• 4 February, 2026 - 7:46 AM

માનવ શરીરને રોગનું ઘર બનાવી રહેલા અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડને જાકારો આપો

અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સ: ભારતના પરંપરાગત આહારને ચૂપચાપ મોટા પ્રમાણમાં રિપ્લેસ કરી ચૂક્યા છે

 અલ્ટ્રા-પ્રોસેસ્ડ આહાર મેટાબોલિક રોગો સાથે સીધો જોડાયેલો છે. તેમાં વધુ ગ્લાઇસેમિક લોડ, મીઠું અને ઉમેરેલી ખાંડ હોય છે, જ્યારે ફાઇબર ઓછું હોય છે.

માનવ શરીરને રોગનું ઘર બનાવવાનું કામ કરી રહેલા અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડઃ પરંપરાગત આહાર તરફ વળવામાં જ શાણપણ છે

માનવ શરીરની તાસીરને પારખીને આહારની સિસ્ટમ ભારતમાં ગોઠવાયેલી છે. ભારતના દરેક પ્રદેશની ખોરાક પદ્ધતિઓ વર્ષોથી દાળ, જાડા અનાજ (મિલેટ્સ), શાકભાજી, મસાલા અને ફર્મેન્ટેડ ખોરાક પર આધારિત રહી છે. આ પરંપરાગત આહાર પદ્ધતિઓમાં પૂરતું ફાઇબર અને શાકાહારી પ્રોટીન મળતું હતું, જે આંતરડાના લાભદાયી બેક્ટેરિયાને સહારો આપતું અને શરીરના મેટાબોલિઝમને સંતુલિત રાખતું હતું. 

પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ સંતુલન ખોરવાયું છે. ભારત ઝડપથી ઘરેલું, છોડ આધારિત ભોજનમાંથી અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સ (UPFs) તરફ વળી રહ્યું છે. UPFs એવા ખોરાક છે જેમાં ભારે પ્રોસેસિંગ, ઍડિટિવ્સ હોય છે અને સંપૂર્ણ ખોરાકનું પ્રમાણ નગણ્ય હોય છે.

આર્થિક ઉદારીકરણ અને છેલ્લા ત્રણ દાયકામાં વધેલી શહેરીકરણની પ્રક્રિયાએ ભારતના ફૂડ એન્વાયરમેન્ટને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. શહેરો અને નગરોમાં સુપરમાર્કેટ, આંતરરાષ્ટ્રીય ફાસ્ટ ફૂડ ચેઇન્સ અને બ્રાન્ડેડ પેકેટ ખોરાક વધતા ગયા છે. તેને કારણે ઘરેલું રસોઈ ઘટી ગઈ છે. તાજાં અનાજ અને સ્થાનિક શાકભાજી આધારિત રસોડાં હવે ઇન્સ્ટન્ટ મિક્સ, રેડી-ટુ-ઈટ કરીઓ અને મીઠાં પીણાં તરફ ઝુકી રહ્યા છે.

આ ફેરફારે ગામ અને શહેર વચ્ચેનો આહાર ગેપ વધાર્યો છે. નાના શહેરોમાં આજે પણ મિલેટ્સ અને ઋતુ પ્રમાણે આહાર ખવાય છે, પરંતુ ટીવી અને મોબાઇલ જાહેરાતો ત્યાં પણ ખોરાકની ઇચ્છાઓ બદલી રહી છે. મિલેટ્સ ઘટી રહ્યા છે અને શુદ્ધ ઘઉં તથા ચોખાનો ઉપયોગ વધી રહ્યો છે. આ દર્શાવે છે કે ભારતીયોની ફૂડ હેબિટ્સમાં એટલે કે આહાર લેવાની પદ્ધતિમાં પરિવર્તન આવી રહ્યું છે.

ભારતીય આહારમાં પરિવર્તન: પરંપરાગત થાળીથી અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સ સુધી

છેલ્લા દસ વર્ષમાં ભારતમાં પ્રોસેસ્ડ ખોરાક પર થતો ખર્ચ લગભગ ત્રણ ગણો થયો છે. પોષક તત્ત્વોથી ભરપૂર વિવિધ પરંપરાગત ખોરાકની જગ્યાએ હવે ઓછી પોષકતા અને વધારે કેલરી ધરાવતા ખોરાક આવી રહ્યા છે.

ન્યુટ્રિશન ટ્રાન્ઝિશન અને સેવન પેટર્ન

ભારત વૈશ્વિક પોષણ પરિવર્તનનું ઉદાહરણ છે, જ્યાં પરંપરાગત ખોરાકને ઔદ્યોગિક રીતે પ્રોસેસ્ડ ખોરાક બદલી રહ્યો છે. આ પરિવર્તન તમામ ઉંમર અને આવક વર્ગોમાં જોવા મળે છે, જોકે અલગ અલગ પ્રદેશમાં તેમાં થોડો ઘણો તફાવત જોવા છે.

દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ જેવા શહેરોમાં પેકેટ નાસ્તા અને બેકરી પ્રોડક્ટ્સ વધુ છે, જ્યારે દક્ષિણ અને ઉત્તરપૂર્વ ભારતમાં હજુ પણ ફર્મેન્ટેડ ભોજન અને મૂળભૂત પરંપરાગત ખોરાક લેવાનું વલણ ટકી રહ્યું છે. બીજીતરફ વધતી આવક અને ફૂડ-ડિલિવરી એપ્સના કારણે આ તફાવત પણ હવે ધીમે ધીમે ઘટી રહ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો તેઓ પણ ફાસ્ટફૂડ તરફ ફંટાવા માંડ્યા છે.

ઘરેલુ ખોરાક ખર્ચના આંકડાઓ દર્શાવે છે કે છેલ્લા દાયકામાં પેકેટ અને કન્વિનિયન્સ ફૂડ પર થતો ખર્ચ ફળ, શાકભાજી અને દાળ કરતાં લગભગ ત્રણગણો વધી ગયો છે. યુવાનો અને વર્કિંગ વર્ગને લક્ષ્ય બનાવીને કરવામાં આવતી માર્કેટિંગ આ પ્રક્રિયાને વધુ વેગ આપે છે.

  • બાળકો અને કિશોરો (10–19 વર્ષ):ખાંડયુક્ત પીણાં, પેકેટ નાસ્તા અને બેકરી વસ્તુઓમાંથી વધુ ઊર્જા મેળવે છે.
  • શહેરી કામકાજ કરતા વયસ્કો (25–45 વર્ષ):ઇન્સ્ટન્ટ ભોજન અને રેડી-ટુ-ઈટ ફૂડ પર આધાર રાખે છે.
  • ગ્રામીણ અને વૃદ્ધ વસ્તી:નાના અને સસ્તા પેકેટ્સ તથા ઑનલાઇન ખરીદીના કારણે UPFs તરફ વળે છે.

આરોગ્ય પર અસર – જીવનભર

અલ્ટ્રા-પ્રોસેસ્ડ આહાર મેટાબોલિક રોગો સાથે સીધો જોડાયેલો છે. તેમાં વધુ ગ્લાઇસેમિક લોડ, મીઠું અને ઉમેરેલી ખાંડ હોય છે, જ્યારે ફાઇબર ઓછું હોય છે. ભારતમાં થયેલા અભ્યાસો દર્શાવે છે કે UPFsના વધતા સેવનથી સ્થૂળતા, ટાઇપ-2 ડાયાબિટીસ, હૃદયરોગ, નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસિઝ (NAFLD) અને વહેલી વયે મેટાબોલિક સિન્ડ્રોમ વધી રહ્યા છે. એશિયન ફીનોટાઇપને કારણે ઓછી BMI હોવા છતાં આંતરિક ચરબી અને ઇન્સુલિન રેસિસ્ટન્સનો જોખમ વધુ છે.

ઉંમર અનુસાર અસર

  • બાળકો (5–14 વર્ષ):વધેલું BMI, ઇન્સુલિન રેસિસ્ટન્સ, દાંતની સમસ્યાઓ
  • યુવાનો (15–30 વર્ષ):વહેલી સ્થૂળતા અને મેટાબોલિક સિન્ડ્રોમ
  • વયસ્કો (30–50 વર્ષ):હાઇ બ્લડપ્રેશર, ફેટી લિવર, વંધ્યત્વ
  • વૃદ્ધો (60+):મીઠું અને પ્રિઝર્વેટિવ્સથી BP અને પાચન સમસ્યાઓ

ઉદ્યોગની રણનીતિ અને રચના

UPFs ફેક્ટરીમાં બને છે અને તેમાં ખૂબ ઓછું સંપૂર્ણ ખોરાક હોય છે. ‘મલ્ટિગ્રેન’, ‘બેક્ડ’, ‘ઝીરો કોલેસ્ટ્રોલ’ જેવા શબ્દો આરોગ્યનો ભ્રમ ઊભો કરે છે. કાર્ટૂન, સેલિબ્રિટી અને બાળકોને લક્ષ્ય બનાવતી જાહેરાતો શરૂઆતથી જ બ્રાન્ડ લોયલ્ટી ઊભી કરે છે.

જાહેર આરોગ્ય અને નીતિ પ્રતિભાવ

ભારતમાં Eat Right India જેવી પહેલો, ફ્રન્ટ-ઓફ-પૅક લેબલિંગ અને શાળા આધારિત પોષણ કાર્યક્રમો શરૂ થયા છે. ચિલી, મેક્સિકો અને UK જેવા દેશોના અનુભવ દર્શાવે છે કે ચેતવણી લેબલ અને શુગર ટેક્સ અસરકારક છે.

આર્થિક અને કૃષિ અસર

UPFs વધવાથી NCDs-ચેપી ન હોય તેવા રોગની સારવાર પાછળનો ખર્ચ વધી રહ્યો છે. એકપાક ખેતી, રિફાઇન્ડ ઘઉં અને પામ તેલ પર આધાર વધે છે, જે બાયોડાયવર્સિટી માટે હાનિકારક છે. રાગી, બાજરી, જ્વાર જેવા મિલેટ્સ પ્રોત્સાહિત કરવાથી પોષણ, ટકાઉપણું અને ખેડૂતોને લાભ મળશે.

સાંસ્કૃતિક અને વર્તણૂક સંબંધિત અસર

પરંપરાગત રસોઈ માત્ર પોષણ નહીં પરંતુ સંસ્કૃતિ સાથે સંકળાયેલી હતી. પરંપરાગત રસોઈનેજ  સંસ્કૃતિ કહી દેવામાં કંઈ જ ખોટું નથી. પેકેટ ખોરાક આ ઓળખને ખતરો પહોંચાડે છે. સમુદાય રસોઈ, શાળા બગીચા અને સ્થાનિક વાનગીઓના પ્રચારથી ફરી ગૌરવ ઊભું કરી શકાય છે. UPFs સુવિધાજનક છે પરંતુ આરોગ્ય, પર્યાવરણ અને પરંપરાગત જ્ઞાન માટે હાનિકારક છે. આ સમસ્યા હલ કરવા માટે સારી લેબલિંગ, સ્થાનિક પાકોને પ્રોત્સાહન અને વ્યાપક પોષણ શિક્ષણ જરૂરી છે.

 

Read Previous

ચાંદીના આજે તૂટી રહેલા ભાવના કારણો શું છે? શું ખોટું થયું?

Read Next

વીમા કંપની છુપી શરતો રાખીને ક્લેઈમ રિજેક્ટ ન કરી શકે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular