ગલ્ફ સંકટથી ભારતના કૃષિ નિકાસમાં 20 ટકાનું ગાબડું પડી શકે

વિશ્વની વર્તમાન પરિસ્થિતિ નિકાસકારો માટે બજારોમાં વૈવિધ્ય લાવવાની અને એક જ પ્રદેશ પર વધુ નિર્ભરતા ઘટાડવાની જરૂરિયાતને દર્શાવે છે.
ઈરાનમાં લાંબા સમય સુધી ચાલતું યુદ્ધ ભારતના કૃષિ ક્ષેત્ર પર નોંધપાત્ર અસર કરી શકે છે, કારણ કે પશ્ચિમ એશિયા તરફ ભારતના કૃષિ નિકાસ 2025માં 11.8 અબજ ડોલર હતા, જે ભારતના કુલ કૃષિ નિકાસના પાંચમા ભાગથી વધુ છે, એમ સંશોધન સંસ્થા ગ્લોબલ ટ્રેડ એન્ડ રિસર્ચ ઇનિશિયેટિવ-GTRIના રિપોર્ટમાં જણાવાયું છે.
જો યુદ્ધ લાંબા સમય સુધી ચાલશે તો અનાજ (ખાસ કરીને ચોખા), ફળો, શાકભાજી, મસાલા, માંસ, ડેરી ઉત્પાદનો અને પીણાં જેવા ઉત્પાદનો પર અસર થવાની શક્યતા છે. GTRIના સ્થાપક અજય શ્રીવાસ્તવએ જણાવ્યું હતુ કે ઘણા ભારતીય કૃષિ ઉત્પાદનો ગલ્ફ બજારો પર ભારે નિર્ભર છે. તેથી જો અસ્થિરતા ચાલુ રહેશે તો તેનો સીધો અસર ખેડૂતો, ફૂડ પ્રોસેસર્સ અને નિકાસકારો પર પડી શકે છે.
ચોખાના નિકાસ પર સૌથી મોટો જોખમ
2025માં પશ્ચિમ એશિયા તરફ ભારતના ચોખાના નિકાસ 4.43 અબજ ડોલર હતા, જે ભારતના કુલ વૈશ્વિક ચોખા નિકાસના 36.7 ટકા છે. તેને કારણે ગલ્ફ બજારો પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના ઉત્પાદકો માટે ખૂબ મહત્વપૂર્ણ છે.
ખૂબ ઊંચા જોખમવાળા ઉત્પાદનો
ભારતના 70 ટકા કરતાં વધુ નિકાસ પશ્ચિમ એશિયા તરફ જાય છે, તેમાં સામેલ ઉત્પાદનોમાં ઘેટાં અને બકરાનું માંસનો હિસ્સો 98.9 ટકા, તાજું અથવા ઠંડું ગાયનું માંસ 97.4 ટકા, કોપરાં સુકવેલું નાળિયેર 83.9 ટકાનો સમાવેશ થાય છે. બિયરનો હિસ્સો 81 ટકાનો તથા કેળાં અને પ્લાન્ટેશનનો હિસ્સો 79.6 ટકાનો છે. જાયફળ, જાવિત્રી અને એલચી 70.5 ટકા છે. આ અંગેના અહેવાલમાં જણાવ્યા આ ક્ષેત્રોની નિકાસ સામે સૌથી વધુ જોખમ છે કારણ કે તેમની નિકાસમાં ગલ્ફ બજારોનો મોટો હિસ્સો છે.
ઊંચા જોખમવાળા ઉત્પાદનો
આપણે આગળ જાઈ ગયા તેમ જે ઉત્પાદનોમાં 40 થી 60 ટકા નિકાસ પશ્ચિમ એશિયા પર નિર્ભર છે, તેમાં સામેલ ઉત્પાદનોની વાત કરીએ તો તે માખણ અને ડેરી ફેટ 58.1 ટકા, સોફ્ટ ડ્રિન્ક્સ અને નોન-આલ્કોહોલિક પીણાં 55.6 ટકા, નાળિયેર અને પામ કર્નલ તેલ 52.5 ટકા, તૈયાર તમાકુ ઉત્પાદનો 50.9 ટકા, અન્ય તાજા શાકભાજી 50.8 ટકા, ચીઝ અને દહીં 47.8 ટકા, અન્ય તાજા ફળો 44.8 ટકા ચા 44.1 ટકા, સનફ્લાવર, સેફ્લાવર અથવા કપાસબીજ તેલ 42.2 ટકાનો સમાવેસ થાય છે. તેમ જ સિગારેટ, સિગાર અને સિગારિલોસ 40 ટકાનો પણ સમાવેશ થાય છે. મધ્યમ જોખમવાળા ઉત્પાદનોમાં લગભગ 25 થી 33 ટકા નિકાસ પશ્ચિમ એશિયા તરફ જાય છે, તેમાં સામેલ છે. આ ઉત્પાદનોમાં ચોખા 36.7 ટકા, નાળિયેર અને કાજુ 35.8 ટકા, ફ્રોઝન ગાયનું માંસ 28.9 ટકા, પ્રોસેસ્ડ ફળો અને નટ્સ 27.6 ટકા, ડુંગળી, લસણ અને સંબંધિત શાકભાજી 26.9 ટકા, જીરુ અને ધાણા જેવા મસાલા બીજ 23.4 ટકા, આદુ અને હળદર જેવા મસાલા 23 ટકા તથા સુકી દાળ 21.9 ટકાનો સમાવેશ થાય છે.
ઓછા જોખમવાળા ઉત્પાદનોમાં પશ્ચિમ એશિયા પર નિર્ભરતા ઓછી છે. આ ઉત્પાદનોમાં કોફી 17.7 ટકા, બ્રેડ, બિસ્કિટ અને બેકરી ઉત્પાદનો 17.7 ટકા, કાચી તમાકુ 16.9 ટકા, અન્ય ખાદ્ય બનાવટો 16.9 ટકા, ખાંડ 16.4 ટકા, ઝીંગા અને પ્રોન જેવા ક્રસ્ટેશિયન 4.3 ટકાનો સમાવેસ થાય છે.
આ અંગેના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જો હોર્મુઝની ખાડી (Strait of Hormuz) આસપાસ અસ્થિરતા ચાલુ રહેશે તો તેનો પ્રભાવ ભારતના કૃષિ અર્થતંત્ર પર પણ પડી શકે છે. આ પરિસ્થિતિ નિકાસકારો માટે બજારોમાં વૈવિધ્ય લાવવાની અને એક જ પ્રદેશ પર વધુ નિર્ભરતા ઘટાડવાની જરૂરિયાતને દર્શાવે છે.



