કાળુપુર બ્રિજ પર ૭૦ વર્ષથી ધંધો કરતાં વેપારીઓને નવા સ્થળે દુકાનો આપો

શ્રી અમદાવાદ વેપારી મહાસંગઠનનો મુખ્યમંત્રીને પત્રઃ : ચાર પેઢીથી કાળુપુર બ્રિજ પર ધંધો કરનારા પાસે વૈકલ્પિક જગ્યા પણ ન હોવાથી રજૂઆત
રેલવે માટે નવી માળખાકીય સુવિધાને નામે અમદાવાદ શહેરના કાળુપુર બ્રિજ પર સિત્તેર વર્ષથી વધુ સમયથી ધંધો કરી રહેલા ૧૧૦ દુકાનદારોને વૈકલ્પિક દુકાનો કરી આપવાની વિનંતી કરતો એક પત્ર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખવામાં આવ્યો છે.
આ વેપારીઓ ૯૯ વર્ષના ભાડાં પટ્ટા પર આ દુકાનનો કબજો ધરાવી રહ્યા છે. તેમની દુકાનો ગેરકાયદે ન હોવાનું શ્રી અમદાવાદ વેપારી મહાસંગઠનના સૂત્રોનું કહેવું છે. તેઓ નિયમિત ઇલેક્ટ્રિસિટી બિલ ભરી રહ્યા છે. તેમ જ અમ્યુકોનો ટેક્સ પણ ચૂકવતા આવ્યા છે. તદુપરાંત અમ્યુકોને નિયમિત ભાડું પણ ચૂકવી રહ્યા છે.
આ સંજોગોમાં તેમને આજુબાજુની ખાલી જગ્યા પર તેમની વર્તમાન સાઈઝની દુકાન જેટલી જ દુકાન બનાવી આપવાની માગણી કરવામાં આવી રહી છે. કાળુપુર બ્રિજની માફક જ સારંગપુર બ્રિજને નવો કરવામાં આવે તો તેની આસપાસમાં પણ દુકાન તૈયાર થઈ શકે તેમ છે. આ દુકાનો તેમને ફાળવવી જોઈએ. આ અંગે તેમને અત્યારથી જ કમિટમેન્ટ આપી દેવામાં આવે તો સમગ્ર વિવાદ જ ટળી શકે છે.



