સ્વાતંત્ર્ય સેનાની અને સાહિત્યકાર પ્રોફેસર ગોવિન્દભાઈનો એક ટૂંકો પરિચય
27મી જુલાઈ 1921ના ગુજરાતમાં બિલીમોરા નજીક આવેલા ગણદેવી તાલુકાના વડસાંગળ ગામમાં તેમનો જન્મ થયો. ભણવામાં પહેલેથી જ હોંશિયાર. સ્કૂલ પૂરી કરી. પિતા સુખાભાઈને કહ્યું. આગળ ભણવા જવું છે. સ્કૂલ શિક્ષક તરીકે માત્ર રૂ. 20નો પગાર ધરાવતા સુખાભાઈએ કહ્યું. ગોવિન્દ મારી પાસે તને શહેરમાં મોકલીને ભણાવવાના પૈસા નથી. ખુમારી અને આત્મવિશ્વાસથી છલકાતા ગોવિન્દે કહ્યું. હું મારો રસ્તો કરી લઈશ અને ભણવા વડોદરા પહોંચ્યો. જોમવંતો અને તરવરિયો યુવાન ગોવિન્દ નીકળ્યા હતો ભણવા. પંરતું જંપલાવી દીધું સ્વતંત્રતાના સંગ્રામમાં. આમ બાલ્યાવસ્થાનો ગોવિન્દ યુવાનીમાં સ્વાતંત્ર્ય સેનાની બન્યો. શહીદ ભગત સિંહ, મહાત્મા ગાંધી, સરદાર પટેલ, લોકમાન્ય તિલક, દાદાસાહેબ નવરોજી સહિતના નેતાઓ અંગે વાંચેલી અને સાંભળેલી ઘટનાઓથી પ્રભાવિત થયેલા. માત્ર શાંત દેખાવો કરવાથી દેશ આઝાદ નહિ થાય. તેમ ગોવિન્દ માનતો હતો. 1942ની ક્વિટ ઇન્ડિયાની મુવમેન્ટનો હિસ્સો બનેલા ગોવિન્દે સ્વંત્રતાની લડતમાં આપેલા ટચુકડાં ફાળી નોંધ ડૉ. જયેશકુમાર ર. શુક્લ સંપાદિત ગુજરાતના સ્વાતંત્ર સૈનિકો (માહિતીકોશ) નામના પુસ્તકના 262માં પેજ પર નોંધ લેવામાં આવી છે. આ નોંધ નીચે મુજબ છેઃ “1940માં મેટ્રિક થયા. 1942માં સ્વતંત્રતા માટેની ચળવળમાં જોડાવા વડોદરા કૉલેજ છોડી. ગણદેવી હાઈસ્કૂલમાં પર પિકેટિંગ. બે ત્રણવાર પકડીને છોડી મૂક્યા. ભૂગર્ભ કાર્યક્રમમાં સક્રિય. સરકારી ચોરા બાળવા, રેલવે લાઈનમાં ભંગાણ પાડવાં, તારો કાપવા વગેરે પ્રવૃત્તિમાં ભાગ. સરકારી દફ્તર બાળીને જતા ધરપકડ. ગણદેવી તાલુકાની કાચી જેલમાં, ત્યારબાદ નવસારી સબજેલમાં છ મહિના રાખ્યા. બાદ સખત જેલની સજા સાબરમતી જેલમાં ભોગવી. અભ્યાસ શરૂ કરી એમ.એ. થયા. ખાલસા કૉલેજમાં પ્રાધ્યાપક. સાહિત્યકાર.”
માતા નંદીબેન અને પિતા સુખાભાઈએ માની લીધું કે તેમનો પુત્ર ક્યાંક ગુમ થઈ ગયો. પંદર મહિના બાદ એક દિવસ અચાનક પ્રકટ થયા. પિતાએ પૂછ્યું. ગોવિન્દ ક્યાં હતો. બસ, સ્વંત્રતતાની લડતમાં જોડાયો હતો અને પોલીસને હાથે ઝડપાઈ ગયો. પંદર મહિના પછી છૂટયો. પિતાએ માત્ર એટલું જ કહ્યું. ગોવિન્દ કહીને તો જવું હતું. પિતા સામે પુત્રએ મૌન ધારણ કરી લીધું.
