ઇન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ઓએનજીસી, એમઆરપીએલ અને ઓઈલ ઇન્ડિયાના શેર્સમાં ગાબડાં

અમદાવાદઃ ઇઝરાયલ અને અમેરિકાએ સાથે મળીને ઇરાન પર કરેલા આક્રમણને પરિણામે ભારતની પેટ્રોલ, ડીઝલ અને ગેસના કામકાજ કરતી કંપનીઓના શેર્સમાં નરમાઈ જોવા મળી રહી છે. રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધ વખતે પણ આ કંપનીઓની હાલત ખરાબ થઈ હતી. ભારતની આ સેક્ટરની કંપનીઓમાં ઇન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ઓએનજીસી, એમઆરપીએલ અને ઓઈલ ઇન્ડિયાનો સમાવેશ થાય છે. તેમના શેર્સના ભાવ ગગડવા માંડ્યા છે. બાવન અઠવાડિયાની નીચી સપાટીએ આવી ગયા છે.
હાલમાં સૌના મનમાં એક મોટો પ્રશ્ન છે કે ભારતની જરૂરિયાત માટે પૂરતો LPG ઉપલબ્ધ છે કે નહીં. અમેરિકા-ઇઝરાઇલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે ભારતની ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તેને સંચાલિત કરતી કંપનીઓ પર ધ્યાન કેન્દ્રિત થયું છે.
ભારત તેની કુલ વાર્ષિક જરૂરિયાતના 90 ટકા કરતાં પણ વધુ ક્રૂડ આયાત કરે છે. ક્રૂડ આધારિત પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ દેશના ઊર્જા મિશ્રણમાં લગભગ 30 ટકા ફાળો આપે છે. ઉર્જાના ઉત્પાદન માટે કોલસાને સૌથી મોટો સ્ત્રોત તરીકે જોવામાં આવે છે. એનર્જી જનરેશન માટે આજે પણ 50 ટકા કરતાં વધુ વપરાશ કોલસાન જ થાય છે. આ સ્થિતિમાં, ક્રૂડ તેલના સપ્લાય માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે ઓઇલ ફીલ્ડ્સ, પાઇપલાઇન્સ, રિફાઇનરીઝ અને માર્કેટિંગ નેટવર્ક ભારત સહિત કોઈપણ દેશ માટે રાષ્ટ્રીય મહત્વ ધરાવે છે અને ભારતની ઊર્જા સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
અપસ્ટ્રીમમાં, ONGC અને Oil India જેવી કંપનીઓ એક્સપ્લોરેશન અને પ્રોડક્શન કરે છે. ડાઉનસ્ટ્રીમમાં, ત્રણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs)—IOCL, BPCL અને HPCL—સાથે સાથે MRPL અને CPCL રિફાઇનિંગ ઓપરેશન્સ સંભાળે છે. OMCs પાઇપલાઇન્સ પણ ચલાવે છે, જ્યારે GAIL અને Petronet LNG જેવા ઓપરેટર્સ મિડસ્ટ્રીમ સેગમેન્ટમાં આવે છે.
આ PSU કંપનીઓનો સ્કેલ ખૂબ મોટો છે. તેમની પાસે 170 મિલિયન ટન રિફાઇનિંગ ક્ષમતા છે. તેમ જ 35,000 કિમી પાઇપલાઇન્સ, 92,000 રિટેલ આઉટલેટ્સ અને રૂ. 19 લાખ કરોડનું રેવન્યુ એટલે કે વકરો કરે છે. છતાં, તેમનું માર્કેટ મૂલ્ય આશરે રૂ. 8 લાખ કરોડનું જ છે. તેમનો પ્રાઈસ અર્નિંગ રેશિયો એટલે કે P/E રેશિયો ખૂબ નીચો છે. યુદ્ધ પહેલા પણ આ સ્થિતિ હતી. યુદ્ધ પછી ક્રૂડના ભાવ 42 ટકા વધતા, OMCના શેર 15-20 ટકા ઘટ્યા છે.
