યુરોપમાંથી ભારત આવતી 97 ટકા વસ્તુઓ સસ્તી થશે

અમદાવાદઃ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મંગળવારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ-મુક્ત વેપાર કરાર (FTA) પર સંમતિ થઈ જતાં વૈશ્વિક આર્થિક વ્યવસ્થાનાપરિવર્તનના કાળમાં ભારતની ટ્રેડ વ્યૂહરચનામાં એક મોટો વળાંક આવવાની સંભાવના નિર્માણ થઈ છે. આ વ્યાપક કરારને પરિણામે યુરોપમાંથી ભારત આવતી લગભગ 97 ટકા નિકાસ પર શુલ્કમાં કાપ મુકાયો છે, તેથી અનેક આયાતી ઉત્પાદનો ધીમે ધીમે ભારતીય ગ્રાહકો માટે વધુ સસ્તા બનશે.
સૌથી મોટો ફેરફાર ઓટોમોબાઇલ ક્ષેત્રમાં જોવા મળશે. ભારત પોતાનો લાંબા સમયથી સુરક્ષિત રાખેલો સ્થાનિક કાર ઉદ્યોગ ખોલવા જઈ રહ્યું છે અને યુરોપિયન કાર પર શુલ્ક 10 ટકા જેટલું ઓછું કરવા સંમત થયું છે. આ પગલાંથી અગાઉ ઊંચી કિંમતોને કારણે ભારતમાંથી દૂર રહેલી બ્રાન્ડ્સ માટે બજારના દરવાજા ખુલશે.
ફોક્સવેગન, BMW અને મર્સિડીઝના મુખ્ય કાર્યકારી અધિકારીઓએ આ કરારનું સ્વાગત કર્યું છે અને તેને જર્મનીની નિકાસ આધારિત અર્થવ્યવસ્થા માટે મોટી તક ગણાવી છે. BMWના CEO ઓલિવર ઝિપ્સેએ રોઇટર્સને જણાવ્યું છે કે આ કરાર જર્મની માટે “અતિ મહત્વપૂર્ણ” છે અને તે દેશની મજબૂત નિકાસ રાષ્ટ્ર તરીકેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. “અમે ખૂબ ખુશ છીએ કે હવે બાબતો ઝડપથી આગળ વધી રહી છે અને અમે બહુપક્ષીય સંબંધોને વિસ્તારી રહ્યા છીએ, તેને કાપી રહ્યા નથી.
નવી દિલ્હીના દૃષ્ટિકોણે સમય ખૂબ મહત્વનો છે, કારણ કે અમેરિકા વેપાર મામલે વધુ અણધાર્યું બની રહ્યું છે અને ચીન ઓછા ખર્ચાવાળા માલથી વૈશ્વિક બજારોમાં પૂર લાવી રહ્યું છે. ભારત-ઈયુ કરાર ભારતને પોતાની આર્થિક ભાગીદારીમાં વૈવિધ્ય લાવવા અને વિશ્વના સૌથી મોટા ટ્રેડિંગ બ્લોક સુધી સ્થિર પહોંચ સુનિશ્ચિત કરવાની તક આપે છે.
ભારતીય ઘરો માટે શું સસ્તુ થશે?
ભારતીય પરિવારો માટે તેની અસર રોજિંદી ખરીદીમાં દેખાશે. આ કરાર યુરોપિયન કૃષિ-ખાદ્ય અને ઉપભોક્તા ઉત્પાદનો જેમ કે વાઇન, ઓલિવ તેલ, બ્રેડ, ચોકલેટ, મીઠાઈઓ અને પ્રોસેસ્ડ ફૂડ પરના ઊંચા શુલ્ક ઘટાડે છે. ઊંચા આયાત કરને કારણે આ વસ્તુઓ અત્યાર સુધી ભારતમાં મોંઘી પડતી હતી, જે હવે વધુ વાજબી કિંમતે ઉપલબ્ધ થવાની શક્યતા છે.