ત્યારબાદ ભણવા માટે ગોવિન્દે પકડી મુંબઈની વાટ. થાણેની સ્કૂલમાં શિક્ષક તરીકેની નોકરી મળી. થાણેની તળાવપાળી નજીક આવેલી સ્કૂલના સંચાલક માણેકભાઈ (સ્કૂલનું નામ મળે તો મેળવવું, તેમના પરિવારની લગભગ ગીતા માણેક નામની છોકરી પત્રકારત્વમાં આવેલી છે. કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્ને પરણેલી છે.મુંબઈમાં જ ક્યાંક હશે. ચેતન શોધી શકે છે.) અટક ધારી વ્યક્તિ હતા. માત્ર રૂ. 60નો પગાર. સ્કૂલમાં જ એક ખાલી ઓરડો રહેવા આપ્યો. મુંબઈના માટુંગાની ખાલસા કૉલેજમાં ભણવાનું ચાલુ કર્યું. સવારે કૉલેજ. બપોર પછી સ્કૂલ ટીચર. કૉલજથી પાછા ફરતાં મોડું થઈ જાય તો લોજ બંધ થઈ જાય અને ભૂખ્યા રહેવું પડે. કૉલેજથી છૂટ્યા પછી સીધી લૉજમાં પહોંચવા દોટ મૂકે. ટ્રેન થાણે પહોંચે તે પછી લોજ બંધ થઈ જશે તેવા ભયથી કેટલીકવાર હાંફળાફાંફળા થઈ દોડવું પણ પડે. લોજ બંધ થઈ જાય તો ભૂખ્યા જ દિવસ કાઢવો પડે. આમ પહેલા બી.એ. થયા.
ત્યારબાદ એમ.એ.માં એડમિશન લીધું. ગુજરાતના જાણીતા સાહિત્યકાર અને દ્વિરેફના નામથી વાર્તાઓ લખતા રામનારાયણ પાઠકના વિદ્યાર્થી તરીકે એમ.એ. કર્યું. એમ.એ.માં ફર્સ્ટ ક્લાસ મેળવવાના ખ્વાહિશ હતી. પરંતું શીતળાનો વાવર આવ્યો. શીતળાની રસી મૂકાવવા ગયા. સરકારી અધકારીએ ના પાડતા કહ્યું કે તમને રસીની જરૂર નથી. કુદરતની લીલા તો જુઓ. અધિકારીએ રસી ન આપી અને ગોવિન્દભાઈ શીતળાનો શિકાર બન્યા. એમ.એ. પાર્ટ ટુની એક્ઝામ પહેલા પહેલા જ શીતળા નીકળ્યા. શરીર આખામાં બળતરા થાય. ચેન પડે નહિ. પરંતુ એમ.એ.માં ફર્સ્ટ ક્લાસ મેળવવાની ખ્વાહિશ મજબૂત જ હતી. ઢોરને પાણી પાવાના હવાડામાં બેસીને ચોપડી ઉપર રાખીને વાચ્યું. શીતળાની બીમારી વચ્ચે જ પરીક્ષા આપી. પરીક્ષાના છેલ્લા દિવસે તેમના ગામના જ અને બોરીવલીમાં ક્યાંક રહેતા ડાહ્યાભાઈએ તેમને ટ્રેનમાં બેસાડ્યા. ટ્રેનના સાથી મુસાફરોને કહ્યું કે ભાઈ માંદાં છે. બિલીમોરા ઉતારી દેજો. ટ્રેનમાં બેસાડતા પહેલા ગોવિન્દના ઘરે તાર કરી દીધો હતો. માંદો છે. ટ્રેનમાં બેસાડી રહ્યો છું. લેવા જજો. તેને લેવા આવેલા ગામના લોકોએ ટ્રેનમાંથી બેહોશ અવસ્થામાં બિલીમોરા ઉતારી લીધો. હોંશ આવે અને સાજા થાય ત્યારે ખબર પડી કે તેમના ચહેરા પર શીતળાના ચાઠાં પડી ગયા. જે વ્યક્તિને પોતાના ચહેરાની સુન્દરતાનું ગૌરવ હતું તે જ વ્યક્તિને લાગ્યું કે કુદરતી તેનો ચહેરો કુરૂપ બનાવી દીધો. આ વાતનો તેમને આજીવન વસવસો રહ્યો. જોકે વિપરિત સ્થિતિમાં પણ તેણે એમ.એ. પાસ કર્યું. પરંતુ ફર્સ્ટક્લાસમાં નહિ, 58 ટકા સાથે સેકન્ડ ક્લાસમાં.
ત્યારબાદ 1948માં ગોવિન્દભાઈને માટુંગાની ખાલસા કૉલેજમાં જ ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે રૂ. 120ના પગારથી નોકરી મળી. નિવૃત્તિ ટાણે પ્રોફેસર ગોવિન્દભાઈ મુંબઈમાં માટુંગાની ખાલસા કૉલેજના ગુજરાતી વિભાગના વડા હતા. મહિલા પ્રોફેસર પ્રતિભા વ્યાસ તેમના સહકર્મચારી હતા. તેમના વિદ્યાર્થીઓમાં જન્મભૂમિના તંત્રી રહી ચૂકેલા હરીન્દ્ર દવેનો પણ સમાવેશ થાય છે. 1948થી 1981ના જુલાઈ સુધી 33 વર્ષ નિષ્ઠાપૂર્વક નોકરી કરી. કે.કા. શાસ્ત્રી, સિતાંશુ યશચંદ્ર સાથે અન્ય ગુજરાતની યુનિવર્સટિઓમાં પરીક્ષક તરીકે સેવાઓ પણ આપી હતી. તેમની પેઢીના પ્રોફેસર કે પ્રાધ્યાપકોમાં રમણલાલ ચી. શાહ, ભૂપેન્દ્ર ઉપાધ્યાય, કલાબેન શાહ, કિશોરીબેન જરીવાલા, દિનેશ ભટ્ટ, કાન્તાબેન ભટ્ટ, રમણલાલ વોરા, મનસુખલાલ ઝવેરી, યશવંત ત્રિવેદી સહિતના અનેક ધૂરંધર પ્રોફેસર્સ હતા.
ગોવિન્દભાઈ નિષ્ઠાવાન પ્રોફેસર તરીકે પંકાયા. ખાલસા કૉલેજની લાઈબ્રેરીમાં ગુજરાતીના પ્રોફેસર તરીકે 33 વર્ષમાં વસાવેલા તમામ પુસ્તકો ગોવિન્દભાઈએ વાંચ્યા હતા. તેમનો મહાભારતનો અભ્યાસ ખૂબ જ ઊંડો હતો. તેથી જ ઉપેન્દ્ર સાંડેસરા જેવા ધૂરંધર સર્જક-વિચારક અને ગોવિન્દભાઈ વચ્ચે મુંબઈ સમાચારના પાનાંઓમાં ‘ભીષ્મ પરણ્યા હતા કે નહિ’ તે વિષય ચર્ચાયુદ્ધ થયું હતું. આ ચર્ચા બહુ જ લાંબી ચાલી હતી. મુંબઈ સમાચારના પૃષ્ઠોમાં આજેય એ ચર્ચા ક્યાંક સચવાયેલી પડી હશે. સંભવતઃ મુંબઈ સમાચારના તંત્રી તરીકે જેહાન દારૂવાલા હતા તે કાર્યકાળમાં આ ચર્ચાયુદ્ધ ચાલ્યું હતું.
સાહિત્યકાર પ્રોફેસર ગોવિન્દભાઈ
પ્રોફેસર ગોવિન્દભાઈ વાંચનની સાથે સાહિત્ય સર્જન પણ કર્યું. ગુજરાતી સાહિત્યમાં તેમના વિશેષ પ્રદાનની વાત કરીએ તો તેમણે પદ્યગલ્પનું સાહિત્ય સ્વરૂપનુ સર્જન કર્યું હતું. પદ્યગલ્પમાં તેમની ત્રણ કૃતિમાં પણ, રત્ન અને ધનનો સમાવેશ થાય છે. પદ્યગલ્પ એ ગુજરાતી સાહિત્યને ગોવિન્દભાઈએ આપેલી દેન છે. પદ્યગલ્પ (છંદબદ્ધ કવિતાના સ્વરૂપમાં વાર્તા)ના સ્વરૂપમાં દરેક વાક્ય જુદાં જુદાં છંદમાં કે છંદોબદ્ધ હોવા છતાં તે વાર્તાના સ્વરૂપમાં વાંચી શકાતા હતા. હા, તેમનો છંદોનો અભ્યાસ અદ્વિતિય હતો. રામનારાણય પાઠકના છંદના ગ્રંથના ખાસ્સા છંદો તેમને મોઢે હતા.
પ્રોફેસર ગોવિન્દભાઈએ પદ્યરૂપકોનું સર્જન પણ કર્યું હતું. બાળગીતોમાં કલગીત અને થનગનતા મોરલા, વંદન હે ગુજરાત, ચાલો ગૌરવ કરીએ અને દાડમની કળી જેવા પુસ્તકો ગુજરાતી સાહિત્યને આપ્યા છે. બાળ, કિશોર અને કુમાર કાવ્યોના સવારની શોભા, નાળિયેરીનું વન, ગણદેવતાની ગાય, સરોવરની પાળે, દેવીમાંની દેરી, જયગાન, કહેવતગીત, ઝાકળનાં મોતી, અષાઢી હેલ, નીલમની ક્યારી, આનંદના દીવા, ભમ્મરડે રમતી ભૂગોળ, પારેવાં ચણતા જુવાર અને જીવન તો સૂર્યમુખીનું ફૂલનો સમાવેશ થાય છે. દેશપ્રેમના ગીતોના બે પુસ્તકો જય જય ધરતી મારી અને રણગીતની પ્રોફેસર ગોવિન્દભાઈએ રચના કરી હતી. પ્રોફેસર ગોવિન્દભાઈએ ગોવિન્દ ગીતની પણ રચના કરી છે. તેમના ગોવિન્દ ગીતના સંગ્રહોમાં ગોકુળના ગોંદરે, કદંબની ડાળ, પીતાંબરી, વહાણું વાયુ, રેલી રોહિણી, ઝાંઝર આલ, કુંજગલી, વહાલનું વ્રજ, માધવ! વેણુ લ્યોની રચના કરેલી છે. તેમણે સૂક્તોની પણ રચના કરેલી છે. તેમના સૂક્ત સંગ્રહમાં અભિનવ, પંચમ અને સંપુટનો સમાવેશ થાય છે. પ્રગટ થયેલા સૂક્ત સંગ્રહોમાં સંપ્રસાદ અને વિપાશાનો સમાવેશ થાય છે.
તેમણે પદ્યરૂપકો પણ ગુજરાતી સાહિત્યને આપ્યા છે. તેમના પદ્યરૂપકોમાં ભીષ્મ, અંબા, ગુરૂ, સભા, દ્રષ્ટા, ગંગા, શાંતનુંના નામે પદ્યરૂપક માળાના મણકાઓનો સમાવેશ થાય છે. આ પદ્યરૂપકોને ભીષ્મની રૂપક માળા તરીકે પણ ઓળખાવવામાં આવે છે. અન્ય પદ્યરૂપકોમાં વાલ્મિકી, શર્મિષ્ઠા, વસુદેવ, દેવી, શિશુપાળ, વૈદેહી, રામભદ્ર, કીચક, મહર્ષિ વ્યાસ, પિંગલા, શ્રીગોવિન્દ, ચિંતામણીનો સમાવેશ થાય છે.
તદુપરાંત માત્ર 14 પંક્તિના સોનેટ પર પ્રોફેસર ગોવિન્દભાઈની હથોટી સારી હતી. સ્મૃતિ મંગલ, આત્માની કલા, ભદ્રભારતી, મંગલસૂક્ત તેમની સોનેટ માળાના મણકા છે. આ સોનેટમાળા પ્રગટ થયેલી છે. તેમના અપ્રગટ સોનેટના પુસ્તકોમાં કૃષ્ણ ભારતી, ચેતન ભારતી અને લવંગલતાનો સમાવેશ થાય છે. તેમના પ્રગટ થયેલા કાવ્યસંગ્રહોમાં પિપાસા, જીવનવર્ષા, કાવેરીનો સમાવેશ થાય છે. અપ્રગટ કાવ્ય સંગ્રહોમાં પારાવાર, ભૂમા, શ્રીલોક, ગરીયસીનો સમાવેશ થાય છે. તેમની અન્ય કાવ્ય રચનાઓમાં અંકિતા, શુક્લા, દિવ્યા, પુષ્પિતા અને ઋતંભરાનો સમાવેશ થાય છે. હા, તેમણે કથાનકો પણ લખ્યા છે. તેમના કથાનકોમાં, કન્યા પ્રગટ થઈ ચૂકી છે. રેખા, લાવણ્ય, તારુણ્ય, ગઝલ, સનમ અને પ્રેમગીત અપ્રગટ સંગ્રહ છે.
તેમની કરુણ પ્રશસ્તિમાં પિતૃવંદના, ઇશ્વરસ્મૃતિ અને છ માસની બાળકી મનીષાના અકાળ અવસાનની વ્યથા વ્યક્ત કરતી સદગત મનીષા નામની કૃતિનો સમાવેશ થાય છે.
એક જમાનો હતો કવિતા એટલે છંદોબદ્ધ રચનાનો. છંદ વિના કવિતાની રચના કરવાનો વિચાર સુદ્ધાં કરાતો નહોતો. ત્યારબાદ મુક્ત કવિતાનો યુગ આવ્યો. પ્રોફેસર ગોવિન્દભાઈએ મુક્ત કવિતા પર પણ હાથ અજમાવ્યો. તેમના મુક્ત કવિતાના બે પુસ્તકો છે ડૉલર ડેઝ અને સ્ટર્લિંગ હાઈટ્સ. તેમની મુક્ત કવિતાના અપ્રગટ પુસ્તકોમાં ભૂમધ્ય, નૈઋત્ય, લયવિરામ, પરાયતન, પ્રશ્નાર્થ, દ્રષ્ટાંત, યથાર્થ અને કર્મણ્યનો સમાવેશ થાય છે.
પૌરાણિક ઘટનાઓ આધારિત સંગીતિકા પર પણ તેમણે કલમ ચલાવી છે. આ સંગીતિકાઓમાં ગંધર્વનગરી, વેણી વલ્લભ, રૂપિણી, ગંગા-જમના, પ્રણયના રંગ, ભવનાં ભવન, ચંદનબાળા, પ્રેમ કથા, સ્વયંભૂનો સમાવેશ થાય છે. તેમની એક અન્ય સંગીતિકા કન્યાકુમારી પણ છે. સત્તરાક્ષરી, ‘જાપાનની માધુરી, ભારતે ઝરી’એ એક હાઈકુનો પ્રકાર છે. પ્રોફેસર ગોવિન્દભાઈએ હાઇકુ પર પણ હાથ અજમાવ્યો હતો. નીલધારા તેમના હાઈકુનું એક અપ્રગટ પુસ્તક છે.
વાર્તા અને નવલકથાની રચના પણ પ્રોફેસર ગોવિન્દભાઈએ કરેલી છે. તેમના પ્રગટ વાર્તાસંગ્રહોમાં ત્રિભંગ, અરુણાચલ, દીપ અને દિલ, અંતરનાદનો સમાવેશ થાય છે. તેમના વાર્તાસંગ્રહોમાં ગૃહિતાગમા, હેમશકુંત, વિરામચિહ્ન, નમેલી, જર-જમીન ને જોરુ, અધૂરો અધ્યાય, ચારુ શીલા તેમના વાર્તા સંગ્રહો છે. મારી ભૂલ ન થતી હોય તો ચારુ શીલા કૃતિને ગુજરાત સમાચારની સ્પર્ધામાં વિજેતા સાહિત્ય કૃતિ તરીકે ઇનામને પાત્ર ઠરી હતી. પ્રોફેસર ગોવિન્દભાઈએ નવલકથાઓ પણ લખી છે. તેમની પ્રગટ નવલકથાઓમાં જનતા જનાર્દનનો સમાવેશ થાય છે. જ્યારે પ્રેમપરબ્રહ્મ છે તે સુરતના અખબારમાં છપાઈ ચૂકી છે. દંડકવન હજીય હસ્તપ્રતના સ્વરૂપમાં જ છે.
પ્રોફેસર ગોવિન્દભાઈએ કૉલેજના દરેક વેકેશન બાળકો અને પત્નીને મૂકીને દેશ અને દુનિયાના જુદાં જુદાં સ્થળોનો પ્રવાસ કરેલો છે. હા, તેમનો પ્રવાસ એટલે અલગારી પ્રવાસ. પ્લેટફોર્મ પર જગ્યા મળે તો ત્યાં પણ સૂઈ જઈને આરામથી રાત કાઢી નાખતા. આ પ્રવાસને તેમણે ખરેખર માણ્યા છે. અનુભવ્યા છે. આ પ્રવાસના અનુભવો અને તાજગીને તેમણે કલમથી કંડાર્યા પણ છે. તેમના હિમાલય પ્રવાસ વર્ણનોમાં ભુમિને ચૂમી નામના પુસ્તકનો સમાવેશ થાય છે. જે હજી અપ્રગટ છે.
કવિ કલાપીને કારણે લોકપ્રિય બનેલા ખંડકાવ્યો પર પણ પ્રોફેસર ગોવિન્દભાઈએ હાથ અજમાવેલો છે. તેમના ખંડ કાવ્યોમાં કૌતુક, અહો!, ઐશ્વર્ય અને દેહલીદીપનો સમાવેશ થાય છે. તેમણે ષોડશીની શ્રેણી તરીકે સ્વસ્તિ, પ્રશસ્તિ, કલ્પલતા, પ્રિયંવદાની રચના કરેલી છે.
હા, હજી એક વાત કરવી છે. હું-વિવેક સાહિત્યનો વિદ્યાર્થી છું. છતાંય જોડણીમાં પિતાની તોલે આવી શકું તેમ છું જ નહિ. છંદનું મને લેશમાત્ર જ્ઞાન કે છંદની લેશમાત્ર સમજણ નથી. તેમના પુત્રો શ્રીકાંત, આશિષ, પ્રસાદ વિવેક કે પછી ચેતનને તેમની છંદબદ્ધ કૃતિઓનું પ્રુફ રીડિંગ કરતાં આવડતું નથી. તેમ જ તેનું કરવાની ક્ષમતા ધરાવતા પ્રુફ રીડરો મળતાં નથી. તેથી તેમની હસ્તપ્રતો સ્કેન કરીને સ્કેન કોપીઓને જ વેબસાઈટ પર ચઢાવી દેવાનો નિર્ણય કર્યો છે. સાહિત્ય રસિકોને કદાચ તે ગમશે. હા, તેમની ત્રણ કાવ્ય પંક્તિ છે. આ કાવ્ય પંક્તિ આજે મને યાદ નથી. તેમની હસ્તપ્રતોમાં ક્યાં પડી છે તેની ખબર નથી. ત્રણ પંક્તિઓનો ભાવ કંઈક આવો છે. ક્યારેક કોઈ કાળમાં આ જગતના કોઈ રસિક સાહિત્યજનની મારી સાહિત્યકૃતિઓ પર નજર પડશે. ત્યારે તેને અને તેના થકી સાહિત્યના અન્ય રસિકોને મારા સાહિત્યની કદર થશે. શબ્દાંકન વિવેક મહેતાએ કર્યું છે. સહયોગ શ્રીકાંત, આશિષ, પ્રસાદ અને ચેતન મહેતા તરફથી મળ્યો છે. અમે સહુએ આ રીતે પિતૃતર્પણ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. અમારા સહુનો આ પ્રયાસ કદાચ પિતૃતર્પણનો એક નમ્ર પ્રયાસ બની રહેશે તેવી આશા અને અપેક્ષા છે.



