નિકાસ અને આયાતના વેપારમાં રૂપિયાના મૂલ્યમાં બિલ બનાવી વેપાર થાય છે

- એપ્રિલથી નવેમ્બર 2025 દરમિયાન માલ અને સોફ્ટવેરની નિકાસ માટે રૂપિયામાં કરાયેલા ઇન્વોઇસિંગમાં વાર્ષિક ધોરણે 7 ટકાનો વધારો થયો
અમદાવાદઃ રૂપિયામાં બાહ્ય વેપારનું ઇન્વોઇસિંગ ધીમે ધીમે મજબૂત બની રહ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના તાજા આંકડા મુજબ એપ્રિલથી નવેમ્બર 2025 દરમિયાન માલ અને સોફ્ટવેરની નિકાસ માટે રૂપિયામાં કરાયેલા ઇન્વોઇસિંગમાં વાર્ષિક ધોરણે 4.7 ટકાનો વધારો થયો છે અને તેની કુલ કિંમત રૂ. 2,00,056 કરોડ( બે લાખને છપ્પન કરોડ) રહી છે. આ જ ગાળામાં આયાત માટે રૂપિયામાં કરાયેલા ઇન્વોઇસિંગમાં 24.5 ટકાનો વધારો થયો છે અને તેની કુલ રકમ રૂ. 1,97,127 કરોડ રહી છે.
છતાં પણ, કુલ બાહ્ય વેપારમાં રૂપિયામાં થતા વ્યવહારોનો હિસ્સો હજી પણ નાનો છે. તમામ કરન્સી સામે તુલનામાં રૂપિયામાં ઇન્વોઇસિંગનો હિસ્સો નિકાસમાં 6.1 ટકા અને આયાતમાં 4.9 ટકા રહ્યો છે. નાણાંકીય વર્ષ 2024-25માં (FY25) રૂપિયામાં ઇન્વોઇસ કરેલી નિકાસમાં 7 ટકાનો વધારો થયો હતો, જ્યારે રૂપિયામાં આયાતમાં 34 ટકાનો વધારો નોંધાયો હતો.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જુલાઈ 2022માં એક સરક્યુલર દ્વારા આંતરરાષ્ટ્રીય વેપારમાં રૂપિયામાં ઇન્વોઇસિંગ અને ચુકવણીને મંજૂરી આપી હતી. આ પગલું વૈશ્વિક વેપારને પ્રોત્સાહન આપવા અને રૂપિયાના આંતરરાષ્ટ્રીયકરણ માટે લેવામાં આવ્યું હતું. આ વ્યવસ્થા હેઠળ નિર્ધારિત બેંકોને ભાગીદાર દેશોના નામે સ્પેશિયલ રૂપિયા વોસ્ટ્રો એકાઉન્ટ (SRVA) ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.
ભારતીય નિકાસના કેસમાં વિદેશી આયાતકર્તાના વોસ્ટ્રો એકાઉન્ટમાં રહેલા બેલેન્સમાંથી રૂપિયા ચૂકવવામાં આવશે, જ્યારે આયાતના કેસમાં રૂપિયા સામે ઇન્વોઇસ મુજબ રકમ વોસ્ટ્રો એકાઉન્ટમાં જમા કરાશે.
વેપારના ક્ષેત્રના નિષ્ણાતોના જણાવ્યા મુજબ ભારત હાલમાં લગભગ 22 દેશો સાથે SRVA સુવિધા ધરાવે છે અને રશિયા, શ્રીલંકા, સિંગાપુર જેવા મુખ્ય ભાગીદાર દેશો સાથે રૂપિયામાં વેપાર થઈ રહ્યો છે. આ ઉપરાંત 2023માં ભારતે સંયુક્ત આરબ અમીરાત (UAE) સાથે પણ રૂપિયા અને દિરહામમાં વેપાર નિપટાવવાનો કરાર કર્યો હતો.
સરળ મિકેનિઝમ
ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન્સ (FIEO)ના ડાયરેક્ટર જનરલ અને CEO અજય સહાયે જણાવ્યું હતું કે SRVA એક સરળ અને અસરકારક વ્યવસ્થા બનીને ઉભરી આવી છે, જે ભારતીય નિકાસકર્તાઓ અને આયાતકર્તાઓ માટે ઉપયોગી સાબિત થઈ રહી છે અને છેલ્લા કેટલાક મહિનાઓમાં તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે FEMA નિયમો હેઠળ વેપારની રકમ સેટલમેન્ટ માટેનો સમયગાળો વધારવો જેવા RBIના તાજેતરના પગલાંઓ પણ રૂપિયામાં વધુ ક્રોસ-બોર્ડર ટ્રાન્ઝેક્શન્સને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ઇન્ડિયા રેટિંગ્સ (Ind-Ra)ના એસોસિયેટ ડાયરેક્ટર પરસ જસરાઈએ કહ્યું હતું કે સામાન્ય રીતે રૂપિયામાં થતો વિદેશી વેપાર ડોલર જેવી વિદેશી કરન્સી પરની નિર્ભરતા ઘટાડે છે અને તે અન્ય દેશો સાથે થયેલા કરારોને કારણે પણ આગળ વધી રહ્યો છે. જોકે, અમેરિકી ડોલર અને યુરોની પ્રભુત્વને કારણે હાલ તેનો હિસ્સો ઓછો છે, પરંતુ ભવિષ્યમાં તેમાં વૃદ્ધિ માટે પૂરતું અવકાશ છે.
રૂપિયાના મૂલ્યમાં બિલ બનાવવાથી શું ફેર પડે છે?
આયાત અને નિકાસના બિલ રૂપિયાના મૂલ્યમાં બનાવવાને કારણે અમેરિકી ડૉલર પરની નિર્ભરતામાં ઘટાડો આવે છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આયાત અને નિકાસના બિલનું સેટલમેન્ટ ભારતીય રૂપિયામાં કરવાની વ્યવસ્થા દાખલ કરી છે. તેને માટે માત્ર રૂપિયામાં જ લેવડદેવડ કરવાનું ખાસ વોસ્ટ્રો એકાઉન્ટ ખોલવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે. આયાતનિકાસના બિલની માત્ર રૂપિયામાં જ તેની ચૂકવણી કરવાની હોય છે. તેને અમેરિકી ડૉલરમાં રૂપાંતરિત કરીને આપવાની જરૂર જ નથી.
ડૉલરની વધઘટ સામે આપોઆપ રક્ષણ મળ્યું
પરિણામે અમેરિકી ડૉલરના ભાવમાં રોજરોજ થઈ વધઘટ સામે આયાતકાર અને નિકાસકારને રક્ષણ મળી જાય છે. આમ રૂપિયામાં જ નિકાસના બિલનું પેમેન્ટ મેળવી ને રૂપિયામાં જ આયાતનું બિલ ચૂકવી શકાય છે. તેમ જ રૂપિયાનું ડૉલરમાં રૂપાંતર કરવાનો ખર્ચ બચી જાય છે.
હેજિંગ નહિ કરવું પડે
અમેરિકી ડૉલર અને રૂપિયાના મૂલ્યમાં રોજબરોજ આવતા ફેરફાર સામે રક્ષણ કરવા હેજિંગ કરવું પડે છે. હેજિંગની આ જફામાંથી આયાત અને નિકાસકારોને મુક્તિ મળી જાય છે. આયાત અને નિકાસકારોનો રોકડનો પ્રવાહ વધી જાય છે.
પેમેન્ટ રીસિવ કરવા 18 મહિનાનો અપાતો સમય
રૂપિયાના મૂલ્યમાં બિલ બનાવવામાં આવે ત્યારે તેનું પેમેન્ટ રિસીવ કરવા માટે રિઝર્વ બેન્કે નિકાસકારને 18 મહિનાનો સમય આપ્યો છે. વિદેશી ચલણમાં કરવામાં આવતા વેપારની તુલનાએ રૂપિયાના મૂલ્યમાં કરવામાં આવતો વેપાર વધુ સ્થિતિસ્થાપક છે.
