વ્યાજના બદલે ડિબેન્ચર કે બોન્ડ ઈશ્યુ કરનારાઓ સાવધાન!

જો કોઈ કરદાતાએ નાણાંકીય સંસ્થા પાસેથી લીધેલી રકમ પર વ્યાજની એક્ચુઅલ ચૂકવણી ન કરી હોય અને તેના બદલે ડિબેન્ચર કે બોન્ડ ઈશ્યુ કર્યા હોય તો હવેથી તેમને આ રકમ ખર્ચ તરીકે રિટર્નમાંથી બાદ મળશે નહિ. બજેટ 2022માં નાણાંમંત્રીએ કલમ 43 (બી)માં આ ફેરફાર જાહેર કર્યો છે. કોઈ ફાયનાન્શિયલ ઈન્સ્ટિટ્યુશન, કો ઓપરેટિવ બેન્ક કે પછી શિડ્યુલ બેન્કને ચૂકવવા પાત્ર વ્યાજની બદલીમાં બોન્ડ કે ડિબેન્ચર ઈશ્યુ કરાયા હશે, અને એ નાણાં ભવિષ્યમાં ચૂકવી દેવાની બાંયધરી આપવામાં આવી હશે તો એ રકમ રિટર્નમાં ખર્ચ તરીકે બાદ નહિ મળે.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શિવકુમાર ચેચાણીનું માનવું છે કે સરકારે બોન્ડ અને ડિબેન્ચર ઉપરાંત ઈક્વિટી શેર્સ, કમ્પલસરી કન્વર્ટિબલ પ્રેફરન્સ શેરનો પણ સમાવેશ કરવો જોઈતો હતો. અત્યારની જોગવાઈ મુજબ વ્યાજ સામે શેર્સ કે પ્રેફરન્સ શેર્સ આપ્યા હશે તો તે ખર્ચમાંથી બાદ મળી શકશે.