શું આ વેલ્યુ સ્ટોક્સ છે કે માત્ર દેખાવ? જવાબ: બંને હોઈ શકે છે—સમય અનુસાર.
આ સમજવા ભૂતકાળમાં થોડીક ડૂબકી મારવી જરૂરી છે. તેમાંય યુદ્ધ કાળની સ્થિતિમાં જઈને એટલે કે 2022ના રશિયા-યુક્રેન યુદ્ધ વખતે સર્જાયેલી પરિસ્થિતિ સાથે તુલના કરી લઈએ.
ઓઈલ કંપનીઓને ઊંચું વેલ્યુએશન કેમ મળતું નથી? કારણ કે ઓઈલ કંપનીઓ ભાવ પર નિયંત્રણ રાખી શકતી નથી. અપસ્ટ્રીમ કંપનીઓ ક્રૂડ ભાવ વધે ત્યારે કમાય છે, પરંતુ ભાવ નિયંત્રિત કરી શકતી નથી. સરકાર windfall tax લગાવી શકે છે. રિફાઇનરી માટે GRM (Gross Refining Margin) મહત્વપૂર્ણ છે—જે આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓની વાત કરીએ તો ઓઈલ માર્કેટિંગ કંપનીઓની મુખ્ય સમસ્યા એ છે કે તેમના પ્રોડક્ટ્સના રિટેલ ભાવ પર સરકાર નિયંત્રણ રાખે છે. પરિણામે તેમની મળતર ઓછું છૂટે છે. તેથી કંપનીઓના નફામાં ભારે અસ્થિરતા આવે છે.
2022-23 સાથે તુલના
2022માં રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન ક્રૂડના ભાવ એક જ અઠવાડિયામાં $97 થી $113 થઈ ગયા હતા. ત્યારબાદ ક્રૂડ ઓઈલના ઊંચામાં ઊંચો ભાવ બેરલદીઠ $138 પર પહોંચ્યો હતો. આ વધારો અંદાજે 14 ટકાની આસપાસનો હતો. વર્તમાન સ્થિતિની એટલે કે ઇઝરાયલ-અમેરિકાએ સાથે મળીને ઇરાન પર આક્રમણ કર્યું તે પછી એટલે કે 1, માર્ચ 2026ના પહેલા અઠવાડિયામાં જ ક્રૂડ ઓઈલના બેરલદીઠ ભાવ $73 થી $93 પર પહોંચી ગયા હતા. આ ક્રૂડના ભાવમાં કુલ વધારો 42 ટકાનો આવી ગયો હતો. ત્યારબાદ ભાવ વધીને બેરલદીઠ 100થી 120 ડૉલરને સ્પર્શી ગયો હતો. હોર્મુઝની ખાડી બંધ થઈ જતાં ક્રૂડના સપ્લાય સામેનું જોખમ 20 ટકા જેટલું વધી ગયું હતું. ત્રીજું, ભારતી રૂપિયો નબળો હોવાથી આયાત વધુ મોંઘી પડવા માંડી હતી.
કંપનીઓની કામગીરી
નાણાંકીય વર્ષ 2022માં ગ્રોસ રિફાઈનરી માર્જિન ઊંચા હતા. તેથી રિફાઈનરીઓને ફાયદો થતો હતો. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ નુકસાન થતું હતું. નાણાંકીય વર્ષ 2023ની વાત કરીએ તો વિન્ડ ફોલ ટેક્સ અને એક્સપોર્ટ ડ્યૂટી બંને લાગી ગયા હતા. રાંધણગેસના વેપારમાં જ વાસ્તવમાં કંપનીઓ થવી જોઈતી આવક કરતાં અંદાજે રૂ. 30,000 કરોડ ઓછા મળ્યા હતા. હિન્દુસ્તાન પેટ્રોલિયમ નુકસાનમાં આવી ગઈ હતી. નાણાંકીય વર્ષ 2024માં ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સારી રિકવરી કરી હતી. તેથી આવક અને નફો વધતાં ઓઈલ માર્કેટિંગ કંપની-OMCઓના શેરમાં તેજી જોવા મળી હતી.
નાણાંકીય વર્ષ 2024-25 અને નાણાંકીય વર્ષ 2025-26માં ફરીથી ગ્રોસ રિફાઈનિંગ માર્જિન- GRM માં ઘટાડો થયો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓને એલપીજી-રાંધણગેસના વેચાણ થકી થવી જોઈતી આવક કરતાં રૂ. 41000 કરોડની આવક ઓછી થઈ હતી. 2025-26ના પહેલા ત્રણ ત્રિમાસિક ગાળા એટલે કે પહેલા નવ મહિના પછી કંપનીઓના ગ્રોસ રિફાઈનિંગ માર્જિનમાં સુધારો જોવા મળ્યો હતો. તે પહેલાના ગાળામાં ગયેલા નુકસાન માટે સરકારે રૂ. 30,000 કરોડના વળતર પેકેજની જાહેરાત કરી હતી.
માર્કેટિંગ કંપનીઓના વેલ્યુએશન સમજ
ઓઈલ સેક્ટરની કંપનીઓના P/E ratio-પ્રાઈસ અર્નિંગ રેશિયો ઘણીવાર ભ્રામક બને છે
તેમના P/B ratio-પ્રાઈસ ટુ બુક રેશિયો વધુ વિશ્વસનીય જણાય છે. ખરાબ વર્ષોમાં P/E ઊંચો અને P/B નીચો રહે છે. તેથી તેના શેર્સની ખરીદી કરવા માટેની તક ઊભી થાય છે. હવે અંતિમ અવલોકન કરીએ તો ઓઈલ સેક્ટર ખૂબ જ અફરાંતફરી વાળું એટલે કે volatile છે. તેમની નિર્ભરતાં સરકારના નિર્ણય અને ક્રૂડ ભાવ પર જ છે. OMCમાં value buying તક હોય શકે છે. પરંતુ તેમાં સરકારનો નિર્ણય બદલાય તો જોખમ પણ ઊંચું થઈ જાય છે.
ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશનના શેરનો ભાવ 19મી માર્ચે રૂ. 143થી 146ની રેન્જમાં બોલાયો હતો. પહેલી માર્ચ પછી તેના શેરનો ભાવ ગગડવા માંડ્યો હતો. આ લખાય છે ત્યાર સુધીમાં બાવન સપ્તાહની નીચી સપાટીએ આવી ગયો છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમના શેરનો ભાવ પણ પહેલી માર્ચ 2026 પછી ગગડીને બાવન અઠવાડિયાની નીચે સપાટીએ આવી ગયો છે. 19મી માર્ચે તેનો ભાવ રૂ.324થી 330ની રેન્જમાં રહ્યો હતો. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના શેરનો ભાવ પણ ખાસ્સો ઘટીને 19મી માર્ચે રૂ. 286-291ની રેન્જમાં આવી ગયો હતો. આ ગાળામાં કાચા માલ એટલે કે ક્રૂડના ભાવનો વધારો તેમને નડી ગયો હતો. તેમના રિફાઈંગ માર્જિન ઘટી ગયા જતાં કંપનીઓના નફા ચવાઈ ગયા હતા. ક્રૂડના ભાવમાં આવતા વધારા પ્રમાણએ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ, ડીઝલ કે પછી રાંધણગેસના ભાવ વધારી શકતી ન હોવાથી આ સ્થિતિ નિર્માણ થાય છે. તેમના પ્રોડક્ટ્સના માર્કેટ ભાવ સરકાર નક્કી કરે છે. તેથી ઓઈલ સેક્ટરની કંપનીઓ તેમના નફા જાળવી શકશે નહિ તેનો અંદાજ શેરહોલ્ડર્સને આવી જાય છે.



