ત્રણ દરવાજાથી પાનકોર નાકાના વિસ્તારના અને દુકાનદારો વચ્ચે વધી રહેલો તનાવ

ત્રણ દરવાજાથી પાનકોર નાકાના ફેરિયાઓ-દુકાનદારો વચ્ચે સંઘર્ષ
ત્રણ દરવાજાથી પાનકોર નાકાના વિસ્તારના અને દુકાનદારો વચ્ચે વધી રહેલો તનાવ
ઓનલાઈનના આક્રમણ પછી જમીન પર બેસી ગયેલા ફેરિયાઓ હવે નડતરરૂપ
અમદાવાદઃ અમદાવાદ શહેરના પાનકોર નાકાથી માંડીને ત્રણ દરવાજાના વિસ્તારમાં રસ્તાઓ પરના ફેરિયાઓનો ભરાવો એટલો બધો છે કે તેમના પાથરણાને કારણે ગ્રાહકો દુકાનમાં પ્રવેશી જ ન શકતા હોવાથી દુકાનદારો અને પાથરણાવાળાઓ વચ્ચેનો સંઘર્ષ સતત વધી રહ્યો છે. વેપારીઓની ફરિયાદ છે કે પાથરણાવાળાઓ રસ્તો રોકીને બેસી ગયા હોવાથી તેમની દુકાનમાં ગ્રાહકો આવી શકતા જ નથી.
આ મુદ્દે પોલીસને વારંવાર રજૂઆત કરવામાં આવતી હોવા છતાં પોલીસ સાંભળતા જ નથી. તેમ જ અમ્યુકોના સત્તાવાળાઓને જણાવવામાં આવે તો તેઓ પણ ગાંઠતા જ નથી. એક તરફ ઓનલાઈન કંપનીઓ મોટા ડિસ્કાઉન્ટ આપીને તેમના ધંધા તોડી રહ્યા છે. રિટેઈલ ચેઈનવાળા પણ દુકાનદારોનો ધંધો તોડવા માંડયા છે. બીજીતરફ હવે ફેરિયાઓ તેમના ધંધાને હડપ કરી જવા માટે સક્રિય થઈ રહ્યા છે.
પરિણામે દુકાનદારોને ત્રેવડો માર પડી રહ્યો છે. શ્રી અમવાદ વેપારી મહાસંગઠન તરફથી આ મુદ્દે પોલીસને તથા અમ્યુકોના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે. પાંચ કૂવાથી ત્રણ દરવાજાના વિસ્તારના દુકાનદારોની હાલત અત્યંત ખરાબ થઈ રહી છે. દુકાનાદરોના ૫૦થી ૬૦ ટકા ધંધા તૂટી ગયા છે. તેથી તેમની પરેશાની વધી રહી છે. તેમણે તેથી જ અમ્યુકોના અધિકારીઓને પણ ફરિયાદ કરી છે. અમ્યુકોના અધિકારીઓએ તેમની વાત કાને ન ધરતા પોલીસ કમિશનરને પણ ફરિયાદ કરવામાં આવી છે.
અત્યારે વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે. આ સંઘર્ષને કારણે વિવાદ અને વિખવાદ થઈ રહ્યો છે. ગમે ત્યારે આ વિવાદ લડાઈટંટામાં પરિણણી જાય તો માહોલ બગડી જવાની દહેશત પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.