અત્યારે અમેરિકી ડૉલરના વૈશ્વિક મૂલ્ય પર અસર પડતી નથી
રૂપિયામાં આયાત-નિકાસના બિલ રીસિવ કરવાની વ્યવસ્થાને પરિણામે અત્યારે અમેરિકી ડૉલરના વૈશ્વિક મૂલ્ય પર મોટી અસર પડતી જ નથી. તેનું કારણ આપતા નિષ્ણાતો કહે છે કે વિશ્વ વેપાર માટેના ચલણ તરીકે ડૉલરનું વર્ચસ્વ આજે પણ પૂર્વવત બરકરાર છે. ભારતમાં રૂપિયાના મૂલ્યમાં જ આયાત અને નિકાસના બિલની ચૂકવણી કરવાની વ્યવસ્થાનો મર્યાદિત પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવતો હોવાથી ભારતીય રૂપિયો ડૉલરનું રિપ્લેસમેન્ટ બન્યો નથી. ભારતના વિદેશ મંત્રાલયે પણ નિવેદન આપ્યું છે કે અત્યારે ભારત સરકાર ડી-ડૉલરાઈઝેશનની એટલે કે ડૉલરના ચલણમાં વેપાર જ બંધ કરી દેવાની ભાવનાને વળગીને બેઠી નથી. હા, આયાત અને નિકાસના ચોક્કસ વેપારમાં ભારતીય રૂપિયામાં જ પૈસાની આપ-લે થાય તેમ જરૂર ઇચ્છ છે. હા, તેનાથી ભારતની ડૉલર પરની નિર્ભરતામાં ઘટાડો જરૂર થશે. ડૉલરનું વૈશ્વિક વર્ચસ્વ અત્યારે ખતમ નહિ થાય.
નિકાસકારને શું ફાયદો થશે
રૂપિયાના મૂલ્યમાં જ નિકાસના બિલના નાણાં સ્વીકારવા અને આયાતના બિલના નાણાં ચૂકવવાની વ્યવસ્થાને કારણે તેને ખબર છે કે તેને કેટલા રૂપિયાની આવક થશે અને તેણે કેટલા રૂપિયા ચૂકવવાના આવશે. ડૉલરમાં રૂપાંતર કરવાના ખર્ચમાંથી તેને મુક્તિ મળશે. રૂપિયાનું ડૉલરમાં રૂપાંતર કરવાના ખર્ચમાંથી મુક્ત મળશે. તેને કારણે અચાનક થઈ જતાં નુકસાન સામે રક્ષણ મળશે. તેમ જ ડૉલર-રૂપિયાનું હેજિંગ પણ કરવું પડશે નહિ. હેજિંગ કરવા માટે ચૂકવવી પડનારી રકમ પણ ચૂકવવી પડશે નહિ. હેજિંગના ગણિતો પણ ઘણીવાર ખોટા પડતા હોવાનું જોવા મળે છે.
નિકાસકારોની સ્પર્ધાત્મકતા વધે છે
રૂપિયાના ચલણમાં જ નિકાસના બિલના નાણાં લેવાથી વિદેશના બજારમાં ભારતીય ઉત્પાદનોની સ્પર્ધાત્મકતામાં વધારો થાય છે. તેથી બિઝનેસનું વોલ્યુમ પણ વધે છે. ફોરેક્સના રેટમાં આવતા ફેરફારની અસર ન થતી હોવાથી નફામાં એકાએક આવી જતી વધઘટ સામે પણ રક્ષણ મળી જાય છે.
આયાતકારને શું લાભ મળે છે
આયાતકાર રૂપિયાના મૂલ્યમાં તેની આયાતનું બિલ ચૂકવી શકે છે. તેને ભારતીય રૂપિયા-અમેરિકી ડૉલરના ભાવની વધઘટની ચિંતા કરવી પડતી નથી. તેમાં અચાનક થઈ જતી વધઘટને કારણે નફા કે નુકસાનીમાં થતી વધઘટની ચિંતા કરવી પડતી નથી. ડૉલર સામે ભારતીય રૂપિયો નબળો પડે તો તેવા સંજોગોમાં આયાતનો ખર્ચ વધી જાય છે. કારણ કે વૈશ્વિક બજારમાં મોટા ભાગની કોમોડિટીના ભાવ ડૉલરના મૂલ્યમાં નક્કી થાય છે. અમેરિકી ડૉલર દુનિયાના દરેક દેશમાં ચાલતો હોવાથી જ તેને ગ્રીન કરન્સી તરીકે ઓળખાવવામાં આવે છે. હા, રૂપિયો નબળો પડે ત્યારે નિકાસકારને ફાયદો થાય છે. રૂપિયાના મૂલ્યમાં બિલ બનાવીને રૂપિયાના જ મૂલ્યમાં બિલ ચૂકવે તો તેમાં આ પ્રકારનો ફાયદો થતો નથી. રૂપિયો નબળો પડે તો નિકાસના બજારમાં ભારતીય ઉત્પાદનોની સ્પર્ધાત્મકતા વધી જાય છે. રૂપિયાના મૂલ્યમાં બિલ બનાવીને સ્વીકારવાથી આવકમાં સ્થિરતા રહે છે. મોટી વધઘટ આવ જતી નથી.




