ધ ઘટે તે પણ જરૂરી છે. ત્રીજું, વૈશ્વિક અર્થતંત્રમાં વૃદ્ધિ થતી રહેવી પણ સેન્સેક્સમાં તેજી માટે જરૂરી છે. 2025–2028 દરમિયાન કંપનીઓની કમાણી દર વર્ષે લગભગ 19 ટકાના દરે વધતી રહે તે પણ જરૂરી જ છે.

શેરબજારમાં મંદી થાય તો તેવા કિસ્સામાં સેન્સેક્સ તૂટીને ડિસેમ્બર 2026ના અંત સુધીમાં 76,000 તળિયે આવી શકે છે. આ સંભાવના પણ લગભગ 20 ટકા જેટલી જ હોવાનું માનવામાં આવી રહ્યું છે. હા, તેને માટે ક્રૂડ તેલના ભાવ $90 પ્રતિ બેરલથી વધુ થઈ જાય તો શેરબજારમાં મંદીનો પ્રભાવ વધી શકે છે. બીજું, Reserve Bank of India વ્યાજદર કડક બનાવે તો પણ આ શક્ય છે. વૈશ્વિક અર્થતંત્ર ધીમું પડી જાય તો પણ આ નોબત આવી શકે છે. ચોથું, United States મંદીની ગિરફ્તમાં જકડાઈ જાય તો પણ ભારતના શેરબજારમાં મંદીનું વર્ચસ વધી શકે છે. ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધોમાં તણાવ વધી શકે છે.  આ સ્થિતિમાં કંપનીઓની કમાણીની વૃદ્ધિ ઘટીને દર વર્ષે લગભગ 15 ટકા જેટલી રહી શકે છે.

 

Read Previous

આજે શેરબજારમાં શું કરશો?

Read Next

ચાર શેર્સના ભાવમાં 30 ટકા સુધીનો વધારો થવાની સંભાવના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular