• 11 March, 2026 - 1:29 PM

STTની બાકી રકમ બાર ટકા વ્યાજ સાથે જમા કરાવી દેવા NSEનો આદેશ

જો કોઈ બ્રોકરે વધારાનો STT રોકી રાખ્યો હોય તો તેને દર મહિને 1 ટકા વ્યાજ સાથે તે રકમ NSEને જમા કરાવવી પડશે.

ભારતની અગ્રણી સ્ટોક એક્સચેન્જ National Stock Exchange of India (NSE)એ તેના ટ્રેડિંગ સભ્યો, બ્રોકર અને સબ-બ્રોકરોને રોકાણકારો પાસેથી વસૂલવામાં આવેલી પરંતુ સરકારમાં જમા જ ન કરાવેલી Securities Transaction Tax (STT)ની વધારાની રકમ સરકારને જમા કરાવી દેવા આદેશ કર્યો છે. આવકવેરા ખાતાએ નેશનલ સ્ટોક એક્સચેન્જને સંદેશો મોકલ્યો તે પછી નેશનલ સ્ટોક એક્સચેન્જે તેના સભાસદોને પ્રસ્તુત તાકીદ કરી છે. બજારના મધ્યસ્થીઓએ રોકાણકારો પાસેથી વધુ STT વસૂલ કર્યો હતો પરંતુ તે રકમ સરકારના ખાતામાં જમા કરાવી ન હોવાથી આ તાકીદ કરવામાં આવી છે.

એક્સચેન્જના ફાઈનાન્સ અને એકાઉન્ટ્સ વિભાગે મંગળવારે જારી કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે સભ્યોએ “Excess STT Retained – NSE” શીર્ષક હેઠળ વધારાની વસૂલાતની વિગતો આપવી પડશે. બ્રોકરો અને સબ-બ્રોકરોને સર્ક્યુલર જાહેર થયાના 7 દિવસની અંદર આ માહિતી આપવા અને વધારાની વસૂલાત સાથે વ્યાજ પણ જમા કરવાની સૂચના આપવામાં આવી છે.

સૂચના મુજબ, જો કોઈ બ્રોકરે વધારાનો STT રોકી રાખ્યો હોય તો તેને દર મહિને 1 ટકા વ્યાજ સાથે તે રકમ NSEને જમા કરાવવી પડશે. ત્યારબાદ એક્સચેન્જ આ રકમ સરકારના ખાતામાં ટ્રાન્સફર કરશે. NSEએ તેના સભ્યોને નાણાંકીય વર્ષ 2023–24 અને તે પહેલાંના વર્ષોમાં વસૂલાયેલા વધારાના STTની વિગતો આપવા પણ કહ્યું છે. તેમાં 31 માર્ચ 2023 સુધી બાકી રહેલી રકમનો સમાવેશ થાય છે.

આ તાજેતરની સૂચના પહેલાં પણ NSEએ 19 માર્ચ 2025ના સર્ક્યુલરમાં FY 2022–23 અને અગાઉના વર્ષો માટે વધારાના STT અંગે સભ્યોનું ધ્યાન દોર્યું હતું. તે સમયે પણ કર વિભાગે બજાર ભાગીદારોને ચેતવણી આપી હતી કે રોકાણકારો પાસેથી વસૂલવામાં આવેલી STTની વધારાની રકમ સરકારના ખાતામાં જમા થવી જરૂરી છે.

STT શું છે?

Securities Transaction Tax (STT) એ એવો કર છે જે ભારતમાં માન્ય સ્ટોક એક્સચેન્જ પર ટ્રેડ થતા સિક્યોરિટીઝના ખરીદી-વેચાણ પર વસૂલવામાં આવે છે. ટ્રેડ એક્ઝિક્યુટ કરતી વખતે બ્રોકરો રોકાણકાર પાસેથી STT વસૂલ કરે છે અને ત્યારબાદ તે રકમ એક્સચેન્જની પ્રક્રિયા દ્વારા સરકારને જમા કરવામાં આવે છે. જો આ રકમ જમા ન થાય તો તેનો અર્થ થાય છે કે રોકાણકાર પાસેથી કાપવામાં આવેલો કર સરકારના ખજાનામાં પહોંચ્યો નથી.

બજેટ 2026 પછી STT દરોમાં ફેરફાર

આ નવી કાર્યવાહી નાણાં મંત્રી Nirmala Sitharaman દ્વારા રજૂ કરવામાં આવેલા Union Budget 2026માં STT દરોમાં થયેલા તાજેતરના ફેરફારોના સંદર્ભમાં પણ મહત્વપૂર્ણ બની છે. આ નવા દરો 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે.

  • ફ્યુચર્સ ટ્રાન્ઝેક્શન પર STT: 0.02 ટકાથી વધારીને 05 ટકા કરવામાં આવ્યો છે.
  • ઓપ્શન પ્રીમિયમ પર STT: 0.1 ટકાથી વધારીને 15 ટકા કરવામાં આવ્યો છે.
  • ઓપ્શન એક્સરસાઈઝ પર STT: 0.125 ટકા થી વધારીને 15 ટકા કરવામાં આવ્યો છે.

 

Read Previous

આજે શેરબજારમાં શું કરશો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular