રાંધણગેસની અછત વચ્ચે દરેક રસોડામાં પીએનજી કેમ પહોંચતો નથી?

પશ્ચિમ એશિયામાં ઊભેલા તણાવ અને લિક્વિડ પેટ્રોલિયમ ગેસના પુરવઠામાં આવેલા અવરોધને કારણે સરકારે લોકોને પીએનજી અથવા ઈલેક્ટ્રિક ચુલા તરફ વળવા માટે અપીલ કરવામાં આવી રહી છે.
ભારતમાં છેલ્લા લગભગ બે દાયકાથી PNG (પાઈપના માધ્યમથી ઘરના રસોડા સુધી કુદરતી ગેસ-નેચરલ ગેસ) પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, છતાં આજ સુધી માત્ર આશરે 1.6 કરોડ (16 મિલિયન) ઘર સુધી જ PNG પહોંચ્યું છે. બીજી તરફ, હજુ પણ 33 કરોડથી વધુ ઘરો રસોઈ માટે રાંધણગેસના સિલિન્ડર પર નિર્ભર છે.
હાલમાં પશ્ચિમ એશિયામાં ઊભેલા તણાવ અને લિક્વિડ પેટ્રોલિયમ ગેસના પુરવઠામાં આવેલા અવરોધને કારણે સરકારે લોકોને પીએનજી અથવા ઈલેક્ટ્રિક ચુલા તરફ વળવા માટે અપીલ કરવામાં આવી રહી છે. બીજીતરફ સોશિયલ મિડીયામાં પાણીમાંથી હાઈડ્રોજન છૂટો પાડીને અડધા લિટર પાણીમાં છ મહિના સુધી ગેસ ચાલી શકે તેવા વિડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. આ વિડીયોની ઓથેન્ટિસીટી અંગે સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવે તો લોકો છેતરાતા અટકી શકે છે. બીજું, તેમાં તથ્ય હોય તો તેને પ્રમોટ કરીને લોકોને તેના તરફ વાળવાનો પણ પ્રયાસ કરવો જોઈએ.
હવે સવાલ એ થાય છે કે પાઈપ્ટ નેચરલ ગેસ ભારત અને ગુજરાતના દરેક ઘર સુધી કેમ પહોંચી શકતો નથી? તેના કારણોમાં ઊંડા ઉતરીએ. એક, પાઈપ્ટ નેચરલ ગેસને ઘર ઘર સુધી પહોંચાડવા માટે પાઈપ લાઈનનું માળખું હજી તૈયાર થયું નથી. PNG માટે વિશાળ પાઈપલાઈન નેટવર્ક જરૂરી છે. ગામડાં અને દૂરના વિસ્તારોમાં આ નેટવર્ક બનાવવું ખૂબ ખર્ચાળ અને મુશ્કેલ છે.
બે, અંતરિયાળ વિસ્તારમાં પાઈપ લાઈનથી જોડાણ આપવું મુશ્કેલ છે. શહેરોમાં પણ દરેક ઘર સુધી ગેસ લાઇન પહોંચાડવી સરળ નથી. તેને માટે રોડ ખોદકામ, મંજૂરી અને ટેક્નિકલ સમસ્યાઓ મોટી અડચણ બને છે. ત્રણ, ગેસના અસમાન વિસ્તરણની સમસ્યા પણ નડી રહી છે.
કેટલાક શહેરોમાં પીએનજી ઉપલબ્ધ છે, જ્યારે ઘણા વિસ્તારોમાં હજુ સુધી તેનો વિકાસ થયો જ નથી.
ચાર, પ્રારંભિક ઇન્સ્ટોલેશન ખર્ચ ઊંચો આવે છે. તેને માટે રૂ. 5000થી માંડીને રૂ. 10,000 માગવામાં આવી રહ્યા છે. આમ ઘરમાં પીએનજી કનેક્શન માટે પ્રારંભિક ખર્ચ ઊંચો હોવાથી લોકો રાંધણગેસના બાટલા લેવાનું જ વધુ પસંદ કરે છે. પાંચ, ગેસ સપ્લાય અને ઉપલબ્ધતા મુદ્દાનો મુદ્દો પણ છે. ભલે કાગળ પર ગેસ ઉપલબ્ધ હોવાનું લાગે છે, પરંતુ સસ્તું અને સતત સપ્લાય સુનિશ્ચિત કરવો તે મોટા પડકારરૂપ છે. છ, ઉદ્યોગોને પ્રાથમિકતા એટલે કે અગ્રક્રમ આપવામાં આવી રહ્યો છે. ઘણાં કિસ્સામાં ગેસનો પુરવઠો પહેલા ઉદ્યોગોને આપવામાં આવે છે, જેના કારણે ઘરેલુ વપરાશ પાછળ રહી જાય છે.
પીએનજી કેમ જરૂરી છે?
પીએનજી સતત સપ્લાય આપે છે. તેમાં સિલિન્ડર બદલવા માટે ફોન કરવાની અને સિલિન્ડર મળવાની રાહ જોવાની સમસ્યા નડતી નથી. તેથી પીએનજી લાંબા ગાળે સસ્તો પડે છે. પીએનજી વધુ સલામત અને પર્યાવરણમિત્ર છે, એટલે કે પર્યાવરણને ઓછું ખરાબ કરે છે
છતાં LPG કેમ ચાલુ રહેશે?
તેમ છતાં એલપીજી-લિક્વિડ પેટ્રોલિયમ ગેસનો વપરાશ ચાલુ જ રહેશે, કારણ કે ભારતના ઘણા ગામડાંમાં પાઈપલાઈન શક્ય નથી. ગામડાંમાં નેટવર્ક નેટવર્ક બનાવવા માટે દાયકાઓ લાગી શકે છે. તેમ જ એલપીજી હજુ પણ સરળ અને ઝડપથી ઉપલબ્ધ વિકલ્પ છે. ગામડાંઓમાં પાઈપ લાઈનનું નેટવર્ક શહેરની કંપનીઓ બનાવે તેના કરતાં ગામડાંની શેરીના લોકો કે એક જ ગામના લોકો પોતાની રીતે વસતિ પ્રમાણે ગોબર ગેસ પ્લાન્ટ નાખીને તેના ગેસનો રાંધણગેસ તરીકે ઉપયોગ કરી શકે છે. તેનાથી ગોબરનો ખાતર તરીકે ઉપયોગ કરતાં પહેલા ગેસ અલગ પાડી શકાશે. તદુપરાંત તે ગોબરનો પાઉડર અને લિક્વિડ પ્યૂરી ખેતરની જમીનને ફળદ્રુપ બનાવવા માટે વાપરી શકાશે. રાસાયણિક ખાતર પરની નિર્ભરતા અટકશે. લોકો સહજ રીતે પ્રાકૃતિક ખેતી તરફ વળતા થશે.
આમ સરકાર પીએનજી તરફ જવા પ્રોત્સાહન આપી રહી છે, પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ખર્ચ અને પહોંચની સમસ્યાઓને કારણે પીએનજી હજુ દરેક રસોડામાં પહોંચે તે શક્ય જણાતું નથી. પરિણામે વર્તમાન સ્થિતિમાં લિક્વિડ પેટ્રોલિયમ ગેસ જ રસોઈ બનાવવા માટેના મુખ્ય ઈંધણ તરીકે ચાલુ રહેશે.



